૧૯ કિંપુરુષખંડ અને ભારતવર્ષનું વર્ણન

Submitted by swaminarayanworld on Thu, 25/02/2016 - 6:25pm

અધ્યાય - : - ૧૯

કિંપુરુષખંડ અને ભારતવર્ષનું વર્ણન

શ્રીશુકદેવજી કહે છે - હે રાજન્‌ ! કિંપુરુષવર્ષમાં શ્રીલક્ષ્મણજીના મોટા ભાઇ આદિપુરુષ, સીતાહ્રદયાભિરામ ભગવાન શ્રીરામના ચરણોની સન્નિધિના રસિક પરમ ભાગવત શ્રીહનુમાનજી બીજા કિન્નરોની સાથે અવિચલ ભક્તિભાવથી તેની ઉપાસના કરે છે. ૧ ત્યાં બીજા ગંધર્વોની સાથે આર્ષ્ટિષેણ તેઓના સ્વામી ભગવાન રામની પરમ કલ્યાણમયી ગુણગાથા ગાયા કરે છે. શ્રીહનુમાનજી તેને સાંભળે છે અને સ્વયં પણ આ મંત્રનો જપ કરતા આ પ્રમાણે તેની સ્તુતિ કરે છે. ૨ ‘અમે ૐકાર સ્વરૂપ પવિત્રકીર્તિ ભગવાન શ્રીરામને નમસ્કાર કરીએ છીએ. તમારામાં સત્પુરુષોનાં લક્ષણ, શીલ અને આચરણ વિદ્યમાન છે; તમે ઘણા જ સંયમચિત્ત, લોકારાધનતત્પર, સાધુતાની પરીક્ષા માટે કસોટીરૂપ છો અને અત્યંત બ્રાહ્મણભક્ત છો. એવા મહાપુરુષ મહારાજ રામને અમારા વારંવાર પ્રણામ છે.’ ૩ હે ભગવાન ! તમે વિશુદ્ધ બોધસ્વરૂપ, અદ્વિતીય, પોતાના સ્વરૂપના પ્રકાશથી ગુણોનું કાર્યરૂપ જાગ્રત વગેરે સંપૂર્ણ અવસ્થાઓના નિવાસ કરનાર, સર્વાંતરાત્મા, પરમ શાન્ત, શુદ્ધ બુદ્ધિથી ગ્રહણ કરવા યોગ્ય, નામરૂપથી રહિત અને અહંકારશૂન્ય છો; હું તમારે શરણે છું. ૪ હે પ્રભુ ! તમારો મનુષ્ય અવતાર કેવળ રાક્ષસોના વધ માટે જ નથી પરંતુ તેનો મુખ્ય ઉદેશ્ય તો મનુષ્યોને બોધ આપવાનો છે. અન્યથા પોતાના સ્વરૂપમાં જ રમણ કરનાર સાક્ષાત્‌ જગતના આત્મા જગદીશ્વરને સીતાજીના વિયોગમાં આટલું દુ:ખ કેવી રીતે થઇ શકે ? ૫ તમે ધીરપુરુષોના આત્મા છો( અહીં શંકા થાય કે ભગવાન તો બધાના આત્મા છે, તો પછી અહીં આત્મવાન્‌ (ધીર) પુરુષોના જ આત્મા છે એવું કેમ બતાવ્યું ? તેનું કારણ એ છે કે બધાના આત્મા હોવા છતાં પણ તેને કેવળ આત્મજ્ઞાની પુરુષ જ પોતાના આત્મારૂપથી અનુભવ કરે છે. બીજા પુરુષ એવું નથી કરતા. શ્રુતિમાં જ્યાં જ્યાં આત્મસાક્ષાત્કારની વાત આવે છે, એ જ આત્મવેત્તા માટે ‘ધીર’ શબ્દનો પ્રયોગ કર્યો છે. જેમ ‘કશ્ચિદ્ધીરઃ પ્રત્યગાત્માનમૈક્ષત ઇતિ નઃ શુશ્રુમ ધીરાણામ્‌’ ઇત્યાદિ. તેથી અહીં પણ ભગવાનને આત્માવાન્‌ અથવા ધીર પુરુષના આત્મા બતાવ્યા છે. ) અને પ્રિયતમ ભગવાન