સારંગપુર ૧૮ : ખાર ભૂમિનું

Submitted by Parth Patel on Wed, 09/02/2011 - 12:05am

સારંગપુર ૧૮ : ખાર ભૂમિનું

સંવત્ ૧૮૭૭ના ભાદરવા શુદિ ૮ આઠમને દિવસ સ્‍વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મઘ્‍યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી અને મસ્‍તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી ને ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, જે શ્રદ્ધાવાન પુરૂષ હોય અને તેને જો સાચા સંતનો સંગ મળે અને તે સંતના વચનને વિષે શ્રદ્ધાવાન થાય તો  એના હૃદયને વિષે સ્‍વધર્મ, વૈરાગ્‍ય, વિવેક, જ્ઞાન, ભકિત આદિક જે કલ્‍યાણકારી ગુણ તે સર્વે પ્રકટ થઇ આવે છે અને કામ, ક્રોધાદિક જે વિકાર તે બળી જાય છે, અને જો કુસંગ મળે ને કુસંગીના વચનને વિષે શ્રદ્ધાવાન થાય તો વૈરાગ્‍ય, વિવેકાદિક જે ગુણ તે સર્વે નાશ પામી જાય છે, જેમ ખાર ભૂમિ હોય ને તેને વિષે ગમે તેટલો મેધ વરસે પણ તેમાં તૃણાદિક ઉગતાં ન હોય અને તેજ ખાર ભૂમિને વિષે જો પાણીની રેલ આવે તો ખાર સર્વે ધોવાઇ જાય અને જે ઠેકાણે ખાર હતો તે ઠેકાણે કાંપ ચડી જાય. પછી તે કાંપ ભેળાં વડ, પિંપળા આદિક વૃક્ષનાં બીજ આવ્‍યાં હોય તે બીજ ઉગીને મોટાં મોટાં વૃક્ષ થાય છે, તેમ જેના હૃદયને વિષે પૂર્વે કહ્યા જે સ્વધર્માદિક ગુણ તે દૃઢ હોય અને જગત સંબંધી વિષયસુખનો અંકુર પણ ઉઠે એમ ન હોય ને તેને જો કુસંગ થાય તો તેના હૃદયને વિષે કુસંગરૂપી પાણીના વેગે કરીને જગતવાર્તારૂપીઓ કાંપ આવીને ભરાય પછી તે કાંપમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્‍સરાદિક જે બીજ રહ્યાં છે તે સર્વે ઉગીને મોટાં મોટાં વૃક્ષ થાય છે. માટે ભગવાનના ભક્ત હોય તેને કોઇ દિવસ કુસંગ ન કરવો. અને વળી પોતામાં કોઇ સ્વભાવ હોય ને તેને સંતનો સમાગમ કરીને સમજી વિચારીને ટાળે તો તે સ્વભાવનો નાશ થઇ જાય છે, પણ મુર્ખાઇએ કરીને ગમે તેટલા ઉપાય કરે તોય ભૂંડો સ્વભાવ ટળે નહિ.અને મૂર્ખ હોય તે જ્યારે મુંઝાય ત્‍યારે કાંતો સુઇ રહે ને કાંતો રૂવે, અને કાંતો કોઇક સાથે વઢે, ને કાંતો ઉપવાસ કરે એ ચાર પ્રકારે કરીને મુંઝવણ ટાળ્‍યાનો ઉપાય કરે અને એમ કરતાં જો અતિશે મુંઝાય તો છેલી બાકી મરે પણ ખરો, એવી રીતે મૂર્ખને શોક ટાળ્‍યાનો ઉપાય છે, પણ એમ કર્યા થકી દુ:ખ પણ ટળે નહિ ને સ્વભાવ પણ ટળે નહિ અને સમજીને ટાળે તો દુ:ખ ને સ્વભાવ એ બેય ટળી જાય, માટે સમજુ હોય તેજ સુખી થાય છે. અને જેમ અગ્‍નિની મોટી જ્વાળા હોય ને જો ઉપરથી જળ વરસે તો તે તત્‍કાળ ઓલાઇ જાય અને વિજળીના અગ્‍નિનો થોડો ઝબકારો થતો હોય તો પણ તે અગ્‍નિ મેધની ધટામાં રહે છે તોપણ ઓલાતો નથી તેમ સમજ્યા વિના ગમે તેટલો વૈરાગ્‍ય હોય અથવા ભગવાનમાં પ્રીતિ હોય તો પણ અગ્‍નિની જ્વાળાની પેઠે કુસંગરૂપી જળે કરીને સર્વે નાશ થઇ જાય છે અને સમજીને જે વૈરાગ્‍યને પ્રીતિ હોય તે તો વિજળીના અગ્‍નિ જેવી છે તે થોડી હોય તો પણ નાશ ન પામે.

