૮૪ જુનાગઢના નવાબના મહેલમાં પધાર્યા, ત્યાંથી નિત્યાંનદ સ્વામી અને નવાબના પુરાણી વચ્ચે શાસ્ત્રચર્ચા થઈ, બ્રહ્માનંદ સ્વામીને મળ્યા, ત્યાંથી પંચાળા અગત્રાઈ આવ્યા, પર્વતભાઈની વાડીએ પધાર્યા, ત્યાંથી પંચાળે પધાર્યા, ત્યાંથી પીપલાણા, યમુનાવડ, કરીયાણા કારુભાર નદી

Submitted by swaminarayanworld on Sun, 11/12/2016 - 5:12pm

૮૪ જુનાગઢના નવાબના મહેલમાં પધાર્યા, ત્યાંથી નિત્યાંનદ સ્વામી અને નવાબના પુરાણી વચ્ચે શાસ્ત્રચર્ચા થઈ, બ્રહ્માનંદ સ્વામીને મળ્યા, ત્યાંથી પંચાળા અગત્રાઈ આવ્યા, પર્વતભાઈની વાડીએ પધાર્યા, ત્યાંથી પંચાળે પધાર્યા, ત્યાંથી પીપલાણા, યમુનાવડ, કરીયાણા કારુભાર નદી મીણબાઈએ ગોપીઓના આટલા બધા થાળ જમતા ને અહીં કેમ જમતા નથી તે વાત કહી, ત્યાંથી ગઢડે પધાર્યા.

અધ્યાય ૮૪

પછી મહારાજ જાગી જળના કોગળા કરીને જળપાન કર્યું. પછી સભામાં આવીને બિરાજ્યા. ત્યારે બ્રહ્માનંદ સ્વામી પગે લાગીને બેઠા. તે સમયે નવાબ સાહેબના જાસૂસ આવીને સલામ કરીને બોલ્યા જે, હે સ્વામિનારાયણ ! તમારાં દર્શન કરવાની નવાબ સાહેબને ઘણી ઇચ્છા છે. તે દયા કરીને દર્શન આપવા પધારો.

પછી મહારાજ ઘોડીએ સવાર થઇને સર્વ સદ્‌ગુરુઓ તથા કાઠીના સવારો અને પાળા સર્વ હરિભક્તોની સાથે ચાલ્યા. તે સમયે આગળ નાના પ્રકારનાં વાજિંત્રો વાગતાં હતાં. આવી શોભાને ધારણ કરતા શ્રીજી વાજતે ગાજતે નવાબ સાહેબના મહેલ પાસે આવ્યા. ત્યારે નવાબ ઊઠીને સન્મુખ આવ્યા. પગે લાગીને મહારાજને ગાદીતકીયે બેસાડ્યા, અને પોતે પણ બેઠા, પછી મહારાજને કુશળ સમાચાર પૂછ્યા, અને બોલ્યા જે, હે મહારાજ ! મકાન બડા બનાયા ઔર હમારા શહેર ભી પાવન કીયા. ત્યારે મહારાજે કહ્યું જે, તમારી મરજી હતી તેથી બનાવ્યું. પછી નવાબ બોલ્યા જે, હમારા પુરાણી ઔર નિત્યાનંદ સ્વામી ચર્ચા કરે. પછી પુરાણીએ નિત્યાનંદ સ્વામીને પૂછ્યું જે સૌ લોકો ભગવાનના ચરણારવિન્દને શા માટે પગે લાગે છે ? અને હાથને અને મસ્તકને કેમ નથી લાગતા ? ‘‘વન્દે મહાપુરુષ તે ચરણારવિન્દમ્‌’’ એ શ્લોક બોલીને નિત્યાનંદ સ્વામીએ બધું સમજાવ્યું જે, સરકારની જ્યારે ગાદીએ પગે લાગ્યા ત્યારે સર્વે અંગે પગે લાગ્યા કહેવાય. ત્યારે નવાબ કહે ક્યા પૂછતા હૈ ? ત્યારે મહારાજે વાત કરી જે તમારા પુરાણીનો તો એમ અભિપ્રાય છે કે, ખુદા કા કદમ પાક હૈ, ઓર હમેરા મત તો એસા હૈ જો જૈસે શક્કરકા નલિએર, ઉનમે ત્યાગભાવ નહીં ઐસા ખુદાકા અંગ સબ પાક હૈ. અને તમારા બ્રાહ્મણનો અભિપ્રાય છે જે, પરમેશ્વરના ચરણમાં જ માયા નથી અને બીજા અંગમાં માયા છે. ત્યારે નવાબ બોલ્યા જે, બ્રાહ્મણ પઢા હૈ તો ભી બડા બેવકૂફ હૈ, કુછ નહીં સમજતા હૈ. ખુદામેં ભી માયા ચીપકાતા હૈ. પછી બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે, જેમ ઘોડું દાંતે ચોકડું લે છે, તેમ તમારા પુરાણી પણ બોલે છે

