૧૪૧. ભકતરાજ જેકરણ, જતનબાઇ, ઉમરેઠનાં જમનાબાઇ, મોરજનાં પ્રભુદાસ તથા અવલબાઇ વગેરેને પૂરેલા પરચા.

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 5:30pm

પૂર્વછાયો- વળી પરચા વર્ણવી, કહું હું કાંઇક તેહ ।

હરિ હરિજનના જશ, કહેતાં તે વાધે સનેહ ।।૧।।

દંઢાવ્ય દેશમાં રાજપુરે, કણબી ભક્ત જેકર્ણ ।

સર્વે કુટુંબ સહિત પોત્યે, સ્વામી શ્રીજીને શર્ણ ।।૨।।

તેને મહારાજે મોરથી, વર્ષ આગમ જણવી વાત ।

આજ થકી દ્વાદશ માસે, પિંડ થાશે તારૂં પાત ।।૩।।

તેને એકાદશ માસ વીત્યા, વળી આવી કહ્યું અવિનાશ ।

ચેતવું હોય તો ચેતજયે, રહ્યો મૃત્યુ આડો એક માસ ।।૪।।

ચોપાઇ- પછી જેકરણે સતસંગી તેડી, કહી પોતાની વાત નિવેડી ।

ભાઇઓ આ તન પામશે નાશ, તેહ આડો રહ્યો એક માસ ।।૫।।

માટે મંદિર સંત ઉતરવા, કાલ્યથકી આદરીએ કરવા ।

ત્યારે સતસંગી કહે સારૂં, અમને કહ્યું એ ન કહેવું બારૂં ।।૬।।

પછી મંદિર સુંદર કરાવ્યું, ત્યાંતો મૃત્યુ તે નજીક આવ્યું ।

ત્યારે પત્ની પોતાનીને કહ્યું, મારે મરવા આડું નવ રહ્યું ।।૭।।

માટે મોર થકી તું તો ચાલ્ય, કેડ્યે હું પણ આવું છું કાલ્ય ।

પછી બેઠી તે કરવા ભજન, આવ્યા નાથ તેડ્યે તજયું તન ।।૮।।

તેને દેન દઇ ઘેર આવ્યા, પછી મોટા મોટાને બોલાવ્યા ।

ભાઇઓ જુવો પ્રભુનો પ્રતાપ, આતો વાત મોટી છે અમાપ ।।૯।।

મને આવ્યાં છે લેવા વિમાન, બહુ સંત ભેળા ભગવાન ।

મારે જાવું છે કાલ્યે જરૂર, આવ્યું નજીક નથી એ દૂર ।।૧૦।।

માટે સુત એક લઇ સંગે, જાઇશ બ્રહ્મમહોલ ઉમંગે ।

કેડ્યે કહેશો જે ન કહ્યું કેને, નહિતો પૂછી જોત વાત એને ।।૧૧।।

પૂછો જેને પૂછવું જે હોય, કેડ્યે સંશય કરશો માં કોય ।

સ્વામી પોત્યે છે પૂરણ બ્રહ્મ, જેને મળ્યે બળે કોટી કર્મ ।।૧૨।।

એમ કહી પછી તજયું તન, જોઇ આશ્ચર્ય પામિયાં જન ।

બોલ્યા માંહો માંહિ એમ વળી, થયો પર્ચો કહે સહુ મળી ।।૧૩।।

એક કણબી જતન નામ, ભજે પ્રભુ રહે પુરગામ ।

કરે પોતાના ઘરનું કામ, જપે સ્વામિનારાયણ નામ ।।૧૪ ।।

પાળે સાંખ્યયોગી વ્રતમાન, ધરે પ્રભુ પ્રગટનું ધ્યાન ।

એમ કરતાં આવ્યો તેનો કાળ, આવ્યા તેડવા તેને દયાળ ।।૧૫।।

જોઇ જતને જોડીયા હાથ, ભલે પધારિયા મારા નાથ ।

