૬૯. શ્રીહરિએ વડતાલે પધારી દીપમાળાનો ઉત્સવ કર્યો, બામણોલીમાં ઘોડી ખૂબ ખેલાવી, વલાસણમાં હિંડોળે બ

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 3:58pm

ચોપાઇ-

એવી લીળા અલૌકિક કીધી, પછી સંતને શીખજ દીધી ।

સંત ચાલ્યા ગયા ગુજરાત, કરતા સુંદર લીળાની વાત ।।૧।।

ખાતાં પિતાં સુતાં સ્વપ્નામાં, કરે મનન લીળાનું મનમાં ।

જયારે સુતા થકી જન જાગે, ધન્ય ધન્ય નાથ કેવા લાગે ।।૨।।

જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાંય, પ્રભુ વિના ન સાંભરે કાંય ।

જેજે લીળા કીધી ભગવાને, સંત ચિંતવે તે નિત્ય ધ્યાને ।।૩।।

જયારે ધ્યાનમાં બેસે જે જન, જોઇ મૂરતિ થાય મગન ।

ક્યારે દેખે છે જરકશી વાઘે, શાલ દુશાલ કસુંબી પાઘે ।।૪।।

ક્યારે દેખે ફુલમાં ફુલતા, ક્યારે દેખે રંગડામાં રાતા ।

ક્યારે દેખે નાખતા ગુલાલ, કર પીચકારી કરે ખ્યાલ ।।૫।।

ક્યારે દેખે અશ્વે અસવાર, ક્યારે લેતા લટકેશું હાર ।

ક્યારે દેખે પંગત્યમાં ફરતા, લઇ મોદક મનવાર્યું કરતા ।।૬।।

ક્યારે દેખે ચંદનની ખોરે, ક્યારે દેખે ઝુલતા હિંડોરે ।

ક્યારે દેખે કપૂરની માળ, ક્યારે દેખે પૂજયા છે મરાળ ।।૭।।

એમ અનેક રીતે અલબેલો, આવે ધ્યાનમાં છેલ છબીલો ।

તેની માંહોમાંહિ કરે વાત, સુણી સંત રહે રળિયાત ।।૮।।

એમ કરતાં કાંયેક દિન ગિયા, તિયાં પ્રભુ પોેતે પધારીયા ।

વરતાલે વાલ્યમજી આવ્યા, ગામોગામથી સંત બોલાવ્યા ।।૯।।

આવી લાગ્યા પ્રભુજીને પાય, નાથ નિર્ખિને તૃપ્ત ન થાય ।

કોઇ કરે કરી કર ચાંપે, કોઇ ચરણ ગ્રહી છાતી છાપે ।।૧૦।।

કોઇ કરે પાદોદક પાન, જુવે જનનું હેત ભગવાન ।

સુંદર શોભે બોરીનો ચોફાળ, ઓઢી બેઠા તે પાટે દયાળ ।।૧૧।।

હેતે જોયું છે સહુને હેરી, દૃષ્ટિ કરી છે અમૃત કેરી ।

પછી બોલિયા પ્રાણજીવન, યાં તો માતા નથી હરિજન ।।૧૨।।

સર્વે ચાલીએ પુરને બાર, કરે દર્શન સહુ નરનાર ।

પછી સુંદર એક આંબલો, સઘન છાયે તે શોભે છે ભલો ।।૧૩।।

તિયાં જને જોઇ પાટ ઢાળી, તિયાં બેઠા આવી વનમાળી ।

થયાં દર્શન સહુ સાથને, સર્વે જોઇ રહ્યા છે નાથને ।।૧૪।।

જેજે જન દર્શને આવે, કોઇ પુષ્પ પત્ર ફળ લાવે ।

આણિ મુકે મહારાજની આગે, પછી કર જોડી પાય લાગે ।।૧૫।।

કહે ભલે આવ્યા ભગવાન, દિધાં અમને દર્શન દાન ।

એમ કરે સ્તવન જન રહ્યા, તિયાં બેઉ જામ વહી ગયા ।।૧૬।।

પછી બોલિયા પ્રાણ આધાર, હજી રસોઇને સઇ વાર ।

ત્યારે જોઇને આવીયો જન, ચાલો મહારાજ થયાં ભોજન ।।૧૭।।

પછી પધાર્યા પ્રાણજીવન, સખા સાથે લઇ મુનિ જન ।

તિયાં કર્યો અન્નકોટ અતિ, જમ્યા જુગતે તે પ્રાણપતિ ।।૧૮।।

પછી સંતની પંગતિ કિધિ, પિરસ્યું પ્રભુએ બહુવિધિ ।

ફર્યા પંગત્યમાં પાંચવાર, જમ્યા જન થયો જેજેકાર ।।૧૯।।

પછી આવ્યા છે આંબલે ફરી, બેઠા પાટ ઉપર પોતે હરિ ।

તિયાં પ્રશ્ન ઉત્તર બહુ કિધા, સંતે મન માન્યાં સુખ લીધાં ।।૨૦।।

પછી સાંજે પુરી દીપમાળ, અતિસુંદર શોભે વિશાળ ।

કરી કમાન્યો કાંગરા રાજે, તિયાં સુંદર દિવા વિરાજે ।।૨૧।।

