ગઢડા અંત્ય ૧૪ : કાયસ્થના અવિવેકનું – લંબકરણનું

Submitted by Parth Patel on Fri, 18/02/2011 - 3:37am

ગઢડા અંત્ય ૧૪ : કાયસ્થના અવિવેકનું – લંબકરણનું

સંવત્ ૧૮૮૪ના અષાઢ વદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર એારડાની ઓસરીએ વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં. ને મસ્‍તક ઉપર પાઘમાં પુષ્પના તોરા ઝુકી રહ્યા હતા, ને કંઠને વિષે પુષ્પના હાર પહેર્યા હતા, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, ને મુનિમંડળ કીર્તન ગાવતા હતા.

પછી શ્રીજી મહારાજે કહ્યું જે, “કીર્તન ભકિતની સમાપ્‍તિ કરો ને પ્રશ્ર્ન ઉત્તર કરીએ.” પછી મુકતાનંદ સ્વામીએ હાથ જોડીને પુછયું જે, “હે મહારાજ! પરમેશ્વર થકી તો બીજું કાંઈ સાર વસ્‍તુ નથી, તો પણ એ પરમેશ્વરમાં એ જીવને કેમ દ્રઢ પ્રીતિ થતી નથી ? એ પ્રશ્ર્ન છે,” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “એને વિવેક નથી, જો વિવેક હોય તો એમ વિચાર થાય જે, “મારે તો બ્રહ્મચર્ય વ્રત છે તો પણ સ્‍ત્રીના સુખની તૃષ્ણા હૃદયમાંથી ટળતી નથી. તે એ બહુ ખોટું છે. અને તે સ્‍ત્રીનું સુખ તો ચોરાશી લાખ યોનિમાં જ્યાં જ્યાં જન્‍મ ધર્યા ત્‍યાં ત્‍યાં સર્વત્ર પ્રાપ્‍ત થયું છે, તે પણ મનુષ્ય દેહથી અધિક પ્રાપ્‍ત થયું છે. કેમ જે એ જીવ બકરો થયો હશે ત્‍યારે હજાર બકરીયોને પોતે એકલો ભોગવતો હશે. અને જ્યારે ધોડો કે પાડો કે સાંઢ કે બુઢિયો વાનરો ઈત્‍યાદિક પશુના દેહને પામ્‍યો હશે ત્‍યારે તેને વિષે પોતપોતાની જાતિની અતિશય રૂપવાન ને યૌવનવાન એવી અનંત સ્‍ત્રીઓ તે એકેએક એને મળી હશે, અને તેમાં કાંઈ પ્રારબ્‍ધનું કારણ નથી ને ભગવાનની કૃપાનું પણ કારણ નથી, એ તો સહેજે મળી હતી. અને વળી પણ જો ભગવાનનું ભજન નહિ કરે તો જે જે યોનિમાં જશે ત્‍યાં ત્‍યાં અનંત સ્‍ત્રીઓ પ્રાપ્‍ત થશે ને તેમાં કોઈ દેવતાનું પણ સેવન પૂજન નહિ કર્યું જોઈએ ને કોઈ મંત્રનો પણ જપ નહિ કર્યો જોઈએ એ તો સહેજે જ તે સ્‍ત્રીયાદિકના સુખને પામશે અને આ જીવે કેટલીકવાર દેવતા થઈને દેવલોકનાં પણ સુખ ભોગવ્‍યાં છે, ને કેટલીકવાર ચક્રવતર્ી રાજા થઈને પૃથ્‍વીમાં પણ અનંત સુખ ભોગવ્‍યાં છે, તો પણ એ જીવને સ્‍ત્રીયાદિક જે પદાર્થ છે તેને ભોગવ્‍યાની તૃષ્ણા ટળતી નથી. ૨સ્‍ત્રીયાદિકનું જે સુખ છે તેનું અતિશય દુર્લભપણું જાણે છે ને તેનું અતિ માહાત્‍મ્‍ય જાણીને તેમાં પ્રીતિ કરે છે, તે પ્રીતિ કોઈ રીતે ટાળી ટળતી નથી, એ પાપે કરીને પરમેશ્વરમાં દ્રઢ પ્રીતિ થતી નથી. અને એવી મલિન વાસના આ જીવને થાય છે તે અમે નજરે દીઠી છે. જ્યારે અમે નાના હતા ત્‍યારે અયોઘ્‍યાપુરીમાં એક શિવનું મંદિર હતું તેમાં જઈને અમે સુતા ત્‍યાં એક કાયથ નિત્‍ય શિવનું પૂજન કરવાને આવતો તે શિવની પૂજા કરીને ગાલ વજાડીને શિવ પાસે એમ વર માગતો જે, ‘હે મહારાજ ! હે શિવજી ! મને કોઈ દિવસ મનુષ્યનો અવતાર દેશો માં. શા માટે જે, મનુષ્ય દેહમાં તો તાંબુ ખાઈખાઈને મરી ગયા પણ સ્‍ત્રીનું સુખ સારી પેઠે ભોગવાતું નથી. માટે હે શિવજી ! મને તો જન્‍મોજન્‍મ લંબકર્ણનો જ અવતાર દેજો જે લાજમર્યાદા મુકીને સારી પેઠે સ્‍ત્રીનું સુખ તો ભોગવીએ.’ એમ નિત્‍ય શિવજી પાસે વર માગતો. એવી રીતે આ જીવના હૃદયમાં પાપરૂપ વાસના થાય છે, માટે એને કોઈ રીતે પરમેશ્વરમાં પ્રીતિ થતી નથી.”

