ગઢડા મઘ્ય ૪૯ : ભગવાન અને માયિક આકારમાં ઘણો ફેર છે તેનું – કથાકીર્તનાદિકમાં તૃપ્તિ ન પામવાનું

Submitted by Parth Patel on Thu, 17/02/2011 - 12:41am

ગઢડા મઘ્ય ૪૯ : ભગવાન અને માયિક આકારમાં ઘણો ફેર છે તેનું – કથાકીર્તનાદિકમાં તૃપ્તિ ન પામવાનું

સંવત્ ૧૮૮૦ના ફાગણ શુદિ ૨ બીજને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ આથમણે બાર મેડીની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદીતકિયા બિછાવીને વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં. અને પાઘમાં ધોળાં પુષ્પનો હાર લટકતો મુકયો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ  બોલ્‍યા જે,”પ્રત્‍યક્ષ ભગવાનની જે મૂર્તિ ને બીજા જે માયિક આકાર એ બેયને વિષે તો ધણો ફેર છે. પણ જે અજ્ઞાની છે ને અતિશય  મૂર્ખ છે તે તો ભગવાન અને માયિક આકારને સરખા જાણે છે, કેમ જે, માયિક આકારના જે જોનારા છે, ને માયિક આકારના જે ચિંતવન કરનારા છે. તે તો અનંત કોટિ કલ્‍પ સુધી નરક ચોરાશીને વિષે ભમે છે, અને જે ભગવાનના  સ્‍વરૂપનાં દર્શન કરનારા છે ને ભગવાનના સ્‍વરૂપના ચિંતવન કરનારા છે, તે તો કાળ, કર્મ ને માયા એ સર્વેના બંધન થકી છુટીને અભય પદને પામે છે, ને ભગવાનના પાર્ષદ થાય છે. માટે અમારે તો ભગવાનની કથા, કીર્તન કે વાર્તા કે ભગવાનનું ઘ્‍યાન એમાંથી કોઇકાળે મનની તૃપ્‍તિ થતી જ નથી, ને તમારે પણ સર્વેને એવી જ રીતે કરવું.” ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું  ||૪૯||૧૮૨||