ગઢડા મઘ્ય ૨૨ : બે સેનાના નિશાનનું – નરનારાયણ પધરાવ્યાનું

Submitted by Parth Patel on Wed, 16/02/2011 - 2:49am

ગઢડા મઘ્ય ૨૨ : બે સેનાના નિશાનનું – નરનારાયણ પધરાવ્યાનું

સંવત્ ૧૮૭૮ ના ફાગણ વદિ ૧૦ દશમીને દિવસ શ્રીજીમહારાજ અર્ધરાત્રિ સમે જાગ્‍યા ને શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ દક્ષિણાદે મુખારવિંદે ઢોલિયા ઉપર વિરાજમાન થયા હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં. ને તે સમે સર્વે સાધુ તથા હરિભક્તને તેડાવ્‍યા. પછી પોતાના મુખારવિંદની આગળ તે સર્વેની સભા ભરાઇને બેઠી.

ત્‍યારે શ્રીજીમહારાજ સાધુ પ્રત્‍યે બોલ્‍યા જે, “એક વાર્તા કરીએ તે સાંભળો જે, જેમ બે સેના હોય, ને તે પરસ્‍પર લડવાને તૈયાર થઇ હોય, ને બેયનાં નિશાન સામસામાં રોપયાં હોય, પછી બેયના મનમાં એમ હોય જે, ‘આપણું નિશાન છે તે એના નિશાનને ઠેકાણે માંડીયે, ને એનું નિશાન લઇ લઇએ.’ પણ એવો વિચાર નથી થતો જે, ‘એના નિશાન લગી જઇશું તેમાં તો કેટલાકનાં માથાં પડશે ને લોહીની નદી ચાલશે.’ તેને તો એનો ભય નથી. કાં જે, શૂરવીર હોય તેને મરવાની બીક હોય નહિ અને જે કાયર છે તે તો ભાગ્‍યાના હજારો વિચાર કરે છે, અને એમ પણ વિચાર કરે છે જે, ‘આપણી ફોજ જીતશે તો કોઇકનું ધન હથિયાર હશે તે લુટી લઇશું’ અને તે બેય રાજાના જે શૂરવીર છે તેને તો મરવાનો પણ ભય નથી ને લુંટવાનો પણ લોભ નથી, પણ તેનું નિશાન લેવું ને પોતાની જીત કરવી એવો જ એક સંકલ્‍પ છે. એ તો દષ્‍ટાંત છે. એનું સિદ્ધાંત તો એ છે જે, નિશાનને ઠેકાણે તો ભગવાનનું ધામ છે, અને રાજાના શૂરવીરને ઠેકાણે તો ભગવાનના દૃઢ ભક્ત છે, તેને તો આ સંસારને વિષે માન થાઓ અથવા અપમાન થાઓ, દેહને સુખ થાઓ અથવા દુ:ખ થાઓ, શરીર રોગી રહો અથવા નિરોગી રહો, દેહ જીવો અથવા મરો, પણ એને કોઇ જાતનો હૈયામાં ઘાટ નથી જે, આપણે આટલું દુ:ખ થશે કે આપણે આટલું સુખ થશે.’ એ બેમાંથી કોઇ જાતનો હૈયામાં ઘાટ નથી, એ ભક્તજનના હૈયામાં તો એજ દૃઢ નિશ્વય છે જે, ‘આ દેહે કરીને ભગવાનના ધામમાં નિવાસકરવો છે, પણ વચમાં કયાંય લોભાવું નથી.’ અને કાયરને ઠેકાણે જે દેહાભિમાની એવા ભગવાનના ભક્ત છે. તેને તો પ્રભુભજ્યામાં હજાર જાતના ઘાટ થાય છે જે, ‘જો કરડાં વર્તમાન થશે તો નહિ નભાય, ને સુગમ વર્તમાન હશે તો નભાશે.’ અને વળી એવો પણ વિચાર કરે જે. ‘આવો ઉપાય કરીએ તો સંસારમાં પણ સુખિયા થઇએ, અને નભાશે તો હળવાહળવા સત્‍સંગમાં નભીશું.’ એવો ભક્ત હોય  તે કાયરને ઠેકાણે જાણવો. અને શૂરવીર જે ભગવાનના દૃઢ ભક્ત હોય તેને તો પિંડ બ્રહ્માંડ સંબંધી કોઇ જાતનો ઘાટ ન થાય.”

