સારસિદ્ધિ કડવું - ૧૮

Submitted by swaminarayanworld on Sun, 07/03/2021 - 3:28pm

રાગ :- ધન્યાશ્રી

બૃહત વૈરાગ્ય છે અનુપમ અતિજી, એહ સમાન નથી કોઇ સંપત્તિજી ।

તેતો સંત સા’યે થાયે પ્રાપતિજી, તો તેને કષ્ટ રહે નહિ રતિજી ।।૧।।

રાગ :- ઢાળ

રતિ કષ્ટ તેને કેમ રહે, જેને થાય મોટાની મે’ર ।

સંત શ્રીહરિ સિંધુની જેને, ઢળી વળી આવી લે’ર ।।૨।।

જેમ રતનાકારમાં રતન મોતી, અમૂલ્ય છે અતિ ઘણાં ।

પણ તન મન અરપ્યા વિના, કેદિયે ન થાય આપણાં ।।૩।।

સિંધુતીરે શે’ર વસેછે, બીજાં પણ બહુ ગામ ।

તે લુણ શંખલા સહુ લિયે, રત્ન મોતીનું ન પુછે નામ ।। ૪।।

રત્ન મોતી મળે મોટી મે’નતે, વણ મે’નતે મળતાં નથી ।

માટે સહુ કોઇએ સમઝી, મેલ્યાં ઉતારી મનથી ।।૫।।

પણ હરિ સાગર છે સુખના, નથી કોઈ વાતની એમાં ખોટ ।

તેમાં નિષ્કામી માગે નિરવેદને, સકામ માગે માયાસુખ મોટ ।।૬।।

નિષ્કામ વિના નિરવેદ નિધિ, રુચતી નથી રતિભાર ।

સાકરથી પણ સારો લાગ્યો, ખાવા સોમલખાર ।।૭।।

તેતો હરિજનને જોવી નહિ, પ્રાકૃત પ્રાણીની રીત ।

સેવવા શ્રીભગવાનને, માગવો વૈરાગ્ય ચિત્ત ।।૮।।

વૈરાગ્ય અંતરેથી જો ઉતરે, તો, ડોકાં કાઢી રહ્યાંછે દુઃખ ।

આવે ધાઇ તે ઉરમાંઈ, રે’વા ન દિયે સુખ ।।૯।।

માટે વા’લો કરી વૈરાગ્યને, રાખવો તે રુડી રીત ।

નિષ્કુલાનંદ એ નરની, તો જરુર જાણો થાયે જિત ।।૧૦।। કડવું ।।૧૮।।