કારીયાણી ૬ : મત્સરવાળાનું

Submitted by Parth Patel on Wed, 09/02/2011 - 12:14am

કારીયાણી ૬ : મત્સરવાળાનું

સંવત્ ૧૮૭૭ ના આસો વદી ૩૦ અમાસ જે દિવાળી તેને દિવસ ગામ શ્રીકારીયાણી મઘ્‍યે વસ્‍તાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની આગળ ઓસરીએ દીપમાળા પુરી હતી, અને તે દિપમાળા મઘ્‍યે મંચ બાંઘ્‍યો હતો ને તે મંચ ઉપર છપર પલંગ બિછાવ્‍યો હતો, તે ઉપર સ્‍વામી શ્રીસહજાનંદજી મહારાજ વિરાજમાન હતા, અને સોનેરી બુટ્ટાદાર રાતા કિનખાપનો સુરવાળ પહેર્યો હતો, અને નરનારાયણ સ્‍વામિનારાયણ નામે અંકિત એવા કાળા કિનખાપની ડગલી પહેરી હતી, અને માથા ઉપર સોનેરી તારના ફરતા છેડાની કસુંબલ પાઘ બાંધી હતી, અને અસમાની રંગનો ફેંટો કમરે કસીને બાંઘ્‍યો હતો, અને કંઠને વિષે પીળા પુષ્પના હાર ધારણ કર્યા હતા, અને પોતાના મુખાર-વિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી દીવબંદરના હરિભક્ત આવ્‍યા હતા તેણે શ્રીજી મહારાજની પૂજા કર્યાને અર્થે પ્રાર્થના કરી. પછી શ્રીજી મહારાજ તે સિંહાસન ઉપરથી ઉતરીને ને તે ભક્તજન સામા જઇને તેની પૂજા અંગીકાર કરી. પછી તેનાં આપેલાં વસ્ત્ર તથા પીળું છત્ર તથા પાદુકા તેનું ગ્રહણ કરીને પાછા સિંહાસન ઉપર વિરાજમાન થતા હવા.

પછી શ્રીજી મહારાજ એમ બોલ્‍યા જે, “આટલાં આટલાં વર્ષ થયાં તેમાં અમારે અર્થે કેટલાક હરિભક્ત વસ્ત્ર તથા હજારો રૂપિયાના અલંકાર લાવે છે, પણ અમે આવી રીતે કોઇ સામા  જઇને લેતા નથી, આજ તો અમારે એ હરિભક્ત ઉપર અતિશે રાજીપો થયો.” પછી મુનિ બોલ્‍યા જે, “એવા જ એ પ્રેમી હરિભક્ત છે.” એવા સમામાં દીનાનાથ ભટ્ટ આવીને શ્રીજી મહારાજને પગે લાગીને બેઠા. પછી શ્રીજી મહારાજે ભારેભારે વસ્ત્ર હતાં તે સર્વે દીનાનાથ ભટ્ટને આપયાં.

પછી મુકતાનંદ સ્‍વામીએ પુછયું જે, “હે મહારાજ ! ભગવાન પોતાના ભક્ત ઉપર કયે ગુણે કરીને રાજી થતા હશે ? પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “જે ભક્તજન કામ, ક્રોધ, લોભ, કપટ, માન, ઇર્ષ્યા અને મત્‍સર એટલાં વાનાંએ રહિત થઇને ભગવાનની ભકિત કરે તેની ઉપર ભગવાન રાજી થાય છે. તેમાં પણ મત્‍સર છે તે સર્વે વિકાર માત્રનો આધાર છે, માટે શ્રીવ્‍યાસજીએ શ્રીમદ્ભાગવતને વિષે નિર્મત્‍સર એવા જે સંત તેને જ ભાગવત ધર્મના અધિકારી કહ્યા છે. માટે મત્‍સર તે સર્વે વિકારથી ઝીણો છે અને મત્‍સર ટળવો તે પણ ધણો કઠણ છે.

પછી બ્રહ્માનંદ સ્‍વામીએ પુછયું જે, “મત્‍સર ટાળ્‍યાનો શો ઉપાય છે ? પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “સંતને માર્ગે ચાલે ને જે સંત હોય તેનો તો મત્‍સર ટળે, અને જેને સંતને માર્ગે ન ચાલવું હોય તેનો તો મત્‍સર ન ટળે.”

