ગઢડા પ્રથમ – ૭૭ : જ્ઞાનને ઓથ્‍યે ધર્મ ખોટા ન કરવાનું

Submitted by swaminarayanworld on Thu, 20/01/2011 - 10:06pm

ગઢડા પ્રથમ – ૭૭ : જ્ઞાનને ઓથ્‍યે ધર્મ ખોટા ન કરવાનું

સંવત્ ૧૮૭૬ના  દ્વિતીય જ્યેષ્‍ઠ વદિ ૩૦ અમાવાસ્‍યાને દિવસ સ્‍વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિર આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલીયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

અને મુનિ માંહોમાંહી પ્રશ્ર્ન ઉત્તર કરતા હતા, પછી એક મુનિએ અણસમજણે કરીને ભગવાનના નિશ્વયનું બળ લઈને ધર્મને ખોટા જેવા કરવા માંડયા, પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, ભગવાનના જ્ઞાનનો ઓથ લઈને જે ધર્મને ખોટા કરી નાખે તેને અસુર જાણવો, અને ભગવાનના સ્‍વરૂપમાં તો એવા કલ્‍યાણકારી અનંત ગુણ રહ્યા છે તે શ્રીમદ્ભાગવતને વિષે પ્રથમ સ્‍કંધમાં પૃથ્‍વીએ ધર્મ પ્રત્‍યે કહ્યા છે, માટે જેને ભગવાનનો આશરો હોય તેમાં તો ભગવાનના કલ્‍યાણકારી ગુણ આવે છે અને જેને ભગવાનના સ્‍વરૂપનો નિશ્વય હોય, તેમાં એકાદશ સ્‍કંધમાં કહ્યાં એવાં જે સાધુનાં ત્રીસ લક્ષણ તે આવે છે, માટે જેમાં ત્રીસ લક્ષણ સંતનાં ન હોય, તેને પુરો સાધુ ન જાણવો અને જેને ભગવાનનો નિશ્વય હોય તેના હૈયામાં તો પ્રભુના કલ્‍યાણકારી ગુણ જરૂર આવે અને જ્યારે પ્રભુના ગુણ સંતમાં આવે, ત્‍યારે તે સાધુ ત્રીશ લક્ષણે યુક્ત હોય, માટે આજથી જે કોઈ પંચ વર્તમાનરૂપ જે ધર્મ, તેને મુકીને જ્ઞાનનું કે ભકિતનું બળ લેશે, તે ગુરૂદ્રોહી, વચન દ્રોહી છે અને એવી ધર્મભંગ વાત જે કોઈ કરતો હોય તેને વિમુખ કહેવો અને એમ કહેવું જે, ‘તમે તો અસુરનો પક્ષ લીધો છે, તે અમે નહિ માનીએ.’ એમ કહીને તે અધર્મીની વાતને ખોટી કરી નાખવી.

