વચનવિધિ કડવું - ૨૮ સંત સાચા તે સંસારમાં, રહે હરિવચને હમેશ રે; પદ-૭

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 6:25pm

સાચા શુદ્ધ સંતનો સમાગમ કયાંથીજી, થોડે પુણ્યે કરી એ થાતો નથીજી
જેણે કરી છુટિયે મહાદુઃખમાંથીજી, જરૂર જીવના એ સાચા સંગાથીજી

સાચા સંગાથી સંત છે, જાણો જીવના જગમાંય ।।
ભવસાગરમાં ડૂબતાં, સાચા સંત કરે છે સા’ય ।। ર ।।

વા’રુ છે વસમી વેળાતણા, જયારે આવે પળ વળી આકરી ।।
તે સમે સાચા સંત સગા, કાં તો સગા છે શ્રીહરિ ।। ૩ ।।

તેહ વિના ત્રિલોકમાં, નથી જીવને ઠરવા ઠામ ।।
આદ્યે અંત્યે મધ્યે માનજો, સર્યા સહુનાં એથી કામ ।। ૪ ।।

તે સંત શાણા શુભગુણે, જેમાં અશુભ ગુણ નહિ એક ।।
પરઉપકારી સગાં સહુનાં, ધર્મ નિયમવાળા વિશેક ।। પ ।।

કામ ક્રોધ લોભે કરી, જેને અંતરે નથી ઉત્તાપ ।।
નિર્માની નિઃસ્પૃહી નિઃસ્વાદી, નિર્મોહી વળી નિષ્પાપ ।। ૬ ।।

જકતદોષ જેના જીવમાં, વળી અડ્યો નથી અણુ ભાર ।।
એવા સંત શુદ્ધ શિરોમણિ, ત્રિલોકના તારનાર ।। ૭ ।।

વચન ન લોપે વાલાતણું, હોય પંડ્યમાં જયાં લગી પ્રાણ ।।
નિષ્કુળાનંદ એવા સંતના, શ્રીહરિ કરે છે વખાણ ।। ૮ ।।

પદ-૭
રાગ-ધોળ
‘મન રે માન્યું નંદલાલશું’ એ ઢાળ.

સંત સાચા તે સંસારમાં, રહે હરિવચને હમેશ રે;
આપત્કાળ જો આવે આકરો, તોયે વચન લોપે નહિ લેશ રે. સંત૦ ।। ૧ ।।
અખંડ પાળે જો હરિઆગન્યા, ઇચ્છે નહિ આ લોકના સુખ રે;
દેહ અભિમાનને દૂર કરી, સદા રહે હરિસન્મુખ રે. સંત૦ ।। ૨ ।।
મરજી ન લોપે મહારાજની, આવે અંગે દુઃખ જો અતોલ૩ રે;
સાબિત કીધી છે સાટે શીશને, ખરી કરી મનમાંય ખોળ૨ રે. સંત૦ ।। ૩ ।।
એવું એક અંગ રંગ ઊતરે નહિ, એક રે’ણી કે’ણી ટેક એક ઉર૩ રે;
નિષ્કુળાનંદ કહે એવા સંતને, દરશને થાયે દુઃખ દૂર રે. સંત૦ ।। ૪ ।।