પછી મુકતાનંદસ્વામીએ વળી પુછયું જે, ‘હે મહારાજ ! જેને એવો અતિશય અવિવેક હોય તેને તો ભગવાનમાં પ્રીતિ ન થાય. પણ જેને એમ જણાતું  હોય જે, “ભગવાન સર્વ સુખના નિધિ છે ને ભગવાન વિના બીજાં પદાર્થ છે તે તો કેવળ દુ:ખદાયી જ છે,’ તોપણ તેને ભગવાનમાં પ્રીતિ નથી થતી તેનું શું કારણ છે ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “એ જીવને પૂર્વ જન્‍મને વિષે અથવા આ જન્‍મને વિષે કોઈક અતિશય ભૂંડા જે દેશ કાળ સંગ ને ક્રિયા તેનો યોગ થઈ ગયો છે, તેણે કરીને અતિશય તીક્ષ્ણ કર્મ થયાં છે, તે ભૂંડાં કર્મનો એના ચિત્તમાં પાશ લાગ્‍યો છે. માટે સાર અસારને જાણે છે તોપણ એને અસારનો ત્‍યાગ કરીને પરમેશ્વરને વિષે દ્રઢ પ્રીતિ થતી નથી. અને જેવી રીતે ભૂંડા દેશ, કાળ, ક્રિયા ને સંગ તેને યોગે કરીને ભૂંડાં કર્મનો ચિત્તમાં પાસ બેઠો. તેવી રીતે અતિશય પવિત્ર દેશ, પવિત્ર કાળ, પવિત્ર ક્રિયા અને પવિત્ર સંગ, તેને યોગે કરીને અતિશય તીક્ષ્ણ જો સુકૃત કર્મ થાય તો તેને યોગે કરીને અતિતીક્ષ્ણ જે ભૂંડાં પાપકર્મ તેનો નાશ થઈ જાય છે ત્‍યારે એને ભગવાનને વિષે દ્રઢ પ્રીતિ થાય છે. એ પ્રશ્ર્નનો એજ ઉત્તર છે.”

