૧૩૭. કડીનાં કલા ભકત, ભૂલો, ઝવેર અને અમદાવાદનાં પ્રાણવલ્લભ વગેરે ભકતોને શ્રીહરિએ આપેલા પરચા.

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 5:21pm

પૂર્વછાયો- વળી કહું એક વારતા, હરિજનની કરી હેત ।

સાંભળતાં સુખ ઉપજે, વળી તરે કુટુંબ સમેત ।।૧।।

સુંદર જશ સતસંગીનો, જે સુણશે વારમવાર ।

પરિશ્રમ વિના પામશે, આ ભવસાગરનો પાર ।।૨।।

કહેશે કથા કોડે કરી, વળી સુણશે થઇ સાવધાન ।

તેના મનોરથ પૂરશે, પ્રકટ શ્રીભગવાન ।।૩।।

એવી કારણિક છે કથા, સત્ય માનજયો સહુ કોય ।

હવે જશ હરિજનના, સંભળાવું વળી સોય ।।૪।।

ચોપાઇ- એક ભક્ત ભાવિક છે ભલો, રહે કુંડાલ્યે નામ છે કલો ।

કરે કૃષિ કણબીનું કર્મ, પાળે સતસંગના જે ધર્મ ।।૫।।

ભજે પ્રભુ પ્રકટ પ્રમાણ, સ્વામી સહજાનંદ સુખખાણ ।

આવે સંત સ્વામીના જે ઘેર, કરે સેવા તેની સારીપેર ।।૬।।

સાચો સમજાણો સતસંગ, તેનો ચડ્યો અંગમાંહિ રંગ ।

વળી કરે કેફ ભરી વાત, સ્વામી પ્રભુ પોત્યે છે સાક્ષાત ।।૭।।

બીજે શીદ રહ્યા છો બંધાઇ, સહુ આવો સતસંગમાંઇ ।

એવી વાત કલાની સાંભળી, એના ભાઇ બીજા ઉઠ્યા બળી ।।૮।।

કહે ખેતવાડી ખેંચી લિયો, નાત્યમાંહિ બેસવા મ દિયો ।

સત્સંગ એનો દિયો મુકાવી, પછી દીન થઇ નમશે આવી ।।૯।।

પછી કુસંગીયે એમ કીધું, ખેતવાડી એનું ખેંચી લીધું ।

ત્યારે કલો ગયો દરબાર, કર્યો ત્યાં જઇ પોતે પોકાર ।।૧૦।।

પણ લોંઠે લાંચ ભરી તિયાં, તેણે કરી રાયે ન કર્યો નિયા ।

કહે કલો વાત ચિત્ત ધરો, મારો ધર્મન્યાય કોઇ કરો ।।૧૧।।

ત્યારે સહુએ વાત એમ ઝાલી, સાચા સમ ખાઇ લે તું ચાલી ।

પછી એજ કીધો નિરધાર, સમ ખાધા વિના નહિ પાર ।।૧૨।।

સમ વસમા દેવાને કાજ, ચાલ્યા વાડીયે લઈ સમાજ ।

આવ્યા સહુ સમનું સાંભળી, દેશ ગામના માલ્યક મળી ।।૧૩।।

કર્યો તપાવી લોહગોળો લાલ, કહે સાચો હો તો લઇ ચાલ્ય ।

જોઇ કલો કરે છે વિચાર, પ્રભુ કેમ ઉતારશો પાર ।।૧૪।।

મારે એક આધાર તમારો, વાલા આ સમે રખે વિસારો ।

એમ કહેતાં આવ્યા ભગવાન, દીધાં દાસને દર્શન દાન ।।૧૫।।

આવી બોલ્યા એમ અવિનાશ, કહે રહે નિર્ભય તુ દાસ ।

બીક તજી ગોળો લે બે હાથ, નહિ દાઝ્ય કહે એમ નાથ ।।૧૬।।

પછી કલે ગોળો કર ઝાલી, લીધી પૃથવી પોતાની ચાલી ।

સહુ કહે સુણજયો સતસંગી, કાળું મોં લઇ ગયા કુસંગી ।।૧૭।।