વાસુદેવ છો; ત્રિલોકની કોઇ પણ વસ્તુમાં તમને આસક્તિ નથી. તમે તો નથી સીતાજી માટે મોહ પામતા અને નથી લક્ષ્મણજીનો ત્યાગ પણ કરતા. ૬ (એક વાર ભગવાન શ્રીરામ એકાંતમાં એક દૂતની સાથે વાત કરી રહ્યા હતા. તે સમયે લક્ષ્મણજી પહેરો કરી રહ્યા હતા અને ભગવાનની આજ્ઞા હતી કે જો આ સમયે કોઇ અંદર આવશે તે મારા હાથે માર્યો જશે. તેવામાં જ દૂર્વાસા મુનિ આવ્યા અને એમણે લક્ષ્મણજીને અંદર જઈ પ્રભુ શ્રીરામને સૂચના આપવા માટે અંદર જવા માટે વિવશ કર્યા. આવી પોતાની પ્રતિજ્ઞા અનુસારે ભગવાન ઘણા અસમંજ (દ્વિધા)માં પડી ગયા. ત્યારે વસિષ્ઠજીએ કહ્યું કે લક્ષ્મણજીનાં પ્રાણ ન લઇને તેનો ત્યાગ કરવો જોઇએ; કારણ કે પોતાના પ્રિયજનનો ત્યાગ કરવો મૃત્યુદંડની સમાન જ છે. તેથી ભગવાને તેનો ત્યાગ કર્યો.) તમારો આ વ્યાપાર કેવળ લોકશિક્ષા માટે જ છે. હે લક્ષ્મણાગ્રજ ! ઉત્તમ કુળમાં જન્મ, સુંદરતા, વાણીચાતુરી, બુદ્ધિ અને શ્રેષ્ઠયોનિ આમાંથી કોઇ પણ ગુણ તમારી પ્રસન્નતાનું કારણ થઇ ન શકે, આ વાત સમજાવવા માટે જ તમે આ બધા ગુણોથી રહિત અમારા જેવા વનવાસી વાનરો સાથે મિત્રતા કરી છે. ૭ દેવતા, અસુર, વાનર અથવા મનુષ્ય કોઇ પણ હોય, તેમણે બધીરીતે શ્રીરામરૂપ તમારું જ ભજન કરવું જોઇએ; કારણ કે તમે નરરૂપમાં સાક્ષાત્‌ શ્રીહરિ જ છો અને થોડું કર્યું હોય તેને ઘણું માનો છો. તમે એવા આશ્રિતવત્સલ છો કે જ્યારે સ્વયં દિવ્યધામમાં સિધાવ્યા હતા, ત્યારે સમસ્ત ઉત્તરકોસલવાસિઓને પણ પોતાની સાથે જ લઇ ગયા હતા.’ ૮ ભારત દેશમાં પણ ભગવાન દયાવશ નરનરાયણરૂપ ધારણ કરીને સંયમશીલ પુરુષો ઉપર અનુગ્રહ કરવા માટે અવ્યક્તરૂપથી કલ્પના અંત સુધી તપ કરતા રહે છે. તેમની આ તપસ્યા એવી જ છે કે જેમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, શાન્તિ અને ઉપરતિની ઉત્તરોત્તર વૃદ્ધિ થઇને અંતમાં આત્મસ્વરૂપની ઉપલબ્ધિ થઇ શકે છે. ૯ અહીં ભગવાન નારદજી સ્વયં શ્રીભગવાન દ્વારા કહેવાયેલ સાંખ્ય અને યોગશાસ્ત્ર સહિત ભગવાનના મહિમાને પ્રગટ કરનાર પાંચરાત્રદર્શનના સાવર્ણિ મુનિને ઉપદેશ કરવા માટે ભારતવર્ષની વર્ણાશ્રમધર્માવલમ્બિની પ્રજાની સાથે અત્યંત ભક્તિભાવથી ભગવાન શ્રીનરનારાયણની ઉપાસના કરતા અને આ મંત્રનો જપ તથા સ્તોત્રનો પાઠ કરતા તેમની સ્તુતિ કરે છે. ૧૦ ૐકાર