સારસિદ્ધિ કડવું - ૧૯

Submitted by swaminarayanworld on Sun, 07/03/2021 - 3:35pm

રાગ :- ધન્યાશ્રી

બૃહત વૈરાગ્ય વિના જન વારમવારજી, જુજવા જુજવા જીવ ધરે અવતારજી ।

દેવ દાનવ માનવમાં બહુવારજી, નિગમે ન થાય તેનો નિરધારજી ।।૧।।

રાગ :- ઢાળ

નિરધાર ન થાય નિગમે, એટલા લિધા અવતાર ।

વૈરાગ્ય વિના વપુ ધર્યાનો, આવ્યો નહિ વળી પાર ।।૨।।

કૈકવાર સત્ય લોક પામ્યો, કૈકવાર પામ્યો કૈલાસ ।

કૈકવાર ઇન્દ્રપદવી પામ્યો, તોયે ન ટળી વિષય સુખ આશ ।।૩।।

કૈકવાર સુરપુર પામ્યો, વિબુધકન્યા વિમાન ।

કૈકવાર ભૂમાં ભૂપતિ થયો, કૈકવાર થયો ધનવાન ।।૪।।

કૈકવાર સુર દાતાર થયો, કૈકવાર પુરાણી પંડિત ।

કૈકવાર પ્રશ્ન ઉત્તરથી, કરી પોતાની જિત ।।૫।।

કૈકવાર ગુણ ગવૈયો થયો, જ્ઞાની ધ્યાની કોવિદ ને કવિ ।

કૈકવાર જાણ પ્રવીણ થયો, થયો અર્થ જાણતલ અનુભવી ।।૬।।

એમ અનેકવાર પામિયો, ભોમે વ્યોમે અવતારને ।

પણ એક ન પામ્યો વૈરાગ્યને, ત્યારે શું પામ્યો જન સારને ।।૭।।

જેમ મોટા શહેરના મોટલિયા, ઉપાડે કાચ કે વળી કોયલા ।

ખાતાં ન ખવાયે કાળપ થાયે, એ કાળા ધોળા જાણો નથી ભલા ।।૮।।

પણ એવું ઇચ્છેછે સહુ અંતરે, નથી ઇચ્છતા આવવા વૈરાગ્યને ।

તેણે કરીને જનનાં, નથી ઉઘડતાં ભારે ભાગ્યને ।।૯।।

એમ સર્વે વાતો તો ખરી કરી, પણ બૃહત વૈરાગ્ય માર્ગ નવ જડ્યો ।

નિષ્કુલાનંદ કહે શું થયું તાડતળે રહ્યો કે ટોચે ચડ્યો ।।૧૦।। કડવું ।।૧૯।।