પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર - ર૭ જન્માષ્ટમી, વસંતપંચમી ઉત્સવ લીલા

Submitted by swaminarayanworld on Tue, 19/04/2016 - 9:16pm

 

દોહા

વરણવી વાત વરતાલની, કોટિ ઘણિમાંથી કિંચિત ।

ગાઉં રીતિ ગઢડાતણી, જીયાં ઉદ્ધારિયા અગણિત ।।૧।।

ઘણું ઘણું ઘનશ્યામ જીયાં, રહી કર્યાં માંગલિક કાજ ।

અનંત જીવ ઉદ્ધારિયા, મહા નિજબળે મહારાજ ।।૨।।

પાપી સુરાપી પલલભક્ષી, લખી ન જાયે અવળાઇ લેશ ।

એવા જન ઉદ્ધારિયા, આપી આપે ઉપદેશ ।।૩।।

વળી ઉત્સવ સમૈયા અતિ કર્યા, તેમાં આવિયા જેજે જન ।

તે જનને પણ તારિયા, દઈ પોતે દરશન ।।૪।।

 

ચોપાઇ

કર્યા ઉત્સવ અતિ અપારરે, જગજીવન જગ આધારરે ।

અષ્ટમી અન્નકોટ ઉત્સવરે, કર્યા ભવજળ તારવા ભવરે ।।૫।।

વસંતપંચમી ને ફુલદોલરે, તેદિ રંગ ઉડાડ્યો અતોલરે ।

રામનૌમી એકાદશી આદિરે, તેદિ લીળા કરી રાયજાદિરે ।।૬।।

અષ્ટમી ઉત્સવે આવ્યા દાસરે, રાખ્યા ચોમાસાના ચાર માસરે ।

નિત્ય ના’વા જાતા સંત સાથરે, જન જોઈને થાતા સનાથરે ।।૭।।

ના’તા નૌતમ કરતા લીળારે, ભળી વળી પોતે સંત ભેળારે ।

ગાતા વાતા આવતા ઉતારેરે, જન જમાડતા તેહ વારેરે ।।૮।।

જમી આપે જમાડતા જનરે, ભાત્ય ભાત્યનાં અન્ન વ્યંજનરે ।

દેતા દહીં દુધ તે દોવટેરે, સારા શોભતા સોનેરી પટેરે ।।૯।।

બહુવાર પંગત્યમાં ફરતારે, એમ અષ્ટમી ઉત્સવ કરતારે ।

અન્નકોટ ઉપર આવે દાસરે, તેને ઉઠી મળે અવિનાશરે ।।૧૦।।

હાર ઉતારી હૈયેથી દિયેરે, જન નમાવી મસ્તક લિયેરે ।

પછી પુછે સુખ સમાચારરે, એમ આપે સુખ અપારરે ।।૧૧।।

પછી અનેક ભાત્યનાં અન્નરે, કરી રાખ્યાં જે ભરી ભાજનરે ।

તે તો પંક્તિ કરી પિરસ્યાંરે, જમી જન મનમાં હુલસ્યાંરે ।।૧૨।।

નિજ હાથે જમાડેછે નાથરે, મૂકી જન માથે હરિ હાથરે ।

એમ આપેછે સુખ અલેખેરે, તે તો નર અમર સૌ દેખેરે ।।૧૩।।

એહ ઉત્સવમાં હતા જનરે, તેનાં ભાગ્ય માનો ધન્યધન્યરે ।

પણ એમાં તો ન હોય ભેળારે, કેડે સાંભળી જેણે એ લીળારે ।।૧૪।।

તે તો બ્રહ્મમો’લે ભલિ ભાત્યરે, જાશે બીજાને લઇ સંગાત્યરે ।

તેમાં સંશે કરશોમાં કાંઇરે, હરિએ ઇચ્છા કરી ઉરમાંઇરે ।।૧૫।।

વળી વસંત પંચમીએ વાલેરે, બહુ સખા રંગ્યા’તા ગુલાલેરે ।

પોતે ભરી ગુલાલની ઝોળીરે, નાંખી રંગ્યા હતા સંત ટોળીરે ।।૧૬।।

એહ સમો સંભારે જે જનરે, વળી સાંભળી કરે ચિંતવનરે ।

તેને અક્ષરધામનું બારરે, જાણો ઉઘડિયું છે આ વારરે ।।૧૭।।

શીદ શંકા રાખે જન મનરે, મળ્યે સહજાનંદ ભગવનરે ।

આજ બહુ જીવ તારવા સારુરે, કર્યા અલબેલે ઉપાય હજારુરે ।।૧૮।।

જીવ જોરેશું જાવા છે લઇરે, સુખી કરવા છે સુખ દઇરે ।

હશે જીવને જાવાનું બીજેરે, પણ જાવું પડશે રીઝે ખીજેરે ।।૧૯।।

એમાં નહિ પડે કેણે ફેરરે, શીદ કહેવરાવો વેરવેરરે ।

હરિ પ્રતાપે બ્રહ્મમો’લમાંરે, જાવા આવી ગયા છે તોલમાંરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે સપ્તવિંશઃ પ્રકારઃ ।।૨૭।।