પછી અયોઘ્‍યાપ્રસાદજીએ પુછયું જે, “એકની તો બુદ્ધિ પણ ઘણી હોય, ને શાસ્ત્રમાં પણ બહુ દૃષ્ટિ પુગતી હોય અને બીજો છે તેની તો બુદ્ધિ પણ થોડી હોય, ને શાસ્ત્રમાં પણ ઝાઝું જાણતો ન હોય અને ઘણી બુદ્ધિવાળો હોય તે સત્‍સંગમાંથી વિમુખ થઈ જાય છે, અને થોડી બુદ્ધિવાળો હોય તે દ્રઢ થકો સત્‍સંગમાં રહે છે તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “આ સંસારને વિષે દૈવી ને આસુરી બે પ્રકારના જીવ છે. તેમાં આસુરી જીવ હોય તેને ઝાઝી બુદ્ધિ હોય, તોપણ સત્‍સંગમાંથી વિમુખ થાય. અને દૈવી જીવ હોય ને તેને થોડી બુદ્ધિ હોય તોપણ કોઈ કાળે સત્‍સંગમાંથી વિમુખ ન થાય, જેમ મરચાંનું બીજ હોય ને લીંબડાનું બીજ હોય ને શિંગડિયા વછનાગનું બીજ હોય તેને વાવીને નિત્‍ય સાકરનું પાણી સીંચ્‍યા કરીએ તો પણ મરચાં તે તીખાં જ થાય ને લીંબડો તે કડવો જ થાય ને શિંગડિયો વછનાગ તે ઝેર જ થાય. શા માટે જે એનું બીજ ભૂંડું છે. અને શેરડીને વાવીને લીંબડાના પાનનું ખાતર નાખીને કડવું પાણી સીંચ્‍યા કરીએ તો પણ શેરડીનો રસ તે મીઠો જ થાય. તેમ દૈવી જીવ છે તે ભગવાનને સન્‍મુખ જ રહે છે. ને આસુરી જીવ હોય તે વિમુખ જ થાય છે.”

પછી શુકમુનિએ પુછયું જે, “દૈવી ને આસુરી જીવ હોય તે કેમ જાણ્‍યામાં આવે?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “દૈવી જીવ હોય તેને કામ, ક્રોધ, લોભાદિક દોષ હોય તે ભૂંડા દેશ કાળાદિકને યોગે કરીને હોય, પછી સારા દેશકાળાદિકનો યોગ થાય તો થોડેક કાળે કરીને નાશ થઈ જાય. અને આસુરી જીવને જે કામ, ક્રોધ,લોભાદિક દોષ હોય તે કોઈ કાળે નાશ થાય નહિ. અને તેને એકવાર જો કાંઈક કઠણ વચન કહ્યું હોય તો જીવે ત્‍યાં સુધી ભુલે નહિ. અને તે આસુરી જીવ જો સત્‍સંગી થયો હોય તો સૌ કરતાં સરસ હરિભક્ત જણાય પણ જેમ ભાલ દેશમાં મોરે સમુદ્ર હતો તે કાંપ જમાઈને મીઠી પૃથ્‍વી થઈ છે, તે જ્યાં સુધી કાંપ હોય ત્‍યાં સુધી જો ખોદીએ તો પાણી મીઠું નીસરે, અને તેથી જો હેઠું ખોદીએ તો સમુદ્રના જેવું ખારૂં ઝેર પાણી નીસરે. તેમ આસુરી જીવ હોય તે હરિભક્ત થયો હોય ને એનું ગમતું મરડીને લગારેક છેડયો હોય તો જેટલી મોરે સાધુની સેવા કરી હોય તેથી લાખ ઘણો દ્રોહ કરે તો પણ મનમાં સંતોષ ન થાય.”

પછી મુકતાનંદ સ્વામીએ પુછયું જે, “હે મહારાજ ! તમે એમ કહ્યું જે, ‘આસુરી જીવ હોય ને હરિભક્ત થયો હોય તો તેનું જ્યાં લગી ગમતું રાખીએ ત્‍યાં સુધી તો સત્‍સંગી રહે ને જો ગમતું ન રાખીએ તો વિમુખ થાય,’ તે જ્યાં લગી વિમુખ નથી થયો તેવામાં જો તેનો દેહ પડી જાય તો આસુરી રહે કે દૈવી થાય ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “તે આસુરી જીવ જ્યાં સુધી સારો હોય ને તેવામાં દેહ પડે તો દૈવી થાય અને ભગવાનની ભકિત કરીને પરમપદને પામે.”

પછી નૃસિંહાનંદસ્વામીએ પુછયું જે, ‘નવધા ભકિતમાં શ્રેષ્‍ઠ ભકિત કઈ છે ?’ પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “નવધા ભકિતમાંથી જેને જે ભકિતએ કરીને ભગવાનમાં દ્રઢ સ્‍નેહ થાય તે જ ભકિત તેને શ્રેષ્ઠ છે.”

