ગઢડા મઘ્ય ૬૧ : નિયમ, નિશ્વય અને પક્ષનું

Submitted by Parth Patel on Thu, 17/02/2011 - 1:12am

ગઢડા મઘ્ય ૬૧ : નિયમ, નિશ્વય અને પક્ષનું

સંવત્ ૧૮૮૧ના શ્રાવણ વદિ ૭ સાતમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઉગમણી ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને મસ્‍તક ઉપર શ્વેત શેલું સોનેરી છેડાનું બાંઘ્‍યું હતું, અને એક બીજું શ્વેત શેલું ઓઢયું હતું, અને શ્વેત ખેસ પહેર્યો હતો, અને મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “જેમાં ત્રણ વાનાં હોય તે પાકો સત્‍સંગી કહેવાય. તે ત્રણ વાનાં તે કયાં ?તો એક તો પોતાને ઇષ્‍ટદેવે જે નિયમ ધરાવ્‍યાં હોય તે પોતાના શિર સાટે દૃઢ કરીને પાળે, પણ એ ધર્મનો કોઇ દિવસ ત્‍યાગ ન કરે. અને બીજો ભગવાનના સ્‍વરૂપનો જે નિશ્વય તે અતિશે દ્રઢપણે હોય પણ તેમાં કોઇ સંશય નાખે તો સંશય પડે નહિ, ને પોતાનું મન સંશય નાખે તોય પણ સંશય પડે નહિ, એવો ભગવાનનો અડગ નિશ્વય હોય, અને ત્રીજો પોતાના ઇષ્‍ટદેવને ભજતા હોય એવા જે સત્‍સંગી વૈષ્ણવ તેનો પક્ષ રાખવો. તે જેમ મા, બાપ, દીકરા, દિકરી તેનો પક્ષ રાખે છે, અને જેમ પુત્ર હોય તે પોતાના પિતાનો પક્ષ રાખે છે. અને જેમ સ્‍ત્રી હોય તે પોતાના પતિનો પક્ષ રાખે છે. તેમ ભગવાનના ભક્તનો પક્ષ રાખવો. એ ત્રણ વાનાં જેમાં પરિપૂર્ણ હોય તે પાકો સત્‍સંગી કહેવાય. અને હરિભક્તની સભામાં મોઢાં આગળ આવીને બેસતો હોય ત્‍યારે બીજાને એમ જણાય જે, ‘એ મોટેરો સત્‍સંગી છે.’ પણ મોટેરાની તો એમ પરીક્ષા છે જે, ગૃહસ્‍થ હોય તે તો પોતાનું જે સર્વસ્‍વ તે ભગવાન અને ભગવાનના ભક્તને અર્થે કરી રાખે, અને સત્‍સંગને અર્થે માથું દેવું હોય તો દે. અને જે ઘડીએ પોતાના ઇષ્‍ટદેવ આજ્ઞા કરે જે, ‘તું પરમહંસ થા.’ તો તે તત્‍કાળ પરમહંસ થાય. એવાં જેનાં લક્ષણ હોય તે હરિભક્તની સભાને આગળ બેસે અથવા વાંસે બેસે પણ તેને જ સર્વે હરિભક્તમાં મોટેરો જાણવો. અને જે ત્‍યાગી હોય તે જ્યારે દેશ પરદેશમાં જાય ને ત્‍યાં કનક કામિનીનો યોગ થાય તોય પણ તેમાં ફેર પડે નહિ, અને પોતાના જે જે નિયમો હોય તે સર્વે દૃઢ કરીને રાખે, તે સર્વે ત્‍યાગીમાં મોટેરો કહેવાય.”

અને વળી કોઇક સંસારમાં રજોગુણી મોટો મનુષ્ય કહેવાતો હોય ને તે જ્યારે સભામાં આવે ત્‍યારે તેને આદર કરીને સર્વ સભાના મોઢા આગળ બેસાર્યો જોઇએ. અને એ વ્‍યવહાર છે. તે જ્ઞાની હોય, ત્‍યાગી હોય તેને પણ રાખ્‍યો જોઇએ. અને જો ન રાખે તો એમાંથી ભૂંડું થાય છે. જેમ રાજા પરીક્ષિત ઋષિના આશ્રમમાં ગયા ત્‍યારે ઋષિ સમાધિમાં હતા, તે રાજાનું સન્‍માન થયું નહિ. પછી તે રાજાને રીસ ચડી તે મરેલ સર્પ હતો તે ઋષિના ગળામાં નાખ્‍યો. પછી તે ઋષિના પુત્રે શાપ દીધો, તેણે કરીને તે રાજાનો સાત દિવસમાં મૃત્‍યુ થયો અને જ્યારે બ્રહ્માની સભામાં દક્ષ પ્રજાપતિ આવ્‍યા ત્‍યારે શિવજી ઉભા ન થયા, અને વચને કરીને પણ દક્ષનું સન્‍માન ન થયું. પછી દક્ષને રીસ ચડી તે શિવનો યજ્ઞમાંથી ભાગ કાઢી નાખ્‍યો. પછી નંદીશ્વર ને ભૃગુઋષિ તેને સામસામા શાપ થયા. પછી તે શાપમાં સતી દક્ષના યજ્ઞમાં બળી મુવાં, અને વીરભદ્રે દક્ષનું માથું કાપીને અગ્‍નિમાં હોમ્‍યું, અને દક્ષનું મુખ બકરાનું થયું. માટે ગૃહસ્‍થ તથા ત્‍યાગી એ સૌને એ રીત રાખવી જે, સંસાર વ્‍યવહારે જે મોટો માણસ કહેવાતો હોય તેનું સભામાં કોઇ રીતે અપમાન કરવું નહિ. અને જો અપમાન કરે તો તેમાંથી જરૂર દુ:ખ થાય અને ભજન સ્‍મરણમાં પણ વિક્ષેપ થાય. માટે આ વાર્તા સત્‍સંગી ગૃહસ્‍થ સર્વે તથા ત્‍યાગી સર્વે દૃઢ કરીને રાખજ્યો.” ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું ||૬૧|| ૧૯૪ ||