પછી તે સાંભળીને સર્વ કચેરી હસી. ત્યારે મહારાજે કહ્યું તમે તો એક જ વેણમાં સર્વને ખુશી કર્યા. પછી નવાબે બ્રાહ્મણ પાસે મહારાજની પૂજા કરાવી. અને ભારે ભારે શેલાં ઓઢાડીને પુષ્પના હાર પહેરાવ્યા. પછી સદ્‌ગુરુઓને હાર પહેરાવ્યા. પછી મહારાજે નવાબ સાહેબને ફૂલનો હાર આપીને રજા માગીને ઊઠ્યા. અને સર્વે કચેરી અને નવાબ સાહેબ પણ ઊભા થયા. ત્યાંથી મહારાજ ઘોડીએ સવાર થઇને ગાજતે વાજતે મંદિરમાં પધાર્યા. ત્યાં ઘોડીએથી ઉતરીને વસ્ત્ર ઉતારી જળપાન કરીને ઢોલિયે બિરાજ્યા અને પછી પોઢી ગયા. વહેલા જાગીને નિત્યવિધિ કરીને બાજોઠ પર બિરાજ્યા. પછી બોલ્યા જે, બ્રહ્માનંદ સ્વામી તમને જે સાધુ, પાળા કામમાં રાખવા હોય તેમને આવો મળીએ.

પછી સર્વે મંદિરમાં રહેનારા હતા તેમને મળ્યા ને પોતાને માથે બાંધવાનો શ્વેત ફેંટો હતો તે સાધુઓને આપ્યો અને કહ્યું જે, સર્વે વહેંચી લેજો પછી મહારાજ બોલ્યા જે, હવે કોઇ રહ્યું છે ? ત્યારે નિત્યાનંદ સ્વામી બોલ્યા જે, જેને મળવું છે તે તો હજુ મલ્યા નથી. ત્યારે મહારાજે કહ્યું જે કોણ ? ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું જે, બ્રહ્માનંદ સ્વામી નથી મળ્યા. ત્યારે મહારાજે હાથ ઝાલીને ઊભા કર્યા અને મળ્યા, અને હાથે કરીને વાંસો થાબડ્યો. ત્યારે સ્વામી બોલ્યા જે, હે મહારાજ ! તમે મને કીર્તન કરવાની આજ્ઞા કરી છે. ત્યારે મહારાજે કહ્યું, ચાર માસ પછી કામ બંધ કરી મંદિર ગુણાતીતાનંદ સ્વામીને સોંપીને મારી પાસે આવજો. એમ કહીને સ્નાન કરીને વસ્ત્ર પહેરીને ઉપરણી ઓઢીને જમવા બિરાજ્યા. તે જમીને ચળુ કરીને મુખવાસ લઇને થાળ બ્રહ્માનંદ સ્વામીને આપ્યો; અને પોતે સંતોને લાડુ પીરસવા પધાર્યા તે અતિ હેતે કરીને લાડુ પીરસ્યા. પછી હાથ ધોવરાવ્યા.