સ્વરૂપ ઋષિપ્રવર ભગવાન નરનારાયણને નમસ્કાર છે. તે પરમહંસોના પરમ ગુરુ અને આત્મારામોના અધીશ્વર છે, તમને વારંવાર નમસ્કાર છે. ૧૧ ‘જે વિશ્વની ઉત્પત્તિ વગેરેમાં તેના કર્તા સ્વયં હોવા છતાં પણ કર્તૃત્વના અભિમાનમાં બંધાતા નથી, શરીરમાં રહેવા છતાં પણ તેના ધર્મ ભૂખ-તરસ વગેરેને વશીભૂત થતાં નથી તથા દ્રષ્ટા હોવાં છતાં પણ જેની દૃષ્ટિ દૃશ્યના ગુણ-દોષથી દૂષિત થતી નથી. તે અસંગ અને વિશુદ્ધ સાક્ષિસ્વરૂપ ભગવાન નરનારાયણને નમસ્કાર છે. ૧૨ હે યોગેશ્વર ! હિરણ્યગર્ભ ભગવાન બ્રહ્માજીએ યોગસાધનાની સૌથી વધારે કુશળતા એ જ બતાવી છે કે મનુષ્ય અંતકાળમાં દેહાભિમાનને છોડીને ભક્તિપૂર્વક તમારા પ્રાકૃત ગુણરહિત (દિવ્ય) સ્વરૂપમાં પોતાનું મન લગાવે. ૧૩ લૌકિક અને પારલૌકિક ભોગોના લાલચી મૂઢ પુરુષ જેમ કે પુત્ર, સ્ત્રી અને ધનની ચિંતા કરીને મૃત્યુથી ડરે છે, તેવી જ રીતે જે વિદ્વાન પુરુષો છે તેને પણ આ નિંદનીય શરીરના છૂટવાનો ભય રહ્યા કરે, તો તેમણે જ્ઞાન પ્રાપ્તિ માટે કરેલ પ્રયત્ન કેવળ શ્રમ જ છે. ૧૪ તેથી હે અધોક્ષજ ! તમે અમને તમારો સ્વાભાવિક પ્રેમરૂપ ભક્તિયોગ પ્રદાન કરો. હે પ્રભુ ! જેનાથી આ નિંદનીય શરીરમાં તમારી માયાને કારણે બદ્ધમૂળ થયેલ દૂર્ભેદ્ય અહંતા-મમતાને અમે તુરંત કાપી નાખીએ.’ ૧૫ હે રાજન્‌ ! આ ભારતવર્ષમાં પણ ઘણા પર્વતો અને નદીઓ છે, જેમ કે મલય, મઙ્ગલપ્રસ્થ, મૈનાક, ત્રિકૂટ, ઋષભ, કૂટક, કોલ્લક, સહ્ય, દેવગિરિ, ઋષ્યમાન્‌, શ્રીશૈલ, વેઙ્કટ, મહેન્દ્ર, વારિધાર, વિન્ધ્ય, શુક્તિમાન્‌, ઋક્ષગિરિ, પારિયાત્ર, દ્રોણ, ચિત્રકૂટ, ગોવર્ધન, રૈવતક, કકુભ, નીલ, ગોકામૂખ, ઇંદ્રકીલ, અને કામગિરિ વગેરે. એવી જ રીતે બીજા પણ સેંકડો હજારો પર્વતો છે, તેમના તટપ્રાન્તોમાંથી નીકળતા નદ (પાણીના વહેણ) અને નદીઓ પણ અગણિત છે. ૧૬ આ નદીયો પોતાના નામોથી જીવને પ્રવિત્ર કરી દે છે અને ભારતીય પ્રજા તેના જળમાં સ્નાન વગેરે કરે છે. ૧૭ તેમાંથી મુખ્ય નદીઓ આ પ્રમાણે છે ચંદ્રવસા, તામ્રપર્ણી, અવટોદા, કૃતમાલા, વૈહાયસી, કાવેરી, વેણી, પયસ્વિની, શર્કરાવર્તા, તુંગભદ્રા, કૃષ્ણા, વેણ્યા, ભીમરથી, ગોદાવરી, નિર્વિન્ધ્યા, સિન્ધુ, અન્ધ અને શોણ નામના