સ્નેહગીતા કડવું - ૧૮

Submitted by swaminarayanworld on Wed, 21/06/2017 - 8:16pm

વનિતાને વેદના વ્યાપી વિયોગનીજી, પણ વીતે પંડ્યને વણ રોગે રોગનીજી ।
કરે અતિ જંખના શ્યામ સંયોગનીજી, ભૂલી ગઈ ભામિની ભવવૃત્તિ વૈભોગનીજી ।।૧।।

ઢાળ –

ભવ વૈભવની ભૂલી વૃત્તિ, જેની સુરતિ લાગી લાલશું ।
રહે ઊદાસી થઈ નિરાશી, મન મોહે નહિ ધન માલશું ।।૨।।

જેહનું પ્રીતે ચિત્ત ચોરાણું, અને ઈશક લાગી જેના અંગમાં ।
તેનું માશુક વિના મન બીજે, રાચ્યું નહિ કોઈ રંગમાં ।।૩।।

બોલ્યું ન ગમે બીજું તેહને, પ્રિતમના ગુણગાન પખી ।
અન્ય કથા કાને સુણતાં, દાઝેદલ ને થાયદુઃખી ।।૪।।

જેમ મીનને નેક નીર વિના, વળી ક્ષીરે ક્ષણું સુખ નવ વળે ।  
તેમ પ્રેમી જનને પિયુ વિના, અન્ય ઊપાયે અંતર જળે ।।૫।।

જેનું પ્રેમબાણે પ્રાણ પ્રોયું, ભાવભલકે ભતર ભેદિયું ।
તેહને તે જંપ કયાંથી હોય તનમાં, જેનું રંગ ને રૂપ છેદિયું ।।૬।।

ફરે ઊદાસ મૂકે નિશ્વાસ, પાસે નથી પિયુ જેહને ।  
ઊન્મત્તવત ગતિ હોયે અંગની, અન્ય જન ન જાણે તેહને ।।૭।।

એવા ભાવને પામી અબળા, હરિ વિયોગે વળી વિરહિણી ।
પિયુપિયુ પોકાર કરતાં, વણદીઠે પ્રિતમ વિલખે ઘણી ।।૮।।

લોહી માંસ ને લાલી મુખની, હરિ જાતાં એટલું હરિ ગયા ।
 અસ્થિ ત્વચા ને પ્રાણ પ્રેમીનાં, વળતાં તનમાં તે રહ્યાં ।।૯।।

પ્રાણને પિયુ વિયોગે, પ્રેમી ન રહે રાખીને ।  
નિષ્કુલાનંદના નાથને, જાણું જોશું કયારે કરી ઝાંખીને ।।૧૦।। કડવું ।।૧૮।।