પછી જળપાન કરીને પોઢ્યા અને જાગીને જળના કોગળા કરીને જળપાન કરીને ઠાકોરજીનાં દર્શન કર્યાં અને પછી મંદિર પાસે સભા કરીને બિરાજ્યા. ત્યાંથી ઊઠીને મંદિરમાં દેવનાં દર્શન કરીને પછી ધુન્ય આરતી કરીને ચાલ્યા તે ઉતારે પધાર્યા અને ત્યાં જઇને જમ્યા. અને પછી જળપાન કરીને મુખવાસ લઇને ઢોલિયે પોઢ્યા. વહેલા જાગીને નિત્યવિધિ કરીને સંતો, પાર્ષદો, બ્રહ્મચારીઓ અને હજારો હરિભક્તોએ સહિત ગાજતે વાજતે ઊભી બજારે થઇને ચાલ્યા તે શહેરના મનુષ્યો સર્વે પુષ્પે કરીને વધાવે અને પગે લાગે. એવી રીતે બહાર આવીને સર્વે હરિભક્તોને તથા સંતોને પાછા વાળ્યા. અને ગાજતે વાજતે સર્વ હરિભક્તોને દર્શન આપતા આપતા શ્રીહરિ ગામ પંચાળા પધાર્યા. ત્યાંથી અગત્રાઇ આવ્યા અને ગામના ભક્તજનોએ સામૈયું કર્યું તે ગાજતે વાજતે પર્વતભાઇને ઘેર જઇ ઘોડી ઉપરથી ઉતરીને ઢોલિયે બિરાજમાન થયા. અને સત્સંગી સર્વે ભેટો મેલીને મહારાજના ચરણનો સ્પર્શ કરીને બેઠા અને સર્વે શેરડીને ગોળ લાવ્યા તે સુધારીને મહારાજને શેરડી જમાડી અને ગોળ પણ જમાડ્યો, બાકીની પ્રસાદી સર્વ હરિભક્તોને વહેંચી આપી.

પછી પર્વતભાઇને ઘેર જમવા પધાર્યા અને ત્યાં જમતા જાય અને પર્વતભાઇના ઘરનાં માણસ સાથે વાતો કરતા જાય. પછી જળપાન કરીને મુખવાસ લઇને ઢોલિયે બિરાજ્યા. જીવણભાઇ ગોર અને પર્વતભાઇ તે બે જણા મહારાજનાં ચરણ ખોળામાં લઇને દબાવતા જાય અને મહારાજ સાથે વાતો કરતા જાય. પછી મહારાજ પોઢ્યા. ને વહેલા જાગીને નદીએ નહાવા પધાર્યા. ત્યાં સ્નાન કરીને નિત્યવિધિ કરીને વસ્ત્રો પહેરીને ઘોડીએ સ્વાર થઇને ગાજતે વાજતે ગામમાં પધાર્યા. પછી ઘોડીએથી ઉતર્યા ત્યારે પર્વતભાઇએ મહારાજના હાથ પગ ધોવડાવ્યા અને પછી જમવા બિરાજ્યા. તે જમતા જાય ને પર્વતભાઇનાં ઘરનાં મનુષ્ય આગળ વાત કરતા જાય અને પર્વતભાઇ જમાડતા જાય. એવી રીતે દૂધ સાકર અને ભાત જમીને જળપાન કર્યું.

પછી મુખવાસ લઇને ઢોલિયે બિરાજ્યા અને વાતો કરીને પોઢ્યા. તે જાગીને જળના કોગળા કરીને સાબદા થાવા માંડ્યા, ત્યારે પર્વતભાઇ આદિ હરિભક્તો તાણ કરવા લાગ્યા. ત્યારે મહારાજે કહ્યું જે, નહીં રહીએ. ત્યારે હરિભક્તોએ મહારાજનો પોષાક અને ઘોડીનો સામાન જે હતો તે સર્વે સંતાડી મૂક્યો. અને પર્વતભાઇનો દીકરો મુળજી ગાડીના બળદ હાંકીને શેરડીના વાઢે લઇ ગયો. ત્યારે મહારાજ પાળાને કહેવા લાગ્યા જે, વસ્ત્રો લાવો અને ઘોડીએ પલાણ માંડો અને ગાડી જોડો. પછી પાર્ષદે સામાન જોયો ત્યાં સામાન નહીં, તેથી મહારાજને જાણ કરી. ત્યારે મહારાજે કહ્યું જે, આ કામ ગામના સત્સંગીઓનું છે. ત્યારે પર્વતભાઇએ કહ્યું જે હે મહારાજ ! શેરડીનો વાઢ ફરે છે તે પાવન કરવા પધારો. પછી મોજડી પહેરીને ચાલ્યા. તે પાર્ષદો અને ગામના સત્સંગીઓએ સહિત વાઢે પધાર્યા. અને ત્યાં ઢોલિયે બિરાજ્યા. ત્યારે મહારાજ કહે જે, જેમ જમાય તેમ સૌ લઇને જમો. અને જે બાઇઓ છેટાં બેઠેલાં હતાં તેમને મહારાજે પોતાને હાથે પ્રસાદીના શેરડીના સાંઠા લઇને મોકલાવ્યા.

