સ્નેહગીતા કડવું - ૨૬

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 4:56pm

એહ જો આજ્ઞા ઊદ્ધવે શિર ધરીજી, જેવી શ્રીમુખે કહિ છે જો શ્રીહરિજી ।
પછી વ્રજ જાવાને અર્થે રથ આણ્યો જોતરીજી, તૈયે ઊઠિયા ઊદ્ધવજી વંદના કરીજી ।।૧।।

ઢાળ –

કરી વંદના ઊઠ્યા ઊદ્ધવ, કર જોડી ઊભા વળી આગળે ।
કૃષ્ણે કહ્યું તે કરવું ખરૂં, પણ અળગે ગયે અંતર જળે ।।૨।।

શિશ નમાવીને શીખ માગી, જુતો રથ ઊપર બેઠા જઈ ।
ત્યારે કૃષ્ણ કહે સુણો ઊદ્ધવ, એક સંદેશો કહું તે સઈ ।।૩।।

નંદ જશોદાને ઝાઝા ઝાઝા, પ્રણામ કે’જો પાયે પડી ।
એહના ગુણ ઓશગળ અમે, થઈ ન શકિયા એક ઘડી ।।૪।।

બહુપેરે એણે બેઊ જણે, ઘણું ઘણું કરી જો જતનને ।  
અર્ધ ઘડી અળગો ન મુકતાં, જેમ રંક જાળવે રતનને ।।૫।।

અસનપણે અમે હતા અટારા, નિત્ય રાવ નવલી લાવતા।
તોએ અમને કાંઈ ન કહ્યું એણે, સામું સ્નેહ કરીને બોલાવતા ।।૬।।

વળી ગોળી ઢોળી મહી પીતા, ખાતા મનમાન્યું માખણજી ।  
અચપળાઈ અમે એવી કરતા, તોએ ન આણ્યો એણે અવગુણજી ।।૭।।

એહ માત  પિતાની મોટપ, મુખે ઊદ્ધવ કહ્યે નથી આવતી ।  
અમે ન થઈ સેવા એહની, એતો અમને ખટકે છે અતિ ।।૮।।

તેને લળી લળી તમે પાય લાગી, વળી ચરણમાં શિશ ધરજો ।  
પછી ગોપી જનને અમારા, ઘણા ઘણા પ્રણામ કરજો ।।૯।।

શિશ નમાવિ વળી સર્વેને, કે’જો પ્રણામ વ્રજ સાથને ।  
કુશળ છે ને કુશળ પુછયું નિષ્કુલાનંદના નાથને ।।૧૦।। કડવું ।।૨૬।।