સારસિદ્ધિ કડવું - ૨૨

Submitted by swaminarayanworld on Sun, 07/03/2021 - 5:08pm

રાગ :- ધન્યાશ્રી

જરૂર હરિ રિઝવવા માટજી, ભક્તિ કરવી તે શિશને સાટજી ।

તેહ વિના વાત તે ન બેસે ઘાટજી, સમઝી વિચારી લેવી એ વાટજી ।।૧।।

રાગ :- ઢાળ

સમઝી વિચારી ઘનશ્યામની, ભક્તિ કરો ભાવે ભરી ।

ભાવ વિનાની ભક્તિયે, રાજી નહિ થાયે શ્રીહરિ ।।૨।।

ભક્તિ કરવી ભગવાનની, સમાપર રહી સાવધાન ।

સમા વિનાની જે ભગતિ, અતિ જાણો કરેછે જયાન ।।૩।।

સમે સેવિને સુખ લૈયે, વણ સમે સરે નહિ કામ ।

તે સમો મનમાં સમઝી, રે’વું હરિ હજુર કરભામ ।।૪।।

સમે  સામું જોઇ રે’વું શ્યામને, જોવી કર નયણ નિશાન ।

સમાપર તતપર થઇ, કરવી ભક્તિ તે નિદાન ।।૫।।

એક પગભર ઉભાં આગળે, હાથ જોડિને રે’વું હજાૂર ।

જેમ કહે તેમ કરવું, કરી ડા’પણ આપણું દૂર ।।૬।।

વળી જેમ વાળે તેમ વળવું, તજી દેવી તનમન તાણ ।

અન્ય ભરોંસો અળગો કરી, થઇ રે’વું હરિના વેચાણ ।।૭।।

ભક્ત તેજ જે ભક્તિ કરે, જોઇ મરજી જગદીશની ।

મરજી ન લોપે મહારાજની, એહ રીતિ સમઝો શિષ્યની ।।૮।।

મોટે ભાગ્યે ભેટે ભગતિ, પ્રગટ પ્રભુ પરમાણની ।

તેહ વિનાની જે ભગતિ, તેતો મત મમતના તાણની ।।૯।।

કરિયે તો કરિયે સમઝી, પ્રગટ પ્રભુજીની ભગતિ ।

નિષ્કુલાનંદ કહે તે વિના, નથી નરને કોઇ પ્રાપતિ ।।૧૦।। કડવું ।।૨૨।।