પછી હરિભક્તો ગોળ લાવ્યા તેને મહારાજ જમ્યા અને સર્વને ગોળ જમાડ્યો. પછી ગામમાંથી ગાડી લાવ્યા. તે સમયે મહારાજ હાથ ધોઇ જળના કોગળા કરીને ગાડીમાં બિરાજ્યા. અને હરિભક્તોએ ગોળનાં ચાર ભીલાં લઇને ગાડીમાં નાખ્યાં. ત્યારે મહારાજે કહ્યું જે, તે નહીં જોઇએ. ત્યારે પર્વતભાઇએ કહ્યું જે, હે મહારાજ ! ગામ સુધી રહેવા દો. પછી શેરડીના ભારા સત્સંગીઓએ લીધા. અને ગામમાં પધાર્યા અને ગાડીમાંથી ઉતરીને ઢોલિયે બિરાજ્યા. ત્યારે સત્સંગીઓએ ગાડામાં જે ગોળ હતો તે પાર્ષદોને આપ્યો અને કહ્યું જે, મહારાજને જમાડજો. પછી હરિભક્તો પગે લાગીને બેઠા. અને મહારાજે થાળ જમીને જળપાન કરીને મુખવાસ લીધો.

પછી ઢોલિયે બિરાજ્યા. જ્યારે સર્વ જમી રહ્યા ત્યારે મહારાજે નેત્રની સાન કરી એટલે સર્વે સાબદા થઇને પાળા ઘોડીએ સ્વાર થયા. મહારાજ પણ ઘોડીએ સ્વાર થઇને ચાલ્યા તે ગામના સીમાડાથી સર્વને પાછા વાળ્યા. અને પર્વતભાઇ ભેળા ચાલ્યા. તે પંચાળે આવ્યા ત્યાં તો હરિભક્તો ગામમાંથી સામૈયું લાવ્યા, તે વાજતે ગાજતે દરબારમાં પધાર્યા, અને ત્યાં ઘોડીએથી ઉતરીને ઢોલિયે બિરાજ્યા. અદિબાએ થાળ કર્યો. અને ગગાભાઇએ ચરણ ધોયાં અને વસ્ત્ર ઉતારીને જળના કોગળા કરીને જમવા બિરાજ્યા. જમતા જાય અને ગગાભાઇ સાથે વાત કરતા જાય. પછી જળપાન કરીને મુખવાસ લઇને ઓસરીમાં ઢોલિયે બિરાજ્યા. અને ગામો ગામના સત્સંગીઓને જેમ જેમ ખબર થઇ તેમ તેમ આવવા માંડ્યા. પછી મહારાજે કહ્યું જે ચાલો નદીએ સ્નાન કરવા. ત્યારે ગામથી ઉગમણી બાજુ નદીમાં વસ્ત્રો ઉતારીને સ્નાન કર્યું.

પછી વસ્ત્રો પહેરીને ચાલ્યા તે ગામના ઉગમણા ઝાંપાથી દરબારમાં પધાર્યા અને ઢોલિયે બિરાજ્યા. એક દિવસ થાળ ગગાભાઇની બહેન જે અદિબા તે કરાવે અને પછી ગામથી દક્ષિણ બાજુ તળાવડી છે, ત્યાં સભા કરે અથવા આથમણી કોરે જ્યાં હાલે હોજ અને બેઠક છે ત્યાં સભા કરે. એવી રીતે ઘણીક લીલા કરીને ગામમાં પધાર્યા અને નિત્ય નાવા નદીએ પધારે. એમને એમ લીલા કરતા થકા ત્યાં બે માસ સુધી રહ્યા. પછી સાબદા થયા, ત્યારે ગગાભાઇ તથા તેમનાં ઘરનાં મનુષ્યો તે સર્વે ઉદાસ થઇને બોલ્યા જે, હે મહારાજ ! આવું હેત દેખાડીને હવે તરછોડીને ત્યાગ કરશો શું ? જેમ શ્રીકૃષ્ણ વાંસળી વજાડીને ગોપીઓને દર્શન દઇને પછી અંતર્ધાન થઇ ગયા, તેમ તમો કરશો શું ? ત્યારે મહારાજે કહ્યું, અમો પાછા આવશું અને સમૈયા પણ કરશું. એમ કહીને ત્યાંથી ચાલ્યા તે ગામ પીપલાણા પધાર્યા. ત્યાંથી ગામ યમુનાવડ પધાર્યા અને ત્યાં દાદાભાઇના ફળીયામાં ઘોડીએથી ઉતરી ઢોલિયે બિરાજ્યા. મોટીબાએ થાળ કરાવ્યો તે જમ્યા, પાર્ષદોને જમાડ્યા. ત્યાંથી ભગુજી આદિ પાર્ષદોને લઇને ચાલ્યા તે ગામ કરીઆણે પધાર્યા. ત્યાં કાળા મકવાણાને ઘેર ઉતર્યા. ગઢડાથી ગાડી લઇને કરીમ ભક્ત આવ્યા, તે મહારાજને પગે લાગીને બેઠા.