એમ પરચો દઇ દયાળ, કરી નિજજન પ્રતિપાળ ।

વળી વાત કહું એક સારી, લેજયો હરિજન હૈયે ધારી ।।૧૮।।

એક ભક્ત કહીએ ભુલો નામ, રહે નકિ નંદાસન ગામ ।

અતિભોળો સરલ સ્વભાવ, જેને દગા પેચ નહિ દાવ ।।૧૯।।

કરે કણબી કૃષિનું કામ, ભજે સ્વામિનારાયણ નામ ।

વિશવાસી વિકારે રહિત, નિષ્કપટ પ્રભુમાંહિ પ્રીત ।।૨૦।।

પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ, તેની પડે નહિ સમજણ ।

એવી અતિશય છે ભોળાઇ, જેને સાન ગમાન ન કાંઇ ।।૨૧।।

તેતો દર્શન કરવા કાજ, ચાલ્યો તિયાં જીયાં છે મહારાજ ।

નહિ પોતાપાસે અન્ન જળ, માગી ખાય એવી નહિ કળ ।।૨૨।।

ડાબી જમણી ન જાણે વાટ, શીત ઉષ્ણનો નહિ ઉચ્ચાટ ।

એમ ચાલિયો દર્શન કાજ, ત્યારે આવિયા સામા મહારાજ ।।૨૩।।

વાલો વિપ્રતણો વેષ લઇ, ચાલ્યા ભક્ત પોતે ભેળા થઇ ।

પાતા પાણી ને આપતા અન્ન, લાવ્યા જનને કરી જતન ।।૨૪।।

ભેળા આવ્યા ભુજશહેર માંઇ, દેખાડી જાયગા ઝાલી બાંઇ ।

પછી એ રૂપ અદૃશ્ય કરી, આવી બેઠા પાટપર હરિ ।।૨૫।।

કીધાં ભક્ત ભુલે દરશન, નાથ નિરખીને થયો મગન ।

પછી નાથે પૂછ્યું એને એમ, કહો આવી શક્યા આંહિ કેમ ।।૨૬।।

અતિવૃદ્ધ ને ન ચાલે પગ, કેમ લાધો આ દેશમારગ ।

હતું ખરચી ભાતું ભેળું કાંઇ, કેમ પહોંચ્યા ડોસા તમે આંઇ ।।૨૭।।

કહે ભક્ત બ્રાહ્મણ ભેળો હતો, આવ્યો અન્ન ને જળ આપતો ।

મને તેડી આવ્યો એહ આંઇ, મેલી મંદિરમાં ગયા ક્યાંઇ ।।૨૮।।

ત્યારે નાથ કહે અમે હતા, આવ્યા તારી ખબર રાખતા ।

દીધાં વાટ ઘાટનાં એંધાણ, મળ્યાં નદી ગામનાં નિશાણ ।।૨૯।।

ત્યારે ભક્ત કહે સર્વે સત્ય, મને લાવિયા આપી હિમત્ય ।

એહ પરચો પુરણ પ્રમાણો, વળી વાત એક કહું જાણો ।।૩૦।।

એક કાજાુ કોટેસર ગામ, તિયાં ભક્ત રહે ઝવેરનામ ।

થયો બાલપણે સતસંગ, લાગ્યો કડવો સર્વે કુસંગ ।।૩૧।।

દૃઢ આશરો અંતર ધારી, ભજે સહજાનંદ સુખકારી ।

આખા ગામ માંહિ ઘર એક, બીજાં વસે ત્યાં પાપી વિષેક ।।૩૨।।

કરે અદાવત નાખે આળ, તે ન સમઝે ભક્ત દયાળ ।

પાપી કહે લાગ્યું તને પાપ, એક મુકી બીજો કર્યો બાપ ।।૩૩।।

ખોટા તમે ખોટો સતસંગ, ઠાલા અમથા ફુલો છો અંગ ।

જો જાણતા હો સાચું જ તમે, આપો પરચો તો માનિયે અમે ।।૩૪।।

કહે ભક્ત કેટલીક વાત, આપશે પરચો પ્રભુ સાક્ષાત ।

તોય તમથી નહિ મનાય, પડે પ્રતીત મને મનમાંય ।।૩૫।।