પછી સંતે પ્રશ્ર્ન પુછયો જે, ”હે મહારાજ ! કોઈક ભગવાનનો અતિ દૃઢ ભક્ત હોયને દેહ મુકવા ટાણે તેને પીડા થઈ આવે છે, અને બોલ્‍યાનું પણ કાંઈ ઠેકાણું રહેતું નથી. અને કોઈક તો કાંઈ પાકો હરિભક્ત જણાતો ન હોય, ને તે દેહ મુકવાને સમે તો અતિ સમર્થ જણાય છે. ને અતિશે ભગવાનના પ્રતાપને જાણીને, ને ભગવાનનો મહિમા મુખે કહીને સુખીયો થકો દેહ મુકે છે. એનું શું કારણ છે ? જે સારો હોય તેનું અંત સમે સારૂં ન દેખાય અને જેવો તેવો હોય તેનું અંત સમે સારૂં દેખાય છે, એનું કારણ કહો” એ પ્રશ્ર્ન છે. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, દેશ, કાળ, ક્રિયા, સંગ, ઘ્‍યાન, મંત્ર, દીક્ષા અને શાસ્ત્ર, એ આઠ જેવાં હોય તેવી પુરૂષની મતિ થાય છે, તે જો સારાં હોય તો સારી મતિ થાય છે અને ભૂંડાં હોય તો ભૂંડી મતિ થાય છે અને પુરૂષના હૃદયને વિષે પરમેશ્વરની માયાના પ્રેર્યા થકા ચારે યુગના ધર્મ વારા ફરતી વર્તતા હોય, તે જો અંત સમે સતયુગનો ધર્મ આવી જાય તો મૃત્‍યું બહુ શોભી ઉઠે અને ત્રેતા ને દ્વાપરનો  ધર્મ આવે તો તેથી થોડું શોભે અને કળીનો ધર્મ મૃત્‍યું સમે આવે તો અતિશે ભૂંડુ દેખાય, એમ અંત સમે સારૂં નરસું તેતો કાળે કરીને છે, અથવા જાગ્રત, સ્‍વપ્ન અને સુષુપતિ એ ત્રણ અવસ્‍થા છે. તેમાં જો અંત સમે જાગ્રત અવસ્‍થા વર્તતી હોય તો પાપી હોય તે પણ બોલતાં ચાલતાં દેહ મુકે છે અને અંત સમે સ્‍વપ્ન અવસ્‍થા વર્તતી હોય, તો ઝંખ્‍યા જેવું કાંઈ ને કાંઈ બોલતો થકો ભગવાનનો ભક્ત હોય, તો પણ દેહ મુકે અને અંત સમે સુષુપ્‍તિ અવસ્‍થા પ્રધાન વર્તે તો ભગવાનનો ભક્ત હોય અથવા વિમુખ હોય તો પણ ધેનમાં ને ધેનમાં રહીને દેહ મુકે. પણ સારૂં કે નરસું કાંઈ બોલાય નહિ અને અંતકાળે એ ત્રણ અવસ્‍થા થકી પર અને બ્રહ્મરૂપ એવો પોતાના જીવાત્‍માને સાક્ષાત્‍કાર માનતો થકો જે દેહ મુકે, તેતો જેવી ઈશ્વરની સામર્થિ હોય તેવી સામર્થિ જણાવીને દેહ મુકે છે. અને એમ બ્રહ્મરૂપ થઈને ને સામર્થિ જણાવીને દેહ મુકવો, તે ભગવાનના ભક્તનેજ થાય છે. પણ બીજા વિમુખ જીવને એમ થાયજ નહિ, એવી રીતે કાળે કરીને અંત સમે સારૂં નરસું જણાય છે, અથવા અવસ્‍થાઓને યોગે કરીને સારૂં નરસું જણાય છે, અને વિમુખ હોય ને તેને અંતકાળે જાગ્રત અવસ્‍થા વર્તતી હોય, ને બોલતો ચાલતો દેહ મુકે, તેણે કરીને કાંઈ તેનું કલ્‍યાણ થતું નથી, વિમુખ તો સારી રીતે દેહ મુકે અથવા ભૂંડી રીતે મુકે પણ નરકેજ જાય અને ભગવાનનો ભક્ત હોય તે બોલતો બોલતો દેહ મુકે  અથવા ઝંખ્‍યા જેવું બોલીને દેહ મુકે અથવા શૂન્‍ય મૌન રહીને દેહ મુકે પણ તેનું કલ્‍યાણજ છે, પણ એમાં કાંઈ સંશય નથી એમ ભગવાનના ભક્તને જાણવું અને ભગવાનનો ભક્ત હોય તેને અંત સમે સ્‍વપ્નાદિકને યોગે કરીને ઉપરથી પીડા જેવું જણાતું હોય, પણ એને અંતરમાં તો ભગવાનને પ્રતાપે કરીને અતિ આનંદ વર્તતો હોય. માટે નક્કી હરિભક્ત હોય ને અંત સમે લાવાં ઝંખાં કરતો થકો દેહ મુકે, પણ એના કલ્‍યાણમાં લેશ માત્ર સંશય રાખવો નહિ. ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૭૭||