પછી ગોપાળાનંદ સ્વામીએ પુછયું જે, “જેને ૪બાળ અવસ્‍થા હોય અથવા યૌવન અવસ્‍થા હોય તેને કેવા પુરુષનો સંગ રાખવો ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “જે વયે કરીને પણ વૃદ્ધ હોય અને ધર્મ, જ્ઞાન ને વૈરાગ્‍ય જેને દ્રઢ હોય અને ભગવાનને વિષે પણ દ્રઢ પ્રીતિ હોય તેવા પુરુષનો સંગ પ્રીતિએ કરીને એ બેય જણાને કરવો.”

પછી નાજે જોગીએ પુછયું જે, “એકનું ક્રોધે કરીને ભગવાનમાં મન જોડાયું છે ને એકનું ભયે કરીને ભગવાનમાં મન જોડાયું છે, અને એકનું તો સ્‍નેહે કરીને ભગવાનમાં મન જોડાયું છે, એ ત્રણમાં કયો શ્રેષ્‍ઠ છે ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “જેનું હેતે કરીને ભગવાનમાં મન જોડાયું તે શ્રેષ્‍ઠ છે.”

પછી શિવાનંદ સ્વામીએ પુછયું જે, “ભગવાનનો ભક્ત તો હોય પણ જેને શ્રીજીમહારાજે કહ્યું એવો જે સાર અસારનો વિવેક તે ન હોય ને વૈરાગ્‍ય પણ ન હોય તેને એવો વિવેક તથા ભગવાન વિના બીજા પદાર્થમાં વૈરાગ્‍ય તે કેમ થાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “જો પ્રથમ જ ભગવાનમાં દ્રઢ હેત થઈ જાય તો વિવેક ને વૈરાગ્‍ય તે હેતને યોગે કરીને પ્રકટ થાય છે. અને જેને જે પદાર્થમાં હેત થાય છે તેને હેત કહીએ, અથવા કામના કહીએ. તે જે જે પદાર્થમાં હેત હોય ને તેમાં જો કોઈક અંતરાય કરે તો તે ઉપર ક્રોધ થઈ જાય છે. તે માણસના દેહમાં તો થાય પણ પશુને પણ ક્રોધ થઈ જાય છે. તે જેમ પાડો હોય તે કામનાએ કરીને ભેંશ ઉપર આશક્ત થયો હોય ને બીજો પાડો આવે તો તેને મારી નાખે છે, એવી રીતે પશુ પક્ષીમાં સર્વત્ર દેખાય છે. તેમ જેને ભગવાનને વિષે દ્રઢ પ્રીતિ હોય તેને જે પદાર્થ તે પ્રીતિમાં અંતરાય કરવા આવે તો તે ઉપર તુરત ક્રોધ થઈ જાય, ને તે પદાર્થનો તત્‍કાળ ત્‍યાગ કરે માટે જો ભગવાનમાં દ્રઢ હેત હોય તો એની મેળે જ વૈરાગ્‍ય ને વિવેક થઈ આવે છે.”

પછી વળી શિવાનંદ સ્વામીએ પુછયું જે, “બુદ્ધિમાન તો બેય પુરુષ છે, તેમાં એક તો જેમ પરમેશ્વર કહે તેમ જ માની લે એવો વિશ્વાસી છે, ને બીજો તો પરમેશ્વરનાં વચન હોય તેમાં પણ માનવું ધટે તેટલું જ માને, એ બેમાં કયો શ્રેષ્‍ઠ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “વિશ્વાસી એજ શ્રેષ્‍ઠ છે, તે રામકથામાં રામચંદ્રજીએ કહ્યું છે જે, ‘જે મારે દ્રઢ વિશ્વાસે રહે તેની જેમ માતા બાળકની રક્ષા કરે છે તેમ હું રક્ષા કરૂં છું,’ માટે વિશ્વાસી એજ શ્રેષ્‍ઠ છે,”