વારૂ માગો પરચો સહુ મળી, આપશે વાલો મારી સાંભળી ।

કહે વિમુખ આ ડેરે ચડી, જીવ તારો રહે ત્યાંથી પડી ।।૩૬।।

તો સાચા તમે ને સાચી વાત, સ્વામી પણ પ્રભુ તો સાક્ષાત ।

પછી ભોળો ભક્ત બુદ્ધિ બાળ, ચડ્યો શિવાલયે તતકાળ ।।૩૭।।

મેલ્યું ત્યાં થકી પડતું તન, સ્વામી સ્વામી કરતાં ભજન ।

પડ્યું અવનિ ઉપર અંગ, જાણ્યું થાશે કલેવર ભંગ ।।૩૮।।

રહ્યો આખી અણિએ નાવ્યો આળ, ન જણાણું વપુમાંહિ વાળ ।

કરી જગજીવને જતન, એમ ઉગારિયો નિજજન ।।૩૯।।

પાપી વિમુખ પાછેરા પડ્યા, સતસંગી અંગે રંગ ચડ્યા ।

આપ્યો પરચો એમ પ્રસિદ્ધ, કહું વાત બીજી કરી વિદ્ધ ।।૪૦।।

એક અમદાવાદને માંઇ, પ્રાણવલભ દ્વિજ રહે ત્યાંઇ ।

ભજે સ્વામિનારાયણ નિત્ય, બીજી વારતા જાણે અનિત્ય ।।૪૧।।

એકવાર ગોદાવરી ગયો, મરકી રોગમાંહિ માંદો થયો ।

રહ્યો નહિ રોગ ઘણા દન, તર્ત તજી ચાલ્યો જીવ તન ।।૪૨।।

આવ્યા તેડવા તેહને નાથ, ચાલ્યો વિપ્ર મહારાજ સાથ ।

કહે જીવન સાંભળ્ય જન, કાંઇ ઇચ્છા રહી તારે મન ।।૪૩।।

કહે દ્વિજ મેં ન કહ્યું કેને, મારો સંશય થાશે બહુ એને ।

કહેશે માનવી મરે છે બહુ, મુવો તેમજ કહેશે એ સહુ ।।૪૪।।

કહે નાથ તું જા દેહમાંઇ, કહી આવ્ય તું સહુને ત્યાંઇ ।

પછી પાછો આવ્યો જયારે પ્રાણ, ત્યાંતો તન લૈ ગ્યાતા મશાણ ।।૪૫।।

ખડક્યા કાષ્ટમાં સળવળ્યું તન, સહુ આશ્ચર્ય પામિયાં મન ।

એક કહે ગયો તો એ મરી, કેમ આવ્યો જીવ પાછો ફરી ।।૪૬।।

પામી વિસ્મય પૂછે છે વાત, ભાઇ તારી તું કહે વિખ્યાત ।

કહે દ્વિજ હું ગયો તો ધામ, આવ્યો પાછો હું એટલે કામ ।।૪૭।।

આતો કાળનો વેગ છે ભારી, નાખશે નરનારીને મારી ।

માટે સ્વામિનારાયણ કહો, તો તમે સર્વે જીવતા રહો ।।૪૮।।

માનો મારૂં એટલું વચન, તાળી પાડીને કરો ભજન ।

પછી ધુન્ય કરીને દેખાડી, તાળી ભેળી પોત્યે પણ પાડી ।।૪૯।।

પછી માગી શીખ મુક્યું તન, પામિયા આશ્ચર્ય લાખો જન ।

થયો પર્ચો એ પ્રસિદ્ધ જાણો, જાણી આનંદ અંગમાં આણો ।।૫૦।।

જાુવો સર્વે સતસંગમાંઇ, સદા સુખ દુઃખ નહિ કાંઇ ।

નિત્ય સહાય કરે સહજાનંદ, જોઇ મગન રહે જનવૃંદ ।।૫૧।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળા નંદ મુનિવિરચિતે ભક્તચિંતામણિમધ્યે શ્રીજીમહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે એકસો ને સાડત્રિશમું પ્રકરણમ્ ।।૧૩૭।।