ગઢડા પ્રથમ – ૬૬ : શાસ્ત્રના શબ્‍દછલનું, ચતુર્વ્યૂહની વાતનું

Submitted by swaminarayanworld on Thu, 20/01/2011 - 9:56pm

ગઢડા પ્રથમ – ૬૬ : શાસ્ત્રના શબ્‍દછલનું, ચતુર્વ્યૂહની વાતનું

સંવત્ ૧૮૭૬ ના ફાગણ વદિ અમાસને દિવસ સ્‍વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો ને ધોળી પછેડી ઓઢી હતી ને માથે ધોળો ફેંટો બાંઘ્‍યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “શ્રીમદ્ભાગવતને વિષે વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્‍ન અને અનિરુદ્ધ એ ચતુવ્‍ર્યૂહનીજ વાર્તા છે તે કોઇ ઠેકાણે એને સગુણ કરીને કહે છે અને કોઇ ઠેકાણે એને નિર્ગુણ કરીને કહે છે, તે જ્યારે નિર્ગુણ કરીને કહે છે ત્‍યારે વાસુદેવ ભગવાનને કહે છે. અને જ્યારે સગુણ કરીને કહે છે ત્‍યારે સંકર્ષણ, અનિરૂદ્ધ, પ્રદ્યુમ્‍નને કહેછે, માટે જ્યારે નિર્ગુણપણે કહ્યા હોય ત્‍યારે સાંભળનારાની ને વાંચનારાની મતિ ભ્રમિ જાય છે અને એમ જાણે છે જે ‘ભગવાનનો તો આકાર નથી’ તે સમજનારાની અવળી સમજણ છે. અને શાસ્ત્રમાં જે શબ્‍દછળ છે તે એકાંતિક ભક્ત વિના બીજાને સમજાતા નથી, તે કયા શબ્‍દછળ તો જે ‘ભગવાન અરૂપ છે, જ્યોતિ સ્‍વરૂપ છે, નિર્ગુણ છે ને સર્વત્ર વ્‍યાપક છે.’ એવાં વચન સાંભળીને મૂર્ખ હોય તે એમ જાણે જે, ‘શાસ્ત્રમાં તો ભગવાનને અરૂપ જ કહ્યા છે.’ અને જે એકાંતિક ભક્ત હોય તે તો એમ જાણે જે ‘શાસ્ત્રમાં ભગવાનને જે અરૂપ ને નિર્ગુણ કહ્યા છે, તે તો માયિક એવા જે રૂપ ને ગુણ તેના નિષેધને અર્થે કહ્યા છે. પણ ભગવાન તો નિત્‍ય દિવ્‍યમૂર્તિ છે અને અનંત કલ્‍યાણ ગુણે યુક્ત છે અને તેજના પુંજરૂપ કહ્યા છે તે તો મૂર્તિ વિના તેજ હોય નહિ, માટે એ તેજ તે મૂર્તિનું છે. જેમ અગ્‍નિની મૂર્તિ છે તે મૂર્તિમાંથી અગ્‍નિની જ્વાળા પ્રગટ થાય છે, તેણે કરીને તે અગ્‍નિની મૂર્તિ દેખાતી નથી અને જ્વાળા દેખાય છે, પણ સમજુ હોય તે એમ જાણે જે અગ્‍નિની મૂર્તિમાંથી જ જ્વાળા નીકળે છે, તેમ જ વરૂણની મૂર્તિમાંથી જળ પ્રગટ થાય છે, તે જળ દેખાય છે અને વરુણની મૂર્તિ દેખાતી નથી, પણ સમજુ હોય તે એમ જાણે જે વરૂણની મૂર્તિમાંથી સર્વે જળ છે. તેમ બ્રહ્મ સત્તારૂપ જે કોટિ સૂર્ય જેવો પ્રકાશ છે તે પુરૂષોત્તમ ભગવાનની મૂર્તિનો પ્રકાશ છે. અને શાસ્ત્રમાં એવાં વચન હોય જે, “જેમ કાંટે કરીને કાંટો કાઢીને પછી બેયનો ત્‍યાગ કરે, તેમ ભગવાન પૃથ્‍વીનો ભાર ઉતારવાને કાજે દેહને ધરે છે, તે ભાર ઉતારીને દેહનો ત્‍યાગ કરે છે.” એવા જે શબ્‍દના છળ તેને સાંભળીને મૂર્ખ હોય તે ભૂલા પડે છે. અને ભગવાનને અરૂપ સમજે છે, પણ ભગવાનની જે મૂર્તિ તેને દિવ્‍ય જાણતા નથી. અને એકાંતિક ભક્ત હોય તે તો એમ જાણે જે, જ્યારે શ્રીકૃષ્ણ ભગવાન અર્જાુનની પ્રતિજ્ઞા રાખવાને કાજે બ્રાહ્મણના પુત્ર લેવાને ગયા, ત્‍યારે દ્વારિકામાંથી રથ ઉપર બેસીને અજર્ુન સહિત ચાલ્‍યા, તે લોકાલોક પર્વતને ઉલ્‍લંધીને માયાનો જે અંધકાર તેને સુદર્શનચક્રે કરીને કાપીને તેને વિષે રથને હાંકીને તેજ:પુંજને વિષે પ્રવેશ કરીને, ભૂમાપુરૂષ પાસેથી બ્રાહ્મણના પુત્રને લઇ આવતા હવા. માટે શ્રીકૃષ્ણભગવાન દિવ્‍યમૂર્તિ હતા તો તેને પ્રતાપે કરીને લાકડાંનો જે રથ અને પંચભૂતના દેહવાળા જે ધોડા તે સર્વ દિવ્‍ય ને માયાપર જે ચૈતન્‍ય તે રૂપ થતા હવા, અને જો દિવ્‍યરૂપ ન થયા હોય તો જેટલું માયાનું કાર્ય હોય તેટલું માયામાંજ લીન થાય, પણ માયાથી પર જે બ્રહ્મ ત્‍યાં સુધી પહાંચે નહિ, માટે જે ભગવાનની મૂર્તિને પ્રતાપે માયિક પદાર્થ હતાં તે પણ અમાયિક થયાં. એવું જે ભગવાનનું સ્‍વરૂપ તેને મૂર્ખ હોય તે માયિક સમજે અને જે એકાંતિક સંત છે તે તો ભગવાનની મૂર્તિને અક્ષરાતીત સમજે છે, અને મૂર્તિમાન એવા જે પુરૂષોત્તમ ભગવાન તેને બ્રહ્મરૂપ જે અનંતકોટિ મુક્ત અને અક્ષરધામ એ સર્વેના આત્‍મા જાણેછે.

માટે કોઇ ગમે તેવાં શાસ્ત્ર વંચાતાં હોય અને તેમાં ભગવાનનું નિર્ગુણપણે કરીને પ્રતિપાદન આવે, તે ઠેકાણે એમ જાણવું જે, એ ભગવાનની મૂર્તિનો મહિમા કહ્યો છે. પણ ભગવાન તો સદા મૂર્તિમાન જ છે. એવી રીતે જે સમજે તેને એકાંતિક ભક્ત કહીએ.” ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૬૬||