પછી શ્રીજીમહારાજે પોતાના વૃત્તાંતની વાર્તા કરવા માંડી જે, “અમે અમદાવાદમાં શ્રીનરનારાયણદેવની પ્રતિષ્‍ઠા કરવા ગયા હતા ત્‍યારે હજારો માણસનો મેળો ભરાયો હતો પછી જ્યારે શ્રીનરનારાયણ-દેવની પ્રતિષ્‍ઠા થઇ રહી અને અમદાવાદના બ્રાહ્મણો ચોરાશી જમી રહ્યા, પછી અમે સાબદા થઇને ચાલી નીસર્યા, તે જેતલપુરમાંજઇને રાત રહ્યા. પછી ત્‍યાં જઇને એવો વિચાર કરવા માંડયો જે, ‘જેટલાં માણસ દેખ્‍યાં છે ને જેટલી પ્રવૃત્તિ દેખી છે તેને ટાળી નાખવી.’ પછી તેને વિસાર્યાને અર્થે હૈયામાં અતિશે દુ:ખ થયું, તેણે કરીને શરીરે પણ માંદા થઇ ગયા. પછી ત્‍યાં થકી ધોળકે જઇને રાત રહ્યા, અને ધોળકાના ચાલ્‍યા એને એ વિચારમાં ગામ કોઠને પાસે ગણેશ ધોળકાની રાણ્‍યોમાં જઇને રાત રહ્યા. તે વિચાર એવો કરવા માંડયો જે દેહની સ્‍મૃતિ ન રહી; પછી વિચારતાં વિચારતાં સર્વે પ્રવૃત્તિને વિસારી મેલી, ને જેવા અમે કાંકરીયે તળાવ ઉતર્યા નહોતા ને મેળો પણ ભરાયો નહોતો, ને ત્‍યારે કોઇ જાતનો ઘાટ નહોતો, તેવી રીતે સર્વે ઘાટ ટાળી નાખ્‍યા. અને જ્યારે લૌકિક ઘાટ મટી ગયા ત્‍યારે અંતર્દષ્‍ટિ રહેવા માંડી. પછી અલૌકિક આશ્વર્ય દેખાવા માંડયાં, અને દેવતા સંબંધી જે ભોગ છે તે દેખાવા માંડયા, ને અનંત  પ્રકારનાં વિમાન ને અનંત પ્રકારની અપસરા, ને અનંત પ્રકારનાં વસ્ત્ર, અનંત પ્રકારનાં અલંકાર, તે જેમ અહીં મૃત્‍યુલોકને વિષે છે તેમ જ ત્‍યાં દેખાવા લાગ્‍યાં. પણ અમારા અંતરમાંતો એક ભગવાન નરનારાયણ વિના બીજું કાંઇ ગમ્‍યું નહિ, ને જેમ અહીંના પંચવિષય તે અમને તુચ્‍છ ભાસ્‍યા ને તેમાં અમારૂં મન લોભાયું નહિ, તેમ જ દેવલોક, બ્રહ્મલોક પર્યંત અમારૂં મન કયાંઇ લોભાયું નહિ. તેને દેખીને દેવતા સર્વે અમારાં વખાણ કરવા માંડયા જે, ‘તમે ભગવાન નરનારાયણના એકાંતિક ભક્ત ખરા, કેમ જે તમારૂં મન ભગવાનને મુકીને કયાંય લોભાતું નથી.’ પછી તેમનાં વચન સાંભળીને અમારે હૈયાને વિષે સુધી હિંમત આવી. પછી અમે મનને કહ્યું જે તારૂં જેવું રૂપ છે તેવું હું જાણું છું. જો ભગવાન વિના બીજા પદાર્થનો ઘાટ ધડયો તો તારા ભુકા કરી નાખીશ. તેમજ બુદ્ધિને કહ્યું જે, ભગવાન વિના બીજો નિશ્વય કર્યો તો તારી વાત છે. તેમ જ ચિત્તને કહ્યું જે, ભગવાન વિના બીજું ચિંતવન કર્યું તો તારા પણ ભુકા કરી નાખીશ. તેમજ અહંકારને કહ્યું જે, ભગવાનના દાસત્‍વપણા વિના બીજું અભિમાન ધર્યું તો તારો નાશ કરી નાખીશ. પછી તો અમારે જેમ આ લોકના પદાર્થની અત્‍યંત વિસ્‍મૃતિ થઇ હતી, તેમજ દેવલોક બ્રહ્મલોકના પદાર્થની પણ અત્‍યંત વિસ્‍મૃતિ થઇ ગઇ. અને જ્યારે એ સર્વે સંકલ્‍પ ટળી ગયા ત્‍યારે સંકલ્‍પનો મંદવાડ હતો તે પણ ટળી ગયો. એવી રીતે ભગવાનનો ભક્ત હોય તેને વર્તવું. એમ શ્રીજીમહારાજે પોતાનું વૃત્તાંત ભક્તજનના કલ્‍યાણને અર્થે કહ્યું  ને પોતે તો સાક્ષાત શ્રીકૃષ્ણ પુરૂષોત્તમનારાયણ છે.

પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “વાસુદેવમાહાત્‍મ્‍યને વિષે એકાંતિક ભક્તના ધર્મ કહ્યા છે જે ‘એકાંતિક ભક્ત હોય તે પોતાનું રૂપ દેહ માને નહિ, ને પોતાને ચેતનરૂપ માને, અને સ્‍વધર્મ, જ્ઞાન ને વૈરાગ્‍ય, તેણે સહિત ભગવાનની ભકિત કરે, ને એક ભગવાન વિના બીજા કોઇ પદાર્થની વાસના રાખે નહિ, અને એ જ્યારે એ ભગવાનને ભજીને આવી રીતનો સાધુ થયો ત્‍યારે સાધુ થકી કોઇ બીજી મોટી પદવી નથી. જેમ રાજા હોય ને તેની રાણી હોય તે જેટલામાં રાજાનું રાજ્ય છે તેટલામાં રાણીનું રાજ્ય પણ કહેવાય, અને જેવો રાજાનો હુકમ ચાલે તેવો જ રાણીનો પણ હુકમ ચાલે; તેમ ભગવાનનો જેવો પ્રતાપ છે તેવો જ એ સાધુનો પણ પ્રતાપ છે. માટે તુચ્‍છ એવાં જે સંસારનાં સુખ તે સાધુને ઇચ્‍છવાં નહિ. કાં જે એ સાધુ જ્યારે ભગવાનના ધામને પામે છે ત્‍યારે અનંત કોટિ બ્રહ્માંડના પતિ જે બ્રહ્માદિક ઇશ્વર તે ભગવાનને અર્થે જેમ અનંત પ્રકારની ભેટ સામગ્રીઓ લાવે છે, તેમ સાધુને અર્થે પણ લાવે છે ને ભગવાનને પ્રતાપે કરીને એ સાધુ અલૌકિક ઐશ્વર્ય સામર્થીને પામે છે, એવો મોટો વિચાર હૈયામાં રાખીને એક ભગવાન વિના બીજું કાંઇપણ મનમાં ઇચ્‍છવું નહિ. અને જેમ હાથમાં ચિંતામણિ આવી ત્‍યારે તે ચિંતામણિને જતન કરીને રાખવી, કેમ જે, જો હાથમાં ચિંતામણિ છે તો જે પદાર્થને ઇચ્‍છશે તે પદાર્થને આપશે. તેમ ભગવાનના ભક્તને મૂર્તિરૂપી ચિંતામણિને ઝાલી રાખવી પણ મુકવીજ નહિ. તો તેને સર્વે વાતની સિદ્ધિ થશે. ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું  ||૨૨|| ૧૫૫ ||