ગઢડા પ્રથમ – ૬૯ : દુષ્‍ટના અને સાધુના ધર્મનું

Submitted by swaminarayanworld on Thu, 20/01/2011 - 9:58pm

ગઢડા પ્રથમ – ૬૯ : દુષ્‍ટના અને સાધુના ધર્મનું

સંવત્ ૧૮૭૬ ના ચૈત્ર શુદિ ૧૨ દ્વાદશીને દિવસ સ્‍વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિર આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીવાસુદેવનારાયણની સંઘ્‍યા આરતી થઇ રહી તે પછી નારાયણ ધુન્‍ય કરીને શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “ધર્મ તે કેનું નામ છે, એનો શાસ્ત્રની રીતે ઉત્તર કરો ? અને જે હિંસક રાજા હતા તે પણ શરણે આવ્‍યો હોય તેને મારતા નહિ, અને મારવા પણ દેતા નહિ, માટે શરણે આવ્‍યો જે જીવ તેને માર્યાનું જેમ પાપ છે તેમ બીજાને માર્યાનું પાપ છે કે નથી ?” પછી એનો ઉત્તર જેમ જેને ભાસ્‍યો તેમ તેણે કરવા માંડયો, પણ શ્રીજી મહારાજે આશંકા કરી એટલે કોઇથી ઉત્તર થયો નહિ, પછી મુનિ સર્વે બોલ્‍યા જે. હે મહારાજ! અમે એ જ તમને પ્રશ્ર્ન પુછીએ છીએ જે, યજ્ઞાદિકને વિષે પશુહિંસા સહિત ધર્મ કહ્યો છે અને અહિંસારૂપ પણ ધર્મ કહ્યો છે, માટે એ જેમ યથાર્થ હોય તેમ કહો ! પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, હિંસા યુક્ત જે ધર્મ તે તો ધર્મ, અર્થ અને કામ પર છે; તે પણ હિંસાના સંકોચને અર્થે કહ્યો છે. અને અહિંસામય જે ધર્મ છે તે મોક્ષપરાયણ છે, અને એ સાધુનો ધર્મ છે, અને હિંસામય જે ધર્મ છે તે તો રાગપ્રાપ્‍ત છે પણ કલ્‍યાણને અર્થે નથી. અને જે અહિંસારૂપ ધર્મ છે તેતો કેવળ કલ્‍યાણને અર્થે છે, માટે ગૃહસ્‍થ અથવા ત્‍યાગી એ સર્વેને અહિંસારૂપ જે ધર્મ તેજ કલ્‍યાણને અર્થે કહ્યો છે. જેમ રાજા ઉપરિચરવસુ રાજ્યમાં હતા તોય પણ અહિંસા ધર્મને વિષે રહ્યા હતા, તે માટે સાધુએ તો મન, કર્મ, વચને કરીને કોઇનું ભૂંડું વાંચવું નહિ, અને કોઇ વાતનો અહંકાર રાખવો નહિ, અને સર્વના દાસાનુદાસ થઇને રહેવું. અને ક્રોધે યુક્ત જે પ્રકૃતિ તે તો દુષ્‍ટનો ધર્મ છે, અને શાંત સ્‍વભાવે વર્તવું તેજ સાધુનો ધર્મ છે, અને કોઇ કહેશે જે, ‘હજારો માણસને નિયમમાં વર્તાવવાં હોય, તેને કેમ સાધુતા ગ્રહણ કર્યે ચાલે ?’ તો એનો ઉત્તર એ છે જે, રાજા યુધિષ્‍ઠિરનું હજારો ગાઉમાં રાજ્ય હતું તોય પણ સાધુતા રાખી હતી, અને ડારા દેનારા તો ભીમસેન જેવા હજારો હોય તે વારીએ તોય પણ કર્યા વિનાનું રહેવાય નહિ. માટે તીખા સ્‍વભાવવાળાની તો કાંઇ ખોટ નથી, એવા તો ઘણાય હોય, પણ સાધુ થવું એ જ ઘણું દુર્લભ છે. ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૬૯||