સારસિદ્ધિ કડવું - ૩૮

Submitted by swaminarayanworld on Sun, 07/03/2021 - 5:44pm

સાક્ષાતકાર જેને મળિયા છે સ્વામીજી, તેણે કરી અંતરની વેદના વામીજી

ભાંગી ગઈ ખોટ રહી નહિ ખામીજી, તે તો પ્રભુ પ્રકટ પ્રમાણને પામીજી ।।૧।।

ઢાળ - 

પામી પ્રભુ પ્રગટને, જેને ઓછપ ન રહી અંગ ।।

નખશિખ નિષ્પાપ છે, પ્રભુ પ્રગટને પ્રસંગ ।। ર ।।

શ્રીહરિના શબ્દ સાંભળ્યા, છે એના એ જ બે કાન ।।

પ્રગટ પ્રભુનો સ્પર્શ કર્યો, છે તેની તે ત્વચા નિદાન ।। ૩ ।।

જેણે પ્રગટ રૂપને પેખિયું, છે એનાં એહ બેઉ નેત્ર ।।

જેણે વાલ્યમશું વાતો કરી, છે એની એ જીહ્વા પવિત્ર ।। ૪ ।।

પ્રગટ પ્રભુને ચડ્યું જે ચંદન, વળી સુગંધી સુમનના હાર ।।

તેની વાસ લીધેલ નાસિકા, છે તેમની તેમ નિરધાર ।। પ ।।

જે પ્રગટ પ્રભુના પ્રેર્યું થકાં, ચાલ્યાં છે જેહ ચરણ ।।

તેના તે બેઉ પાવ છે, એવા સંત જે સુખકરણ ।। ૬ ।।

જે કરે કરી હરિ સેવિયા, પાયાં પાણી જમાડ્યાં અન્ન ।।

તેના તે બેઉ બાહુ છે, પ્રભુસ્પર્શના જેહ પાવન ।। ૭ ।।

એમ અંગોઅંગે અવિનાશને, સ્પર્શી કર્યું છે પવિત્ર ।।

તેને તોલે ત્રિલોકમાં, આવે અંગ કેમ ઇત્ર ।। ૮ ।।

એવા સંત સંસારમાં, પછી જોતાં પણ જડશે નહિ ।।

માટે હળીમળી હેત કરો, તે વિના પાર પડશે નહિ ।। ૯ ।।

બીજા ગુણવાન તો ઘણા મળશે, પણ નહિ મળે હરિના મળેલ ।।

નિષ્કુળાનંદ એવા સંત સંબંધે, અનંતનાં પાપ બળેલ ।। ૧૦ ।।કડવું।।૩૮।।