ગઢડા અંત્ય ૨૦ : સ્વભાવ, પ્રકૃતિ કે વાસનાનું

Submitted by Parth Patel on Fri, 18/02/2011 - 3:44am

ગઢડા અંત્ય ૨૦ : સ્વભાવ, પ્રકૃતિ કે વાસનાનું 

સંવત્ ૧૮૮૪ના શ્રાવણ વદિ અમાવાસ્‍યાને દિવસ રાત્રિને સમે સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી દીનાનાથ ભટ્ટે પ્રશ્ર્ન પુછયો જે, હે મહારાજ ! ૧કાળ તો ભગવાનની શકિત છે, ને કર્મ તો જીવે કર્યાં હોય તે છે, પણ સ્‍વભાવ તે વસ્‍તુગતે શું હશે ? પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “જીવે જે પૂર્વ જન્‍મને વિષે કર્મ કર્યાં છે તે કર્મ પરિપકવ અવસ્‍થાને પામીને જીવ ભેળાં એકરસ થઈ ગયાં છે. જેમ લોઢાને વિષે અગ્‍નિ પ્રવેશ થઈ જાય, તેમ પરિપકવ પણાને પામીને જીવ સાથે મળી રહ્યાં એવાં જે કર્મ તેને જ સ્‍વભાવ કહીએ અને તેને જ વાસના તથા પ્રકૃતિ કહીએ.”

પછી મુકતાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, “હે મહારાજ ! જીવ સાથે એકરસપણાને પામી રહ્યાં એવાં જે કર્મ એને સ્‍વભાવ તથા વાસના કરીને કહોછો એ વાસનાને ટાળ્‍યાનો શો ઉપાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “એ વાસના ટાળ્‍યાનો ઉપાય તો આત્‍મ-નિષ્‍ઠાએ સહિત શ્રીકૃષ્ણભગવાનની ભકિત કરવી એજ ભાસે છે. અને જો આત્‍મનિષ્‍ઠા વિના એકલી જ શ્રીકૃષ્ણભગવાનની ભકિત હોય તો જેમ ભગવાનમાં હેત કરે તેમ બીજા પદાર્થમાં પણ હેત થઈ જાય. માટે આત્‍મનિષ્‍ઠા સહિત ભકિત કરવી એ જ વાસના ટાળ્‍યાનો ઉપાય છે. અને આત્‍મનિષ્‍ઠાવાળાને પણ જો કોઈક ભૂંડા દેશકાળાદિકને યોગે કરીને અજ્ઞાનીની પેઠે જ ક્ષોભ થઈ આવે પણ ઝાઝી વાર ટકે નહિ.”  ઇતિ વચનામૃતમ્ ગઢડા અંત્યનું ||૨૦|| ૨૫૪ ||