નદ, મહાનદી, વેદસ્મૃતિ, ઋષિકુલ્યા, ત્રિસામા, કૌશિકી, મંદાકિની, યમુના, સરસ્વતી, દૃષદ્વતી, ગોમતી, સરયૂ, રોધસ્વતી, સપ્તવતી, સુષોમા, શતદ્રૂ, ચન્દ્રભાગા, મરુદ્વૃધા, વિતસ્તા, અસિક્‌ની અને વિશ્વા ૧૮ આ વર્ષ (ખંડ)માં જન્મ લેનાર પુરુષોને જ પોતે કરેલ સાત્ત્વિક, રાજસ અને તામસ કર્મોને અનુસારે ક્રમશઃ જુદા જુદા પ્રકારની દિવ્ય, માનુષ અને નારકી યોનિઓ પ્રાપ્ત થાય છે; કારણ કે કર્માનુસાર બધા જીવોને બધા પ્રકારની યોનિઓ પ્રાપ્ત થઇ શકે છે. આ જ દેશમાં પોતપોતાના વર્ણ માટે નક્કી કરેલ ધર્મનું વિધિવત્‌ અનુષ્ઠાન (આચરણ) કરવાથી મોક્ષ સુદ્ધાંની પણ પ્રાપ્તિ થઇ શકે છે. ૧૯

હે પરીક્ષિત ! બધા ભૂતો(જીવો)ના આત્મા રાગ વગેરે દોષોથી રહિત, અનિર્વચનીય, નિરાધાર પરમાત્મા ભગવાન વાસુદેવમાં અનન્ય અને અહૈતુક ભક્તિભાવ જ આ મોક્ષપદ છે. આ ભક્તિભાવ ત્યારે જ પ્રાપ્ત થાય છે, જ્યારે અનેક પ્રકારની બાધાઓ ઉત્પન્ન કરનાર અવિદ્યારૂપ હ્રદયની ગ્રન્થિ કપાઇ (નષ્ટ) થઇ જવાથી ભગવાનના પ્રેમીભક્તનો સંગ મળે છે. ૨૦ દેવતા પણ આ ભારતદેશમાં ઉત્પન્ન થયેલ મનુષ્યનો આ પ્રકારે મહિમા ગાય છે. અહો ! જે જીવાત્માઓએ ભારતદેશમાં ભગવાનની સેવાને યોગ્ય મનુષ્ય જન્મ પ્રાપ્ત કરેલ છે, તેઓએ એવું તે કયું પુણ્ય કર્યું છે ? અથવા તેના ઉપર સ્વયં શ્રીહરિ જ પ્રસન્ન થઇ ગયા છે ? આવા પરમ સૌભાગ્ય માટે તો નિરંતર અમે (દેવતા) પણ તલસતા રહીએ છીએ. ૨૧ અમને ઘણા કઠોર યજ્ઞ, તપ, વ્રત અને દાન વગેરે કરીને જો આ તુચ્છ સ્વર્ગનો અધિકાર પ્રાપ્ત થયો છે, એનાથી શું લાભ છે ? અહીં તો ઇન્દ્રિયોનો ભોગ વધારે પડતો હોવાને કારણે સ્મૃતિશક્તિ ક્ષીણ થઇ જાય છે, તેથી શ્રીનારાયણના ચરણકમળોની સ્મૃતિ ક્યારેય થતી જ નથી. ૨૨ આ સ્વર્ગ તો શું અહીંના નિવાસિઓની એક કલ્પની આયુષ હોય છે પરંતુ અહીંથી ફરી સંસારચક્રમાં ફરવું પડે છે, તે બ્રહ્મલોક વગેરેની અપેક્ષાએ પણ ભારતભૂમિમાં થોડી આયુષવાળા થઇને જન્મ લેવો ઉત્તમ છે; કારણ કે અહીં ધીર પુરુષ એક ક્ષણમાં જ પોતાના આ મર્ત્યશરીરથી કરવામાં આવેલ સંપૂર્ણ કર્મ શ્રીભગવાનને અર્પણ કરીને તેનું (ભગવાનનું) અભયપદ પ્રાપ્ત કરી શકે છે.