પછી નિર્વિકારાનંદ સ્‍વામીએ પુછયું જે ”હે મહારાજ ! કોઇક પુરૂષમાં ક્રોધાદિક ભૂંડા સ્વભાવ હોય તે ટળે કે ન ટળે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”જેમ વાણિયો હોય તે જેટલો વેપાર કરે તેનું નામું માંડી રાખે  છે તેની પેઠે જે દિવસ થકી સત્‍સંગ થયો છે તે દિવસથી જેને નામું માંડી રાખ્‍યું હોય તેનો સ્વભાવ ટળે છે અને તે એમ વિચારે જે ‘જ્યારે સત્‍સંગ નહોતો ત્‍યારે મારે આટલો મલિન સ્વભાવ હતો, અને સત્‍સંગ કર્યા પછી આટલો સ્વભાવ ઉત્તમ થયો છે અને વર્ષોવર્ષ પોતાનો વધારો થતો હોય અથવા કાંઇ ફેર રહેતો હોય તે સર્વેને તપાસ્‍યા કરે, પણ મૂર્ખ વાણિયો જેમ નામું માંડે નહિ તેની પેઠે ન કરે એવી રીતે જે સત્‍સંગ કરીને પોતાનો જો તપાસ કરતો રહે તો તેના જે જે સ્વભાવ હોય તે સર્વે નાશ પામી જાય છે.

પછી મુકતાનંદ સ્‍વામીએ પુછયું જે, ”કુસંગ હોય ત્‍યારે ભૂંડો સ્વભાવ હોય જ પણ સંતનો સમાગમ કરીને પછી મલિન સ્વભાવ આવી જાય છે તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, જ્યારે બાળ અવસ્‍થા હોય ત્‍યારે કામ, ક્રોધ, લોભાદિક, શત્રુ હોય નહિ અને ભગવાનમાં પ્રીતિ પણ વિશેષ હોય, પછી જ્યારે યુવા અવસ્‍થા આવે ત્‍યારે કામાદિક શત્રુનો વધારો થાય અને દેહાભિમાન પણ વધે. પછી તે જો જે સંતને વિષે કામાદિકશત્રુ ન હોય તથા દેહાભિમાને રહિત હોય  એવા સંતનો સમાગમ રાખે તો યુવા અવસ્‍થારૂપી સમુદ્રને તરી જાય છે, અને જો એમ ન કરે તો કામાદિક શત્રુએ કરીને પરાભવ પામીને ભ્રષ્‍ટ થઇ જાય છે. અને જેની પ્રૌઢ અવસ્‍થા હોય અને તે સત્‍સંગ કરતાં થકાં બગડે છે તેનું તો કારણ એ છે જે મોટા પુરૂષ હોય તેને વિષે જે જે જાતના દોષ  પરઠે તેતે જાતના દોષ પોતાના હૈયામાં આવીને નિવાસ કરે છે અને જો મોટા પુરૂષના ગુણનું ગ્રહણ કરે  અને એમ જાણે જે, ‘મોટા પુરૂષ જે જે સ્વભાવ રાખે છે તે તો જીવના કલ્‍યાણને અર્થે છે અને મોટા પુરૂષ તો નિર્દોષ છે અને મને દોષ જણાણો તે તો મારી કુમતિએ કરીને જણાણો છે’ એમ વિચારીને સત્‍પુરૂષનો ગુણ ગ્રહણ કરે અને પોતાના અપરાધને ક્ષમા કરાવે તો તે પુરૂષની મલિનતા મટી જાય છે.

પછી મહાનુભાવાનંદ સ્‍વામીએ પુછયું જે ”રાજસી, તામસી ને સાત્ત્વિકી એ જે ત્રણ ગુણના સ્વભાવ તે સાધન કરતાં થકાં ટળે છે કે નથી ટળતા ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, એ સર્વે સ્વભાવ ટાળ્‍યા ટળે છે.” પછી મહાનુભાવાનંદ સ્‍વામીએ પુછયું જે ”દુર્વાસાદિક મુક્ત થયા છે તો પણ તે તામસી કેમ રહ્યા છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, દુર્વાસાદિકમાં જે તમોગુણ આદિક ગુણ વર્તે છે તે તો પોતાને એ ગુણ રાખવો છે માટે રહ્યો છે અને તે એમ જાણે છે જે, ‘કોઇક અવળો ચાલતો હોય તેને શિક્ષા કર્યા સારૂં આપણે તમોગુણ છે તે બહુ રૂડો છે’ એમ ગુણ જાણીને રાખ્‍યો છે અને જ્યારે પોતામાં જે સ્વભાવ વર્તતો હોય ને તે ઉપર અભાવ આવે જે ”હું ભગવાનનો ભક્ત છું તે મારે આવો ભૂંડો સ્વભાવ જોઇએ નહિ,’ એવી રીતે દોષરૂપ જાણીને જે જે સ્વભાવને તજવાને ઇચ્‍છે તો ભગવાનના પ્રતાપે કરીને તે તે સ્વભાવની નિવૃત્તિ થઇ જાય છે. ઇતિ વચનામૃતમ્ સારંગપુરનું ||૧૮|| ||૯૬||