કારીયાણી ૪ : જીવ અને સાક્ષીના જાણપણાનું

Submitted by Parth Patel on Wed, 09/02/2011 - 12:13am

કારીયાણી ૪ : જીવ અને સાક્ષીના જાણપણાનું

સંવત્ ૧૮૭૭ ના આસો વદિ ૮ અષ્‍ટમીને દિવસ દોઢ પહોર દિવસ ચઢતે શ્રીજીમહારાજ ગામ શ્રીકારિયાણી મઘ્‍યે વસ્‍તાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કયાર્ં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”માંહોમાંહી પ્રશ્ર્ન ઉત્તર કરો.” ત્‍યારે ગોપાળાનંદસ્‍વામીએ ભજનાનંદસ્‍વામીને પુછયું જે, ”આ દેહને વિષે જીવનું જાણપણું કેટલું છે ? ને સાક્ષીનું જાણપણું કેટલું છે ?” પછી ભજનાનંદસ્‍વામીએ ઉત્તર કરવા માંડયો પણ થયો નહિ. ત્‍યારે શ્રીજી મહારાજ બોલ્‍યા જે, ”બુદ્ધિ છે તે આ દેહને વિષે નખશિખા પર્યંત વ્‍યાપીને રહી છે. તે બુદ્ધિ જે તે સર્વ ઇંદ્રિયોની ક્રિયાને એકકાળાવછિન્ન જાણે છે. તે બુદ્ધિને વિષે જીવ વ્‍યાપીને રહ્યો છે. તે જીવના જાણપણાને કહેવે કરીને બુદ્ધિનું જાણપણું કહેવાયું. અને તે જીવને વિષે સાક્ષી રહ્યા છે, માટે સાક્ષીના જાણપણાને કહેવે કરીને જીવનું જાણપણું પણ કહેવાયું.”

ત્‍યારે શ્રીજીમહારાજને નિત્‍યાનંદસ્‍વામીએ પુછયું જે, ”હે મહારાજ ! જે આ જીવને વિષે સાક્ષી રહ્યા છે તે સાક્ષી જે હોય તેતો મૂર્તિમાન હોય ને જે મૂર્તિમાન હોય તે વ્‍યાપક કેમ હોય ?” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”મૂર્તિમાન હોય તે શું વ્‍યાપે નહિ ? જુવોને જ્યારે સ્‍વપ્ન આવે છે ત્‍યારે સ્‍વપ્નમાં ચિત્તને વિષે જે આકૃતિઓ જણાય છે, તે મૂર્તિમાન છે, કે અરૂપ છે ?” ત્‍યારે નિત્‍યાનંદ સ્‍વામીએ કહ્યું જે, એતો મૂર્તિમાન છે. ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”ચિત્તમાં જે આકૃતિઓ રહી છે તે ચિત્તને રહ્યાનું સ્‍થળ કેવડું છે ?” ત્‍યારે નિત્‍યાનંદ સ્‍વામીએ કહ્યું જે, ”દશ આંગળનું છે.” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”ચિત્તમાં જે આકૃતિયો રહી છે તે કેવડી મોટીયો છે ?” ત્‍યારે નિત્‍યાનંદસ્‍વામીએ કહ્યું જે, ”ચિત્તમાં તો બધું બ્રહ્માંડ જણાય છે.” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”એ ચિત્ત નિર્મળ છે, માટે જેમ દર્પણને વિષે બધી સભા જણાય છે તેમ ચિત્તને વિષે સર્વે આકૃતિઓ જણાય છે. એમ એ જીવ છે તે અતિ નિર્મળ છે. માટે જીવને વિષે ભગવાન જણાય છે. તે ભગવાન પણ અતિશે નિર્મળ છે, માટે તે ભગવાનને વિષે સર્વે વિશ્વ જણાય છે; એવી રીતે વિશ્વ ભગવાનમાં રહ્યું છે, અને વિશ્વમાં ભગવાન રહ્યા છે.” ઇતિ વચનામૃતમ્ કારીયાણીનું  ||૪|| ||૧૦૦||