૨૩ અહીં (સ્વર્ગમાં) ભગવાનની ક્થાની અમૃતમયી સરિતા વહેતી નથી, અહીં તે અમૃતમયી સરિતાનું ઉત્પત્તિ સ્થાન ભગવદ્ભક્ત સાધુજન નિવાસ કરતા નથી. અને અહીં નૃત્ય, ગીત વગેરેની સાથે મોટા સમારોહ દ્વારા ભગવાન યજ્ઞપુરુષની પૂજા-અર્ચના કરવામાં આવતી નથી, તે ભલેને બ્રહ્મલોક કેમ ન હોય, તેનું સેવન ન કરવું જોઇએ. ૨૪ જે જીવાત્માઓએ આ ભારતદેશમાં જ્ઞાન (વિવેકબુદ્ધિ), તેને અનુરૂપ કર્મ તથા તે કર્મને ઉપયોગી દ્રવ્ય વગેરે સામગ્રીથી સંપન્ન મનુષ્ય જન્મ મેળવ્યો છે, તે જો આવાગમન (જન્મ-મરણ)ના ચક્રથી નીકળવાનો પ્રયત્ન કરતો નથી. તો પારાધીના ફંદામાંથી છૂટીને પણ ફળ વગેરેના લોભથી તે વૃક્ષપર વિહાર કરનાર વનવાસી પક્ષિઓની સમાન ફરી બંધનમાં પડી જાય છે. ૨૫ ‘અહો ! આ ભારતવાસીઓનું કેવું સૌભાગ્ય છે ? જ્યારે એ યજ્ઞમાં ભિન્ન-ભિન્ન દેવતાઓની તૃપ્તિના ઉદેશ્યથી અલગ ભાગ રાખીને વિધિ, મન્ત્ર અને દ્રવ્ય વગેરેના યોગથી શ્રદ્ધાપૂર્વક દેવતાઓને હવિ પ્રદાન કરે છે, ત્યારે આ પ્રમાણે ઇન્દ્ર વગેરે દેવોના આહવાન કરવાથી સંપૂર્ણ કામનાઓને પૂર્ણ કરનાર સ્વયં પૂર્ણકામ શ્રીહરિ જ પ્રસન્ન થઇને તે હવિનું ગ્રહણ કરે છે. ૨૬ એ તો બરાબર છે કે ભગવાન સકામ પુરુષોના માંગવાથી તેને અભીષ્ટ પદાર્થ આપે છે, પરંતુ આ ભગવાનનું વાસ્તવિક દાન નથી; કારણ કે તે વસ્તુઓને મેળવી લેવાથી પણ મનુષ્યના મનમાં ફરી કામનાઓ થતી જ રહે છે. આનાથી ઊલટું જો શ્રીહરિનું નિષ્કામભાવથી યજન કરે છે, તેને તો સ્વયં શ્રીહરિ સાક્ષાત્‌ પોતાનાં ચરણકમળ જ આપી દે છે, જે બીજી બધી ઇચ્છાઓને સમાપ્ત કરનાર છે. ૨૭ તેથી અત્યાર સુધી સ્વર્ગસુખ ભોગવી લીધા પછી અમારાં પૂર્વકૃત યજ્ઞ, પ્રવચન અને શુભ કર્મોથી જે કંઇ પણ પુણ્ય બાકી રહ્યું હોય, તો તેના પ્રભાવથી અમને આ ભારતદેશમાં ભગવાનની સ્મૃતિથી યુક્ત મનુષ્ય જન્મ મળે; કારણ કે શ્રીહરિ પોતાનું ભજન કરનારનું બધી રીતે કલ્યાણ કરે છે.’ ૨૮

શ્રીશુકદેવજી કહે છે- હે રાજન્‌ ! રાજા સગરના પુત્રોએ પોતાના યજ્ઞના ઘોડાને શોધતા આ પૃથ્વીને ચારે બાજુએ ખોદી હતી. તેનાથી જંબુદ્વીપમાંજ બીજા આઠ દ્વીપ બની ગયા છે. ૨૯ તે સ્વર્ણપ્રસ્થ, ચંદ્રશુક્લ, આવર્તન, રમણક, મંદરહરિણ, પાંચજન્ય, સિંહલ અને લંકા છે. ૩૦ હે ભરતશ્રેષ્ઠ ! આ પ્રમાણે જેવું મેં ગુરુમુખેથી સાંભળ્યું હતું, તેવું જ તને આ જંબુદ્વીપના દેશોનો વિભાગ (વિસ્તાર) કહી સંભળાવ્યો. ૩૧

ઇતિ શ્રીમદ્  ભાગવતે મહાપુરાણે પંચમ સ્કંધે જંબુદ્વીપ વર્ણન નામનો ઓગણીસમો અધ્યાય સંપૂર્ણઃ (૧૯)