પછી થાળ થયો અને ભગુજીએ ચરણારવિન્દ ધોયાં. પછી જળના કોગળા કરીને મહારાજ થાળ જમ્યા. પછી જળપાન કરી મુખવાસ લઇ પોઢી ગયા. પછી જાગીને જળના કોગળા કરીને જળપાન કરીને ઢોલિયે બિરાજ્યા. અને નાના પ્રકારની જ્ઞાનવાર્તા, વૈરાગ્યની વાર્તા અને ધર્મ-ભક્તિનું બળ વધે અને સમાધિ થાય એવી રીતે વાર્તા કરી. પછી આરતી ધૂન્ય કરી મહારાજ ઢોલિયે બિરાજ્યા, ત્યારે સર્વ સંતો-પાર્ષદો પગે લાગીને બેઠા.

પછી થાળ જમવા પધાર્યા તે થાળ જમીને પોઢ્યા. અને વહેલા જાગીને કારૂભાર નદીએ સ્નાન કરવા પધાર્યા, ત્યાં સ્નાન કરીને ગાતા ગાતા પાછા ગામમાં પધાર્યા, મીણબાઇએ થાળ કરાવ્યો તે જમવા પધાર્યા. તે રસોઇમાં જેટલાં ભોજન કરાવ્યાં હોય તેટલાં ભોજન મહારાજ જમે તો બહુ રાજી રહે, ન જમે તો રાજી ન થાય. મહારાજને કહે જે, હે મહારાજ ! કૃષ્ણાવતારમાં સોળ હજાર એક્સોને આઠ રાણીઓના થાળ જુદે જુદે સ્વરૂપે કરીને જમતા તે આજ કેમ જમતા નથી ? ત્યારે મહારાજ જરા મરકીને જમ્યા, પછી જળપાન કરીને મુખવાસ લઇને ત્યાંથી ચાલ્યા તે ગામોગામ હરિભક્તોને દર્શન દેતા દેતા ગઢડા પધાર્યા. ત્યાં જીવુબા આદિ હરિભક્ત બાઇઓએ થાળ કરાવ્યો તે થાળ જમીને જળપાન કરીને મુખવાસ લઇને ઢોલિયે બિરાજ્યા. તે વખતે જેતલપુરથી આસજીભાઇએ તથા ગંગામાએ સમાચાર મોકલ્યા જે, પ્રથમ તમો અમોને વચન આપી ગયા હતા તે હવે જરૂર પધારજો. તે સાંભળીને મહારાજે સંતો પાર્ષદોને હરિભક્તોને સંભળાવ્યું જે, આપણને જેતલપુરથી આસજીભાઇ તથા ગંગામાએ સમાચાર મોકલ્યા છે જે, તમો જેતલપુર જરૂર પધારજો, તેથી સૌ તૈયાર થજો પરમ દિવસે જવું છે. એમ કહીને લાડુબાને ત્યાં થાળ કરાવ્યો હતો તે જમીને મુખવાસ લઇને પોઢી ગયા.

પછી ત્રીજે દિવસે સૌ જમીને સર્વે સંતો બ્રહ્મચારીઓ તથા પાર્ષદો તેમને સંગાથે લઇને ચાલ્યા. ત્યારે હરિભક્તો વળાવવા આવ્યા હતા તે બોલ્યા જે, હે મહારાજ ! હવે ક્યારે દર્શન દેશો ? એમ કહ્યું, ત્યારે મહારાજે કહ્યું જે, અહીં તો વખતો વખત આવીએ છીએ. એમ કહીને ત્યાંથી ચાલ્યા તે દેશોદેશના હરિભક્તોને તથા ગામોગામના સત્સંગીઓને દર્શન આપતા આપતા અમદાવાદ પધાર્યા.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે શ્રીજીમહારાજ જુનાગઢથી અગત્રાઇ પર્વતભાઇના વાઢે ગયા, ત્યાંથી કરીયાણે પધાર્યા મીણબાઇએ જમાડ્યા, ત્યાંથી ગઢડા જઇને ત્યાંથી અમદાવાદ પધાર્યા એ નામે ચોર્યાશીમો અધ્યાય. ૮૪.