કર્યાં ઝાડ દોય દીપતણાં, થઇ શોભા જુવે જન ઘણાં ।

બેઠા મધ્યે પોતે મહારાજ, દાસને દેવા દર્શન કાજ ।।૨૨।।

જોઇ જન થયાં છે મગન, સહુ કહે પ્રભુ ધન્ય ધન્ય ।

આવ્યો આનંદ માય ન મન, પછી ગાવા લાગ્યા કીરતન ।।૨૩।।

ગાય ગરબી ને રમે છે રાસ, ફરતાં ફુદડી દેખીયા દાસ ।

જોઇ જન ઉઠ્યા અલબેલ, આવ્યા ખાંતિલો કરવા ખેલ ।।૨૪।।

રમે જન ભમે પોતે ભેળા, એમ કરે છે લાડીલો લીળા ।

નિત્ય કરે નવલો વિહાર, તેનો કહેતાં આવે કેમ પાર ।।૨૫।।

આવે સત્સંગી નરનાર, લાવે પૂજા ને પૂજે મોરાર ।

એક દિ જને જમાડ્યા હરિ, બહુ પ્રેમ ભરી પૂજા કરી ।।૨૬।।

સુંદર પહેરાવિયો સુરવાળ, ઝગે જરકશી જામાની ચાળ ।

શિર બાંધીછે સોનેરી પાગ, નથી શોભા તેની કહ્યા લાગ ।।૨૭।।

પછી ઘોડે થયા અસવાર, સંગે સખા હજારો હજાર ।

પછી ગયા બામરોલી ગામ, દેવા દર્શન સુંદર શ્યામ ।।૨૮।।

દેઇ દર્શન ને દુઃખ કાપ્યાં, અતિ અલૌકિક સુખ આપ્યાં ।

જન કહે ભલે હરિ આવ્યા, સોના રૂપાને ફુલે વધાવ્યા ।।૨૯।।

પછી મુનિ પૂજયા મનભાવ્યા, ભરી થાળ મોતીડે વધાવ્યા ।

તિયાં રાણ્ય સુંદર રૂપાળી, બેઠા હિંડોળે ત્યાં વનમાળી ।।૩૦।।

ગાય સંત ને થાય કિલોલ, એમ આપે છે સુખ અતોલ ।

પછી અશ્વે થયા અસવાર, દીઠી સુંદર ભૂમિ ત્યાં સાર ।।૩૧।।

તિયાં ઘોડું ખેલવ્યું ખાંતિલે, અતિ ઉતાવળું અલબેલે ।

ધ્રોડે અશ્વ ઉડે જાણું પાંખે, એમ દેખાય દાસની આંખે ।।૩૨।।

પછી હળવી હળવી ચાલે, આવ્યા વાલમજી વરતાલે ।

આવી બેઠા આંબલીની છાંયે, સર્વે સંત પણ આવ્યા ત્યાંયે ।।૩૩।।

બીજા આવીયા જન અપાર, લાવે પૂજા ને પુષ્પના હાર ।

બીજા સુંદર સુખડાં લાવ્યા, નાથ આગળે થાળ ધરાવ્યા ।।૩૪।।

જોયાં સુંદર સારાં સુખડાં, રૂડાં લાગ્યાં અતિ રમકડાં ।

જોઇ નિર્મળ જન વિવેકી, તેને આપ્યાં છે દૂરથી ફેંકી ।।૩૫।।

ના ના કરે આપે આડા હાથ, તોય આપતા ન રહે નાથ ।

દેખી દાસ કરે હાસ બહુ, જોઇ લીળા આનંદિયાં સહુ ।।૩૬।।

એમ કરે છે લીળા અપાર, સુખસાગર પ્રાણઆધાર ।

વળતે દિને ગયા વલાસણ, દેવા દર્શન અશરણશરણ ।।૩૭।।

સર્વે સંત હતા વળી સાથ, પોતે ઘોડલે ચડ્યાતા નાથ ।

ગાતાવાતા જને નિજ ઘેરે, પધરાવ્યા પ્રભુ રૂડી પેરે ।।૩૮।।

બાંધી હિંડોળો બેસાર્યા હરિ, પછી અતિ હેતે પૂજા કરી ।

પછી જમાડ્યા જીવન પ્રાણ, જમાડ્યા સંત સવેર્સુજાણ ।।૩૯।।

દેઇ દર્શન ચાલ્યા દયાળ, સંગે શોભે છે મુનિ મરાળ ।

દિન બીજે ગયા બીજે ગામ, વસે ભક્ત વળોટવું નામ ।।૪૦।।

તિયાં દાસને દર્શન દીધાં, કાપી કલ્મષ કલ્યાણ કીધાં ।

જમી જન જીવન પધાર્યા, દાસને મન મોદ વધાર્યા ।।૪૧।।

એમ કરે છે લીળા અપાર, કોણ જન પામે તેનો પાર ।

માટે સંક્ષેપે કહી સંભળાવી, મારા જાણ્યામાં જેટલી આવી ।।૪૨।।

એવી લીળા કરી અવિનાશે, આસુવદીને દિન અમાસે ।

તેદિ કરી લીલા વરતાલે, સુખદાયક સુંદરવર વાલે ।।૪૩।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે નારાયણચરિત્રે વરતાલમાં પધાર્યા ને ફુલે વધાવ્યા એ નામે ઓગણસિતેરમું પ્રકરણમ્ ।।૬૯।।