ગઢડા પ્રથમ – ૬૨ : સત્‍ય શૌચાદિક ગુણ આવ્‍યાનું

Submitted by swaminarayanworld on Thu, 20/01/2011 - 9:53pm

ગઢડા પ્રથમ – ૬૨ : સત્‍ય શૌચાદિક ગુણ આવ્‍યાનું

સંવત્ ૧૮૭૬ ના ફાગણવદી ૪ ચતુર્થિને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ચોક વચ્‍ચે ઢોલિયા ઉપર વિરા-જમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને માથે શ્વેત પાઘ વિરાજમાન હતી અને તે પાઘને વિષે શ્વેત પુષ્પના હાર તથા શ્વેત પુષ્પના તોરા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી સ્‍વયંપ્રકાશાનંદ સ્‍વામીએ પુછયું જે, “શ્રીમદ્ભાગવતમાં કહ્યું છે જે :-

સત્‍યં શૌચં દયા ક્ષાન્તિસ્ત્યાગ: સંતોષ આર્જવમ્ | શમો દમસ્‍તપ: સામ્યં તિતિક્ષોપરતિ: શ્રુતમ્ ||

જ્ઞાનં વિરકિતરૈશ્વર્યં શૌર્યં તેજો બલં સ્‍મૃતિ: | સ્‍વાતંત્ર્યં કૌશલં કાન્તિ ધૈર્યં માર્દવમેવ ચ ||

પ્રાગલ્‍ભ્‍યં પ્રશ્રય: શીલં સહ ઓજો બલં ભગ: | ગામ્‍ભીર્યં સ્‍થૈર્યમાસ્તિકયં કીર્તિમાનોઅનહંકૃતિ: ||

એ જે ઓગણચાલીસ કલ્‍યાણકારી ગુણ તે ભગવાનના સ્‍વરૂપને વિષે નિરંતર રહે છે. તે એ ગુણ સંતને વિષે કેવી રીતે આવે છે ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, એ ગુણ સંતમાં આવ્‍યાનું કારણ તો એ છે જે, એને ભગવાનના સ્‍વરૂપનો યથાર્થ નિશ્વય થાય તો એ કલ્‍યાણકારી ગુણ ભગવાનના છે તે સંતમાં આવે છે, તે નિશ્વય કેવો હોયતો જે ‘ભગવાનને કાળ જેવા ન જાણે, કર્મ જેવા ન જાણે, સ્‍વભાવ જેવા ન જાણે, માયા જેવા ન જાણે, પુરૂષ જેવા ન જાણે અને સર્વ થકી ભગવાનને જુદા જાણે અને એ સર્વના નિયંતા જાણે ને સર્વના કર્તા જાણે અને એ સર્વને કર્તા થકા પણ એ નિલર્પ છે એમ ભગવાનને જાણે અને એવી રીતે જે પ્રત્‍યક્ષ ભગવાનનાં સ્‍વરૂપનો નિશ્વય કર્યો છે તે કોઇ રીતે કરીને ડગે નહિ, તે ગમે તેવાં તરેતરેનાં શાસ્ત્ર સાંભળે અને ગમે તેવા મતવાદિની વાત સાંભળે અને ગમે તેવા પોતાનું અંત:કરણ કુતર્ક કરે, પણ કોઇ રીતે કરીને ભગવાનના સ્‍વરૂપમાં ડગમગાટ થાય નહિ. એવી જાતનો જેને ભગવાનનાં સ્‍વરૂપનો નિશ્વય હોય તેને ભગવાનનો સંબંધ થયો કહેવાય, માટે જેને જે સંગાથે સંબંધ હોય તેના ગુણ તેમાં સહેજે આવે, જેમ આપણાં નેત્ર છે તેને જ્યારે દીવા સંગાથે સંબંધ થાય છે, ત્‍યારે તે દીવાનો પ્રકાશ નેત્રમાં આવે છે, તેણે કરીને નેત્ર આગળ અંધારૂં હોય તેનો નાશ થઇ જાય છે, તેમ જેને ભગવાનનાં સ્‍વરૂપનો દૃઢ નિશ્વયે કરીને સંબંધ થાય છે, તેને વિષે ભગવાનના કલ્‍યાણકારી ગુણ આવે છે. પછી જેમ ભગવાન સર્વ પ્રકારે નિબર્ંધ છે અને જે ચહાય તે કરવાને સમર્થ છે, તેમ એ ભક્ત પણ અતિશે સમર્થ થાય છે અને નિર્બંધ થાય છે.

પછી નિર્વિકારાનંદ સ્‍વામીએ પુછયું જે, “નિશ્વય હોય તોય પણ રૂડા ગુણ તો આવતા નથી અને માન ને ઇર્ષ્યાતો દિવસે દિવસે વધતાં જાય છે તેનું શું કારણ હશે ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, ભગવાન પાસે એક અમૃત લાવીએ, શિંગડીયો વછનાગ લાવીએ અને દુધપાક ને સાકર લાવીએ અને અફીણ લાવીએ અને તે સર્વને ભગવાનના થાળમાં ધરીએ, તોપણ જેનો જેવો ગુણ હોય તેનો તેવો ને તેવોજ રહે પણ પલટાઇ જાય નહિ, તેમ જે જીવ આસુરી અને અતિ કુપાત્ર હોય, તે ભગવાનની સમીપે આવે તો પણ પોતાના સ્‍વભાવને મુકે નહિ, પછી એ કોઇક ગરીબ હરિભક્તનો દ્રોહ કરે તેણે કરીને એનું ભૂંડું થાય, શા માટે જે ભગવાન સર્વમાં અંતર્યામીરૂપે કરીને રહ્યા છે. તે પોતાની ઇચ્‍છા આવે ત્‍યાં તેટલી સામર્થી જણાવે છે. માટે ભક્તને અપમાને કરીને તે ભગવાનનું અપમાન થાય છે, ત્‍યારે તે અપમાનના કરનારાનું અતિશે ભૂંડું થઇ જાય છે, જેમ હિરણ્‍યકશિપુ હતો તેણે ત્રિલોકી પોતાને વશ કરી રાખી હતી, એવો બળવાન હતો. તોપણ તેણે જો પ્રહ્યાદજીનો દ્રોહ કર્યો તો ભગવાન સ્‍તંભમાંથી નૃસિંહજી રૂપે પ્રગટ થઇને તે હિરણ્‍યકશિપુનો નાશ કરી નાખ્‍યો, એમ વિચારીને ભગવાનના ભક્ત હોય તેને અતિશે ગરીબપણું પકડવું, પણ કોઇનું અપમાન કરવું નહિ. કાં જે ભગવાન તો ગરીબના અંતરને વિષે પણ વિરાજમાન રહ્યા છે તે ગરીબના અપમાનના કરનારાનું ભૂંડું કરી નાખે છે, એવું જાણીને કોઇ અલ્‍પ જીવને પણ દુ:ખવવો નહિ અને જો અહંકારને વશ થઇને જેને તેને દુ:ખવતો ફરે, તો ગર્વગંજન એવા જે ભગવાન તે અંતર્યામીરૂપે સર્વમાં વ્‍યાપક છે તે ખમી શકે નહિ, પછી ગમે તે દ્વારે પ્રગટ થઇને એ અભિમાની પુરૂષના અભિમાનને સારી પેઠે નાશ કરે છે, તે માટે તે ભગવાનથી ડરીને જે સાધુ હોય, તેને લેશ માત્ર અભિમાન રાખવું નહિ અને એક કીડી જેવા જીવને પણ દુ:ખવવો નહિ, એજ નિર્માની સાધુનો ધર્મ છે.” ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૬૨||