પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર - ૧૦

Submitted by swaminarayanworld on Sat, 17/09/2011 - 11:26am

દોહા

પ્રેમે કરીને પૂજા તણી, હરિજને ન પૂરિ હાસ ।

સેવિ ન શકયા સ્વામીને, અતિ રહિ ગયો અપશોષ ।।૧।।

મત્સ્યાદિક મોર્યે ધર્યા, અસંખ્યાત અવતાર ।

કારજ નિમિત નવાં નવાં, તન ધર્યાં નિરધાર ।।૨।।

જળ સ્થળમાં જાણજો, અવતાર ધર્યા છે અનેક ।

સર્વે જીવને સુખ આપવા, હોય ન હોય એ એક ।।૩।।

સેવકને સેવી સુખ લેવું, કેવું થયા પુરણકામ ।

એમ ન માન્યું જન મન, ત્યારે પ્રગટિયા ઘનશ્યામ ।।૪।।

ચોપાઈ

મહા મોટા મત્સ્ય અવતારરે, પણ રહ્યા જળ મોઝારરે ।

માનવીએ તેને ન મળાયરે, વણ મળે અજ્ઞાન ન જાયરે ।।૫।।

અન્ન જળ અંબર આભૂષણરે, તેલ ફુલેલ સુગંધિ પણરે ।

અત્તર ચંદન પુષ્પની માળારે, તેણે પૂજી શું થયા સુખાળારે ।।૬।।

કર્યાં કાંયેક જીવનાં કાજરે, પછી પધાર્યા ધામ મહારાજરે ।

કચ્છ પ્રભુ પણ કૃપા કરીરે, આવ્યા જન અર્થે તન ધરીરે ।।૭।।

જે અર્થે આવ્યા અવિનાશરે, કર્યો તે તને તેવો સમાસરે ।

બહુ જીવને અર્થ ન આવ્યારે, આવી દેવ દાનવ સમજાવ્યારે ।।૮।।

વપુ વારાહ વાલમ લીધુંરે, પૃથ્વીનું તે કાર્ય કીધુંરે ।

તેને પણ બીજાં બહુ મળીરે, સુખ ન લીધું સેવિને વળીરે ।।૯।।

નૃસિંહ રૂપ નઊત્તમ તનરે, ધારી ઊધ્ધારિયા નિજજનરે ।

પણ ક્રોધે ભર્યા ભયંકારરે, કેમ સેવિ શકે નરનારરે ।।૧૦।।

વામનજીએ વપુને ધારીરે, લીધી પૃથવી પડ વધારીરે ।

બલી બોલે બાંધ્યો બહુપેરરે, પછી વર દઈ વસિયા ઘેરરે ।।૧૧।।

પરશુરામ રૂપે પ્રગટ થઈ રે, કરી નક્ષત્રિ પૃથવી લઈરે ।

તેમાં સહુનો ન થયો સમાસરે, સેવી સુખ ન પામિયા દાસરે ।।૧૨।।

રામરૂપ ધરી થયા રાજરે, કર્યાં મોટાં મોટાં બહુ કાજરે ।

તેતો લખાણાં લાખો ઠેકાંણેરે, દેવ દાનવ માનવ જાણેરે ।।૧૩।।

પણ દીન દાસ રહી પાસરે, પૂજી પુરી કરી નહિ આશરે ।

શું આપીને ઓશગલ થાયરે, રાંકે રાજાને કેમ પૂજાયરે ।।૧૪।।

કૃષ્ણાવતારમાં ક્રીડા કરીરે, બહુ તાર્યા એ અવતાર ધરીરે ।

તે છે વાત પુરાણે પ્રસિદ્ધરે, લખી વ્યાસજીએ બહુ વિધરે ।।૧૫।।

દિધાં સેવકને સુખ ભારીરે, સેવી સુખ પામ્યા નરનારીરે ।

પણ એમના એમ ન રહ્યારે, પછી રાજાઅધિરાજ થયારે ।।૧૬।।

ત્યારે સહુને મળ્યાનું સુખરે, ન રહ્યું થયું દાસને દુઃખરે ।

બુદ્ધ કલકિ બે અવતારરે, પ્રયોજને પૃથવી મોઝારરે ।।૧૭।।

તેતો કરીલિયે જયારે કામરે, પાછા પધારે પોતાને ધામરે ।

એહ આદિ બહુ અવતારરે, તેતો અવતારીના નિરધારરે ।।૧૮।।

પણ સર્વે રીતે સુખકારીરે, તેતો પુરૂષોત્તમ અવતારીરે ।

તેહ પોતે પધાર્યા છે આજરે, અક્ષરધામના ધામી મહારાજરે ।।૧૯।।

માટે સર્વે રીતે સેવ્યા જેવારે, આજ અલબેલો થયા છે એવારે ।

સહુ જનની પુરવા હામરે, આવ્યા આપે કહું ઘનશ્યામરે ।।૨૦।।

ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે દશમઃ પ્રકારઃ ।।૧૦।।