કહે નાથ આવ્યા તુજ સારૂં, લાવ્યા વિમાન લાખ હજારૂં ।।૧૬।।

બેશ વિમાને મ કર વેળ, કહે એમ એને અલબેલ ।

પછી સંત હતા જેહ સાથ, કરી વિનતી જોડીને હાથ ।।૧૭।।

આજ દુઃખ કોગળીયા તણું, તેમાં મરે છે માણસ ઘણું ।

તેવામાં મરશે જો આ બાઇ, કહેશે લોક મુઇ રોગમાંઇ ।।૧૮।।

માટે એને મુકી જાઓ આજ, વળી પછી આવજયો મહારાજ ।

પછી વિમાનને પાછા વાળ્યાં, સર્વે ગામને મનુષ્યે ભાળ્યાં ।।૧૯।।

જોઇ આશ્ચર્ય પામ્યાં છે જન, થયો પરચો કહે ધન્ય ધન્ય ।

વળી એક ઉમરેઠ ગામ, દ્વિજભક્ત બાઇ જમુના નામ ।।૨૦।।

તિયાં પધાર્યા પોતે ભગવાન, દીધાં સહુને દર્શન દાન ।

સાત દિવસ સુધી રહ્યા ત્યાંઇ, પછી આવ્યા પણસોરા માંઇ ।।૨૧।।

જમુનાબાઇ તો રહી ઝંખતિ, જમ્યા વિના ગયા પ્રાણ પતિ ।

આકુળ વ્યાકુળ અંતરે થઇ, શરીરની શુદ્ધ ભૂલી ગઇ ।।૨૨।।

અંતરવરતિ ઉતરી જયારે, થયું મહારાજનું દર્શન ત્યારે ।

કહે આવ્યા અમે પાછા આજ, કરો રસોઇ અમારે કાજ ।।૨૩।।

આજ જમવું છે તારે હાથ, કહે જમનાને એમ નાથ ।

પછી જમુના જાગી તેહ વાર, કરી સુંદર રસોઇ સાર ।।૨૪।।

પછી આવી જમ્યા જગદીશ, જે કોઇ અનંત શક્તિના ઇશ ।

કરે રસોઇ તે સમે સમે, તેને તજીને જન ઘેરે જમે ।।૨૫।।

એમ જમ્યા જમુનાને ઘેર, કરી મહારાજ શ્રીજીએ મહેર ।

પામ્યા આશ્ચર્ય ગામના વાસી, કહે ધન્ય ધન્ય અવિનાશી ।।૨૬।।

આપ્યો પરચો અંતરજામી, સુખદાયી સહજાનંદ સ્વામી ।

વળી મોરજ નામે છે ગામ, તિયાં કણબી પ્રભુદાસ નામ ।।૨૭।।

આવ્યો તેહના દેહનો કાળ, ત્યાગ્યું તન તેણે તતકાળ ।

ગયો બ્રહ્મ મોલમાં તે ભક્ત, તિયાં દીઠા છે અનંતમુક્ત ।।૨૮।।

દીઠું તેજ ત્યાં અતિ અપાર, જાણ્યું સૂર્ય હજારો હજાર ।

અતિ સુખ સુખ નાવે કહીએ, જાણું અખંડ આ સુખમાં રહીએ ।।૨૯।।

દીઠી મહારાજની ત્યાં મૂરતિ, તે તો સુખ સુખમય અતિ ।

લળીલળી લાગ્યો તેને પાય, નિર્ખિ હર્ષ હૈયામાં ન માય ।।૩૦।।

પછી પ્રભુ બોલ્યા એણીપેર, હવે ભક્ત જાઓ તમે ઘેર ।

પછી આવશું તેડવા અમે, ત્યારે આ ધામમાં રહેજયો તમે ।।૩૧।।

હમણાં તો વળી વહેલા જાઓ, હેતે ગુણ ગોવિંદના ગાઓ ।

પછી ભક્ત આવ્યો દેહ માંહિ, પહોર ચ્યારલગી રહી ત્યાંઇ ।।૩૨।।

કરી તિયાંની આ સર્વે વાત, સુણિ સહુ થયાં રળિયાત ।

