ગઢડા મઘ્ય ૩૮ : માંચા ભક્તનું -પ્રવેશનું

Submitted by Parth Patel on Wed, 16/02/2011 - 3:23am

ગઢડા મઘ્ય ૩૮ : માંચા ભક્તનું -પ્રવેશનું

સંવત્ ૧૮૮૦ના ભાદરવા વદિ ૬ છઠને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદીતકીયા નંખાવીને વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ૧સંસારી જીવ છે તેને તો કોઇક ધન દેનારો મળે કે દીકરો દેનારો મળે તો ત્‍યાં તરત પ્રતીતિ આવે, અને ભગવાનના ભક્ત હોય તેને તો જંત્ર, મંત્ર, નાટક, ચેટકમાં કયાંય પ્રતીતિ આવે જ નહિ. અને જે હરિભક્ત હોય ને જંત્ર મંત્રમાં પ્રતીતિ કરે, તે સત્‍સંગી હોય તો પણ અર્ધો વિમુખ જાણવો. અને જે સાચા ભગવાનના ભક્ત હોય તે ઘણા હોય નહિ. યથાર્થ ભગવાનના ભક્ત તો કારિયાણી ગામમાં માંચો ભક્ત હતા. તે સત્‍સંગ થયા મોર માગર્ીના પંથમાં હતા તો પણ નિષ્કામી વર્તમાનમાં ફેર પડયો નહિ, અને પોતે બાળબ્રહ્મચારી રહ્યા. અને કોઇક કીમિયાવાળો પોતાને ઘેર આવીને ઉતર્યો હતો, તેણે ત્રાંબામાંથી રૂપું કરી દેખાડયું, ને પછી એ ભક્તને કહ્યું જે, ‘તમે સદાવ્રતી છો માટે તમને આ બુટી બતાવીને રૂપું કરવા શીખવું.’  પછી એ ભકતે લાકડી લઇને તેને ગામ બહાર કાઢી મુકયો, અને તેને એમ કહ્યું જે, ‘અમારે તો ભગવાન વિના બીજા પદાર્થની ઇચ્‍છા નથી.’ પછી એ ભક્તને સત્‍સંગ થયો ત્‍યારે ભગવાનના એકાંતિક ભક્ત થયા. માટે જે એકાંતિક ભક્ત હોય તેને એક તો આત્‍મનિષ્‍ઠા હોય, ને બીજો વૈરાગ્‍ય હોય, ને ત્રીજો પોતાનો ધર્મ દૃઢપણે હોય, ને ચોથી શ્રીકૃષ્ણ ભગવાનને વિષે અત્‍યંત ભકિત હોય; અને તે એકાંતિક ભક્ત જ્યારે દેહ મુકે ત્‍યારે તેનો શ્રીકૃષ્ણ ભગવાનને વિષે પ્રવેશ થાય છે, અને જે એકાંતિક ન હોય તેનો તો બ્રહ્માદિકમાં પ્રવેશ થાય છે, અથવા સંકર્ષણાદિકને વિષે પ્રવેશ થાય છે, પણ એકાંતિક થયા વિના શ્રીકૃષ્ણવાસુદેવમાં પ્રવેશ થતો નથી. તે પ્રવેશ તે એમ સમજવો જે જેમ અતિશય લોભી હોય તેનો ધનમાં પ્રવેશ થાય છે, ને જેમ અતિ કામી હોય તેનો મનગમતી સ્‍ત્રીમાં પ્રવેશ થાય છે, ને જેમ ઘણીક દોલતવાળો હોય ને તે વાંઝિયો હોય ને તેને દીકરો આવે તો તેનો દીકરામાં પ્રવેશ થાય છે, તેમ એવી રીતે જેનો જીવ જે સંધાથે બંધાયો હોય તેને વિષે તેનો પ્રવેશ જાણવો, પણ જેમ જળમાં જળ મળી જાય છે અને અગ્‍નિમાં અગ્‍નિ મળી જાય છે તેમ પ્રવેશ નથી થતો, એ તો જેનો જેને વિષે પ્રવેશ હોય તેને પોતાના ઇષ્‍ટદેવ વિના બીજા કોઇ પદાર્થને વિષે હેત ઉપજે નહિ, ને એક તેની જ રટના લાગી રહે, ને તે વિના જીવે તે મહા દુ:ખના દિવસ ભોગવીને જીવે, પણ સુખ ન થાય.” ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું  ||૩૮|| ૧૭૧ ||