પછી વળી મુકતાનંદ સ્‍વામીએ પુછયું જે, “મત્‍સર ઉપજ્યાનો શો હેતુ છે ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે,”એક સ્‍ત્રી, ધન અને સારૂં સારૂં ભોજન એ ત્રણ મત્‍સરના હેતુ છે. અને જેને એ ત્રણવાનાં ન હોય તેને માન છે તે મત્‍સરનો હેતુ છે. અને જે મત્‍સરવાળો હશે તેને તો અમે આભટ્ટને વસ્ત્ર દીધાં તેમાં પણ મત્‍સર આવ્‍યો હશે, પણ મત્‍સરવાળાને એવો વિચાર ન આવે જે, “વસ્ત્ર લાવ્‍યા હતા તેને ધન્‍ય છે જે, ‘આવાં ભારે વસ્ત્ર મહારાજને પહેરાવ્‍યાં’ અને મહારાજને પણ ધન્‍ય છે જે, ‘તરત બ્રાહ્મણને દઇ દીધાં, એવો જે વિચાર તે મત્‍સરવાળાના હૃદયમાં ન આવે, અને કોઇક લે અને કોઇક દે તો પણ મત્‍સરવાળો હોય તે ઠાલો ઠાલો વચ્‍ચમાં બળી મરે અને અમારે તો કામ, ક્રોધ, લોભ, માન, મત્‍સર, ઇર્ષ્યા એ સર્વેનો  કયારેય હૈયામાં લેશ પણ આવતો નથી અને શબ્‍દ, સ્‍પર્શ, રૂપ, રસ, અને ગંધ એ જે પંચવિષય તેનો તો હૈયામાં અતિશે અભાવ વતર્ છે પણ પંચવિષયમાંથી એકેને વિષે લેશ માત્ર ભાવ થતો નથી, અને જેટલું કાંઇક અન્નવસ્‍ત્રાદિકનું ગ્રહણ કરતા હઇશું તે તો ભક્તની ભકિત ને દેખીને કરતા હઇશું , પણ પોતાના દેહના સુખને અર્થે નથી કરતા. અને અમારે જે ખાવું , પીવું , ઓઢવું , પહેરવું છે તે સર્વે સંત અને સત્‍સંગીને અર્થે છે; અને એમને અર્થે ન જણાય ને પોતાને અર્થે જણાય તો અમે એનો તત્‍કાળ ત્‍યાગ કરી દઇએ. અને અમે આ દેહ રાખીએ છીએ તે પણ સત્‍સંગીને અર્થે જ રાખીએ છીએ પણ બીજો કોઇ દેહ રાખ્‍યાનો અર્થ નથી. તે અમારા સ્‍વભાવને તો મૂળજી બ્રહ્મચારી ને સોમલોખાચર આદિક જે, હરિજન છે તે કેટલાક વર્ષથી અમારે પાસે ને પાસે રહે છે તે જાણે છે જે,’ મહારાજને એક પ્રભુના ભક્ત વિના કોઇ સંધાથે હેત સંબંધ નથી, ને મહારાજ તો આકાશ સરખા નિલર્પ છે.’ એમ નિરંતર અમારે પાસેના રહેનારા છે તે અમારા સ્‍વભાવને જાણે છે અને અમે તો જે મન, કર્મ, વચને પરમેશ્વરના ભક્ત છે તેને અર્થે અમારો દેહ પણ શ્રીકૃષ્ણાર્પણ  કરી રાખ્‍યો છે. માટે અમારે તો સર્વે પ્રકારે જે કોઇ ભગવાનના ભક્ત છે તે સંધાથે સંબંધ છે, અને ભગવાનના ભક્ત વિના તો અમારે ચૌદ લોકની સંપત્તિ તે ત્રખલા જેવી છે. અને જે ભગવાનના ભક્ત હશે ને ભગવાન સંધાથે દૃઢ પ્રીતિ હશે તેને પણ રમણીય જે પંચવિષય તેને વિષે તો આનંદ ઉપજે જ નહિ અને દેહને રાખ્‍યા સારૂં તો જેવા તેવા જે શબ્‍દાદિક વિષય તેણે કરીને ગુદરાણ કરે પણ રમણીય વિષય થકી તો તત્‍કાળ ઉદાસ થઇ જાય, અને એવા જે હોય તેજ ભગવાનના પરિપૂર્ણ ભક્ત કહેવાય.” ઇતિ વચનામૃતમ્ કારીયાણીનું  ||૬|| ||૧૦૨||