કારીયાણી ૧૨ : કારણ શરીર ટાળ્યાનું – આંબલીના કચૂકાનું

Submitted by Parth Patel on Wed, 09/02/2011 - 12:19am

કારીયાણી ૧૨ : કારણ શરીર ટાળ્યાનું – આંબલીના કચૂકાનું

સંવત્ ૧૮૭૭ ના કાર્તિક સુદી ૧૫ પુનમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રીકારિયાણી મઘ્‍યે વસ્‍તાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા. અને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી છીંટની ડગલી પહેરી હતી અને ધોળો ફેંટો બોકાની સહિત બાંઘ્‍યો હતો, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”પ્રશ્ર્ન ઉત્તર કરો.” પછી મુનિએ માંહોમાંહી ઘણીવાર સુધી પ્રશ્ર્ન ઉત્તર કર્યા, તેમાં સ્‍થૂલ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીરનો વિચાર નીસર્યો, તથા વિરાટ, સૂત્રાત્‍મા અને અવ્‍યાકૃત, એ ત્રણ શરીરનો વિચાર નીસર્યો, પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”કારણ શરીર છે એ જીવની માયા છે, તેજ કારણ શરીર તે સ્‍થૂલ, સૂક્ષ્મરૂપે થાય છે. માટે સ્‍થૂલ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ જીવની માયા છે. તેમજ વિરાટ, સૂત્રાત્‍મા અને અવ્‍યાકૃત એ ઇશ્વરની માયા છે, તે કોઇ રીતે જીવથી જુદી પડતી નથી. માટે જ્યારે એ જીવને સંતનો સમાગમ મળે ને સંતને વચને કરીને પરમેશ્વરનું સ્‍વરૂપ ઓળખ્‍યામાં આવે ને તે પરમેશ્વરના સ્‍વરૂપનું ઘ્‍યાન કરે ને તે પરમેશ્વરના વચનને હૃદયમાં ધારે તેણે કરીને એ કારણ શરીર છે તે બળીને ખોખાં જેવું થઇ જાય છે. જેમ આંબલીનું બીજ હોય ને તે બીજની છાલ બીજ સાથે અતિ દૃઢ ચોટી હોય પછી તેને જ્યારે અગ્‍નિમાં શેકે ત્‍યારે તે છાલ દાઝીને ખોખાં જેવી થઇ જાય ને પછી હાથમાં લઇને ચોડે તો જુદી થઇ જાય તેમ ભગવાનનું ઘ્‍યાન ને ભગવાનનું વચન તેણે કરીને કારણ શરીર શેકાઇને આંબલીનાં ફોતરાની પેઠે જુદું થઇ જાય છે. અને તે વિના બીજા કોટિ ઉપાય કરે તોય પણ કારણ શરીરરૂપ જે અજ્ઞાન તેનો નાશ થતો નથી.” એવી રીતે શ્રીજીમહારાજે વાર્તા કરી.

પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્‍યે પ્રશ્ર્ન પુછયો જે, ”જાગ્રત અવસ્‍થામાં સત્‍વગુણ વર્તે છે અને સર્વે પદાર્થનું યથાર્થ જ્ઞાન વર્તે છે તો પણ જાગ્રત અવસ્‍થામાં જે શ્રવણ કર્યું હોય તેને સૂક્ષ્મ દેહમાં જ્યારે મનન કરે ત્‍યારે તે સાંભળ્‍યું હોય તે પાકું થાય છે. અને સૂક્ષ્મ દેહમાં તો રજોગુણ વર્તે છે તે રજોગુણમાં તો અયથાર્થ જ્ઞાન રહ્યું છે તો પણ જે જાગ્રતમાં સાંભળ્‍યું હોય તેનું સૂક્ષ્મ દેહમાં મનન કરે ત્‍યારે યથાર્થ જ્ઞાન થાય છે. એનું શું કારણ છે ?” પછી મુનિ સર્વે મળીને જેની જેવી બુદ્ધિ હતી તેણે તેવો ઉત્તર કર્યો પણ શ્રીજીમહારાજના પ્રશ્ર્નનું સમાધાન થયું નહિ, પછી મુનિ સર્વે હાથ જોડીને બોલ્‍યા જે, ”હે મહારાજ ! આ પ્રશ્ર્નનો ઉત્તર તો તમે કરો તો થાય” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”એનો ઉત્તર તો એજ છે જે, હૃદયને વિષે ક્ષેત્રજ્ઞ જે જીવ તેનો નિવાસ છે તે ક્ષેત્રજ્ઞ ચૌદ ઇંદ્રિયોનો પ્રેરક છે તેમાં અંત:કરણ જે છે તે ક્ષેત્રજ્ઞને સમીપે વર્તે છે. માટે અંત:કરણમાં મનન કરે ત્‍યારે દૃઢ થાય છે, કાંજે ક્ષેત્રજ્ઞ છે તે સર્વે ઇંદ્રિયો અંત:કરણ થકી સમર્થ છે, માટે ક્ષેત્રજ્ઞ પ્રમાણ કરે એ વાત અતિ દૃઢ થાય છે.” એવી રીતે એ પ્રશ્ર્નનો ઉત્તર કર્યો, ત્‍યારે સર્વે મુનિએ કહ્યું જે, ”હે મહારાજ ! યથાર્થ ઉત્તર કર્યો, એવો ઉત્તર બીજા કોઇથી થાય નહિ.” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”ગમે તેવો કામી, ક્રોધી, લોભી, લંપટ જીવ હોય અને જો આવી રીતની વાતમાં વિશ્વાસ રાખીને પ્રીતિએ કરીને સાંભળે તો તેના સર્વે વિકાર ટળી જાય છે. જેમ કોઇ પુરૂષને પ્રથમ તો કાચા ચણા ચાવે એવું દાંતમાં બળ હોય અને તે જો કાચી કેરી સારી પેઠે ખાય તો તેથી ભાત પણ ચવાય નહિ; તેમ ગમે તેવો કામાદિકને વિષે આસક્ત હોય પણ આવી રીતની વાતને આસ્‍તિક થઇને શ્રદ્ધાએ સહિત સાંભળે તો તે પુરૂષ વિષયનાં સુખ ભોગવવાને અર્થે સમર્થ રહે નહિ. અને તપ્‍તકૃચ્‍છ્ર, ચાંદ્રાયણાદિક વ્રતે કરીને જો દેહને સુકવી નાખે તો પણ જેવું આવી ભગવદ્વાર્તા સાંભળનારાનું મન નિર્વિષયી થાય છે તેવું તેનું થતું નથી અને આવી વાર્તા સાંભળીને જેવું તમારૂં સર્વેનું મન નિર્વિકલ્‍પ થતું હશે તેવું ઘ્‍યાન કરતા હશો તથા માળા ફેરવતા હશો ત્‍યારે નહિ થતું હોય. માટે વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત જે ભગવાન પુરૂષોત્તમ નારાયણની વાત સાંભળવી એથી બીજું મનને સ્‍થ્‍િાર થવાનું ને નિર્વિષયી થવાનું કોઇ માટું સાધન નથી.” ઇતિ વચનામૃતમ્ કારીયાણીનું ||૧૨|| ||૧૦૮||