કહે જન ધન્ય પ્રભુદાસ, તમે જઇ આવ્યા પ્રભુ પાસ ।।૩૩।।

પામ્યો પરચો અલૌકિક એહ, તેમાં નથી લગાર સંદેહ ।

વળી ગાના નામે એક ગામ, કણબી ભક્ત અવલબાઇ નામ ।।૩૪।।

તેણે સુણી સત્સંગીની વાત, માની ન માની રહી મનભ્રાંત ।

પછી આવી દરશનકાજ, નિરખ્યા મનમોહન મહારાજ ।।૩૫।।

નિરખી નાથને પાછીજ વળી, મૂર્તિ મહારાજની ચાલી મળી ।

નયણાં આગળ્યે રહ્યા નાથ, જીયાં જાય તિયાં આવે સાથ ।।૩૬।।

ઉઠે બેસે સુવે જાગે જયારે, દેખે અખંડ મૂરતિ ત્યારે ।

ખાતાં પિતાં ક્ષણું ન રહે દૂર, હાલે ચાલે ત્યાં દેખે હજૂર ।।૩૭।।

બોલતાં બોલે મુખમાં વળી, જોતાં સુણતાં ન રહે વેગળી ।

કરતાં સર્વે ઘરનું કામ, સદા ભેળા રહે તેને શ્યામ ।।૩૮।।

એ રહ્યું એને બહુ દન, તેનું મહાત્મ્ય ન જાણ્યું મન ।

કહેવા લાગી જેને તેને એહ, પછી મૂરતિ ન દીઠી તેહ ।।૩૯।।

એમ આપે છે સુખ મહારાજ, બહુપેરે કરે જન કાજ ।

વળી પૈજનામે એક ગામ, કણબી ભક્ત અવલ એનું નામ ।।૪૦।।

સાંખ્યયોગી પાળે વ્રતમાન, ભજે પોતે પ્રકટ ભગવાન ।

ધરે ધ્યાન તે પ્રકટતણું, તેણે કરી ભૂલી પોતાપણું ।।૪૧।।

ભૂલી તન બોલી બદલાણી, કહે સેવો મને સ્વામી જાણી ।

વળી પૂછો જે પૂછવું હોય, મને સંશય રાખશો માં કોય ।।૪૨।।

કહે હું સહજાનંદ સ્વામી, સરવેનો છું અંતરજામી ।

એમ કહી પછી માંડ્યું કહેવા, જેને મને ઘાટ હતા જેવા ।।૪૩।।

એમ ઐશ્વર્ય દેખાડે બહુ, જોઇ આશ્ચર્ય પામિયાં સહુ ।

જોજયો મહારાજનો પરતાપ, કહે છે યાંથી કહે જેમ આપ ।।૪૪।।

એમ રહ્યું દિન દોય ચાર, પછી ઉપજયો એમ વિચાર ।

હું તો દાસ શ્રી મહારાજ કેરી, કેમ બેઠાં આ મુજને ઘેરી ।।૪૫।।

આવું આસન ન ઘટે મને, એમ કહી પાય લાગી સહુને ।

એહ બાઇની વાત જે કહી, જોજયો વિચારી સાંસતાં રહી ।।૪૬।।

પળ એક આ દેહ ભુલાય, એવું કોઇ કાળે કેમ થાય ।

મોટો પ્રતાપ આ નાથ કેરો, શું કહીએ તે મુખે ઘણેરો ।।૪૭।।

નથી વાત એ લૌકિક લેશ, સવેર્ અલૌકિક એ રહસ્ય ।

એમ આપે છે નાથ આનંદ, કહ્યું ન જાય નિષ્કુળાનંદ ।।૪૮।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રીજી મહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે એકસોને એકતાળીશમું પ્રકરણમ્ ।।૧૪૧।।