ગઢડા મઘ્ય ૩૪ : તત્ત્વ જડ છે કે ચૈતન્ય ? તેનું

Submitted by Parth Patel on Wed, 16/02/2011 - 3:15am

ગઢડા મઘ્ય ૩૪ : તત્ત્વ જડ છે કે ચૈતન્ય ? તેનું

સંવત્ ૧૮૮૦ના ભાદરવા સુદી ૧ પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને ધોળું ધોતિયું પહેર્યું હતું, ને ધોળી ચાદર ઓઢી હતી, ને કાળા છેડાની ધોતલી મસ્‍તકે બાંધી હતી, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી ને પરમહંસ દુકડ સરોદા લઇને ગાવતા હતા.

પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “કીર્તન રાખો, પ્રશ્ર્ન ઉત્તર કરીએ તો આળસ મટે” એમ કહીને શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “પ્રથમ હું એક પ્રશ્ર્ન પુછું છું જે, આ જીવને વિષે માયાનાં કાર્ય એવાં જે ઇન્‍દ્રિયો, અંત:કરણ આદિક ચોવીશ તત્ત્વ તે રહ્યાં છે, તે એ તત્ત્વ જડ છે કે ચૈતન્‍ય છે ?” પછી પરમહંસે કહ્યું જે, ‘એ તત્ત્વ ચૈતન્‍ય તો ખરાં’ પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “જ્યારે એ તત્ત્વ ચૈતન્‍ય છે ત્‍યારે  આ શરીરને વિષે જીવ છે તે ભેળા ચોવીશ તત્ત્વના પણ ચોવીશ જીવ થયા, ત્‍યારે આ જીવનું જે કલ્‍યાણ થશે તે પણ સર્વેને વહેંચાતું ભાગે આવશે; ને જે પાપ કરશે તે પણ સર્વેને વહંચાતું ભાગે આવશે, ત્‍યારે સુખદુ:ખનું જે ભોકતાપણું તે એક જીવને વિષે જ નહિ કહેવાય. અને સંચિત, પ્રારબ્‍ધ ને ક્રિયમાણ એ ત્રણ પ્રકારનાં જે કર્મ તે પણ એક જીવને જ નહિ કહેવાય. અને નારદાદિક જે પૂર્વે મુક્ત થયા છે તેમનો એક પોતપોતાનો જીવ જ મુક્ત થયો છે, પણ  તે ભેળા ચોવીશ તત્ત્વના જીવ તો મુક્ત થયા કહ્યા નથી.” એવી રીતે આશંકા કરીને તત્ત્વને નિર્જીવ કરી દેખાડયાં. પછી તેમાં જે જે રીતે પરમહંસે ઉત્તર કર્યા તેને તેને આશંકા કરીને ખોટા કરી નાખ્‍યા; તે કોઇ રીતે પરમહંસથી ઉત્તર થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “લ્‍યો એનો ઉત્તર અમે કરીએ જે, એ તત્ત્વ જે તે કાર્યકારણ ભેદે કરીને બે પ્રકારનાં છે. તેમાં કારણરૂપ જે તત્ત્વ છે તે ચૈતન્‍ય છે ને કાર્યરૂપ જે તત્ત્વ છે તે જડ છે. અને આ જીવ છે તે પોતે વિશેષ સત્તાએ કરીને હૃદયને વિષે રહ્યો છે ને પોતાની સામાન્‍ય સત્તાએ કરીને દેહ, ઇન્‍દ્રિયો, અંત:કરણમાં તદાત્‍મકપણે મળ્‍યો છે, તેણે કરીને એ દેહાદિક ચૈતન્‍ય જેવા જણાય છે પણ એ તો જડ જ છે. અને જ્યારે એ જીવ ભગવાનનો ભક્ત થઇને ભગવાનના ધામમાં જાય છે ત્‍યારે જડ એવાં જે તત્ત્વ તે પડયાં રહે છે. અને એ ચોવીશ તત્ત્વ છે તે માયામાંથી થયાં છે. માટે માયારૂપ છે, ને જડ છે, અને દેહ, ઇન્‍દ્રિયો ને અંત:કરણરૂપે જુદાં જુદાં જણાય છે. તે તો જેમ એક પૃથ્‍વી છે તે જ ત્‍વચા, માંસ, મજ્જા, અસ્‍થ્‍િા ને સ્‍નાયુ એ પાંચે રૂપે થઇ છે, ને કાચરૂપે પણ કરનારાની કીંમતે થઇ છે, તેમ એ માયા છે તે પરમેશ્વરની ઇચ્‍છાએ કરીને એ દેહાદિકરૂપે જુદે જુદે પ્રકારે જણાય છે.” ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું  ||૩૪|| ૧૬૭ ||