પછી આત્‍માનંદ સ્વામીએ પુછયું જે, મનમાં તો એમ નિશ્વય છે જે, દેહ પર્યંત પરમેશ્વરના ગમતામાં જ રહેવું છે તો પણ એમ જાણીએ છીએ જે પરમેશ્વરને ને સંતને કેમ કરીએ તો આપણો વિશ્વાસ આવે? પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે વિશ્વાસ તો પરમેશ્વરને ને સંતને ત્‍યારે આવે જ્યારે અતિશય માંદો થાય ને તે મંદવાડમાં ચાકરી પણ સારી પેઠે ન થઈ હોય તો પણ કોઈનો અવગુણ ન લે ને પોતે મુંઝાય પણ નહિ, તથા વાંક વિના પણ પરમેશ્વર ને સંત તે પોતાનું અતિશય અપમાન કરે તો પણ કોઈનો અવગુણ ન લે ત્‍યારે એનો પરમેશ્વરને ને સંતને વિશ્વાસ આવે, અને ત્રીજો પ્રકાર એ છે જે, જેટલા સત્‍સંગમાં નિયમ છે તેમાંથી જો લેશમાત્ર ફેર પડે તો અતિશય દુ:ખાઈ જાય ને તેનું તત્‍કાળ પ્રાયશ્વિત કરે, અને જો મનમાં ખોટો ઘાટ થાય તો બીજાને દેહે કરીને વર્તમાનમાં ફેર પડે તેટલો જ દુ:ખાય ને ત્રાસ પામે, ત્‍યારે એનો પરમેશ્વરને ને સંતને પરિપૂર્ણ વિશ્વાસ આવે જે, “આ કોઈ કાળે સત્‍સંગમાંથી ડગશે નહિ.”

પછી ભગવદાનંદસ્વામીએ પુછયું જે, “જે ભક્તજનના મનને વિષે ભગવાન ને ભગવાનના ભક્તનું અખંડ માહાત્‍મ્‍ય હોય તે બીજાને કેમ જણાય ?”પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “જેના મનને વિષે ભગવાનનું ને ભગવાનના ભક્તનું અખંડ માહાત્‍મ્‍ય હોય તે ભગવાન ને ભગવાનના ભક્તની નિષ્કપટ ભાવે પ્રીતિએ કરીને સેવા કરે ને દેહે કરીને સર્વ સંતને પગે લાગે અને કોઈક સંત માંદા હોય તો તેનું માથું દાબે પગ દાબે ને ખાધાપીધાની ખબર રાખે, અને પોતાની પાસે મનગમતી વહાલી વસ્‍તુ આવે તો તે સંતને આપીને પછી પોતાને કામમાં વાપરે એવી રીતે મન, કર્મ, વચને કરીને જે વર્તે તેના અંતરમાં ભગવાનનું ને સંતનું માહાત્‍મ્‍ય અખંડ છે એમ જાણવું.”

પછી શ્રીજી મહારાજે સંતને પ્રશ્ર્ન પુછયો જે, “૫ધર્મ, જ્ઞાન, વૈરાગ્‍ય ને ભકિત એ ચારે અતિ તીવ્રપણે વર્તતા હોય તો પણ ધર્મમાં કાંઈક સંકરપણું થાય ને વૈરાગ્‍યમાં કોઈક ઠેકાણે રાગ રહી જાય અને ભકિતમાં પણ કાંઈક શિથિલપણું થઈ જાય અને જ્ઞાનમાં પણ કાંઈક દેહ આસકિત રહી જાય તેનું શું કારણ હશે ?” પછી ગોપાળાનંદ સ્વામીએ ને બ્રહ્માનંદસ્વામીએ કહ્યું જે, “જેને ધર્મ, જ્ઞાન, વૈરાગ્‍ય ને ભકિત એ ચાર તીવ્ર વર્તે છે, એવા જે ઈશ્વરમૂર્તિ સમર્થ તેમાં જે કાંઈક કસર જેવું જણાય છે તે તો કેવળ દયાએ કરીને રહે છે, પણ બીજી કોઈ જાતની કસર નથી. અને એવા જે મોટા હોય તે બાહ્યદ્રષ્‍ટિ રાખીને વર્તે ત્‍યારે કેટલાક જીવોને જડભરત જેવા ને શુકજી જેવા કરી મુકે. માટે એવા અતિશય જે મોટા તેમને જે વ્‍યવહારિક દ્રષ્‍ટિએ વર્તવું તે કેવળ જીવો ઉપર દયાએ કરીને છે.” પછી શ્રીજી મહારાજે કહ્યું જે, “એનો ઉત્તર એજ છે.”  ઇતિ વચનામૃતમ્ ગઢડા અંત્યનું ||૧૪|| ૨૪૮ ||