પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર - ૪૦

Submitted by swaminarayanworld on Thu, 21/04/2016 - 5:19pm

 

દોહા

માટે સહુ ધર્મકુળ માનજો, સહુ કરજો એની સેવ ।

અન્ય જન જેવા એહ નહિ, એ છે જાણજો મોટા દેવ ।।૧।।

એક બ્રાહ્મણને જાણો ભક્ત અતિ, વળી કા’વે અમારું કુળ ।

એને સેવતાં સૌ જન તમો, પામશો સુખ અતુળ ।।૨।।

મનવાંછિત વાત મળશે, વળી સેવતાં એનાં ચરણ ।

એ છે અમારી આગન્યા, સર્વે કાળમાં સુખ કરણ ।।૩।।

મન કર્મ વચને માનજો, એમાં નથી સંશય લગાર ।

એહ દ્વારે મારે અનેકનો, આજ કરવો છે ઉદ્ધાર ।।૪।।

 

ચોપાઇ

માટે સૌ રે’જો એને વચનેરે, ત્યાગી ગૃહી સહુ એક મનેરે ।

રે’જો ધર્મવંશીને ગમતેરે, વર્તશો માં કોયે મન મતેરે ।।૫।।

એહ કહે તેમ સહુ કરજોરે, પૂછ્યા વિના તો પગ ન ભરજોરે ।

હાથ જોડીને રે’જો હજુરરે, કરી ડા’પણ પોતાનું દૂરરે ।।૬।।

વિદ્યા ગુણ બુદ્ધિને બળેરે, એને દબાવવા નહિ કોઇ પળેરે ।

ત્યાગી રાગી ને કવિ કોઇ હોયરે, તોય એને માનજો સહુ કોયરે ।।૭।।

વાદ વિવાદ કરી વદનેરે, એશું બોલશો માં કોઇ દનેરે ।

એની વાત ઉપર વાત આણીરે, કેદિ વદશો માં મુખે વાણીરે ।।૮।।

એને હોડયે હઠાવી હરવીરે, પોતાની સરસાઈ ન કરવીરે ।

પોતે સમઝી પોતાને પ્રવિણરે, એને સમઝશો માં ગુણે હીણરે ।।૯।।

જેમ એ વાળે તેમ વળજોરે, એના કામ કાજમાં ભળજોરે ।

એની માનજો સહુ આગન્યારે, વર્તશો માં કોયે વચન વિનારે ।।૧૦।।

એને રાજી રાખશો જો તમેરે, તો તમ પર રાજી છીએ અમેરે ।

એને રાજી રાખશે જે જનરે, તેણે અમને કર્યા પરસનરે ।।૧૧।।

કાંજે અમારે ઠેકાણે એ છેરે, તે તો પ્રવિણ હોય તે પ્રીછેરે ।

બીજા જન એ મર્મ ન લહેરે, ભોળા મનુષ્યને ભોળાઇ રહેરે ।।૧૨।।

પણ સમઝવી વાત સુધીરે, અતિ મતિ ન રાખવી ઉંધીરે ।

વચન દ્વારે વસ્યા અમે એમાંરે, તમે ફેર જાણશો માં તેમાંરે ।।૧૩।।

અમે એમાં એ છે અમમાંઇરે, એમ સમઝો સહુ બાઇ ભાઇરે ।

એથી અમે અળગા ન રૈ’યેરે, એમાં રહિને દર્શન દૈયેરે ।।૧૪।।

જેજે જનને થાય સમાસરે, તે તો અમે કરી રહ્યા વાસરે ।

શે’ર પાટણે સનમાન જડેરે, તે તો અમારી સામર્થી વડેરે ।।૧૫।।

દેશ પરદેશે પૂજાયે આપરે, તે તો જાણો અમારો પ્રતાપરે ।

જીયાં જાય તિયાં જય જિતરે, તે તો અમે રહ્યા રૂડી રીતરે ।।૧૬।।

એમ સમઝો સહુ સુજાણરે, અમ વિના ન હોય કલ્યાણરે ।

ધર્મવંશી આચારજ માંયરે, સદા રહ્યો છું મારી ઇચ્છાયરે ।।૧૭।।

અતિ ધર્મવાળા જોઇ જનરે, રે’વા માની ગયું મારું મનરે ।

માટે એને પૂજે હું પૂજાણોરે, તે તો જરૂર જન મન જાણોરે ।।૧૮।।

એનું જેણે કર્યું સનમાનરે, તેણે મારું કર્યું છે નિદાનરે ।

એમ જાણી લેજો સહુ જનરે, એમ બોલિયા શ્રી ભગવનરે ।।૧૯।।

સુણી જન મગન થયારે, ધન્ય ધન્ય સ્વામી કે’વા રહ્યારે ।

પછી સહુએ આચારજ સેવ્યારે, તે તો મોટા સુખને લેવારે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે ચત્વારિંશઃ પ્રકારઃ ।।૪૦।।