ગઢડા અંત્ય ૨૬ : મન-ઈન્દ્રિયોને દાબીને વર્તે તેવા સંતનું

Submitted by Parth Patel on Fri, 18/02/2011 - 3:49am

ગઢડા અંત્ય ૨૬ : મન-ઈન્દ્રિયોને દાબીને વર્તે તેવા સંતનું

સંવત્ ૧૮૮૫ના કાર્તિક શુદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, “ભગવાનની પેઠે સેવા કરવા યોગ્‍ય એવા જે સંત તે કેવા હોય તો ઈન્‍દ્રિયો, અંત:કરણ આદિક જે માયાના ગુણ તેની જે ક્રિયા તેને પોતે દાબીને વર્તે પણ એની ક્રિયાએ કરીને પોતે દબાય નહિ, ને ભગવાન સંબંધી ક્રિયાનેજ કરે. ને પંચવર્તમાનમાં દ્રઢ રહેતા હોય ને પોતાને બ્રહ્મરૂપ માને ને પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે એવા જે સંત, તેને મનુષ્ય જેવા ન જાણવા ને દેવ જેવા પણ ન જાણવા. કેમ જે, એવી ક્રિયા દેવ મનુષ્યને વિષે હોય નહિ. અને એવા સંત મનુષ્ય છે તો પણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્‍ય છે. માટે જેને કલ્‍યાણનો ખપ હોય એવા જે પુરુષ તેને એવા સંતની સેવા કરવી.  અને એવા સાધુગુણે યુક્ત જે બાઈ તેની સેવા બાઈને કરવી.”

પછી શ્રીજી મહારાજને આત્‍માનંદસ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, “આ સત્‍સંગમાં જે વર્તમાનનો પ્રબંધ છે તેમાં જ્યાં સુધી રહેતા હોય ત્‍યાં સુધી તો જેવો તેવો હોય તેને પણ પંચવિષયે કરીને બંધન થાય નહિ. પણ કોઈક દેશકાળને યોગે કરીને સત્‍સંગથી બહાર નીસરી જવાય તો પણ જેને પંચવિષય બંધન ન કરી શકે, તે પુરુષ કેવો હોય તેનાં લક્ષણકહો ?” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, જેની બુદ્ધિમાં ધમાર્ંશ વિશેષપણે વર્તતો હોય ને આસ્‍તિકપણું હોય જે, આ લોકમાં જે સારૂં નરસું કર્મ કરે છે તેનું જે સારૂં નરસું ફળ તેને જરૂર પરલોકમાં ભોગવે છે. એવી દ્રઢ મતિ જેને હોય તથા લાજ હોય જે, ભૂંડું કરીશું તો આ લોકમાં માણસ આગળ શું મુખ દેખાડીશું ?’ એવો જે, હોય તે ગમે ત્‍યાં જાય તોપણ એને કોઈ પદાર્થ તથા સ્‍ત્રીયાદિક તે બંધન કરી શકે નહિ. જેમ મયારામ ભટ્ટ છે તથા મૂળજી બ્રહ્મચારી છે તથા નિષ્કુળાનંદસ્વામી છે, એવી જાતના જે હોય તેને સ્‍ત્રી ધનાદિક પદાર્થનો યોગ થાય તોપણ એ ડગે નહિ. અને એવો હોય ને તેને જો એક આત્‍મનિષ્‍ઠાપણું હોય જે, હું તો આત્‍મા છું, બ્રહ્મ છું, તે મારે વિષે શુભ અશુભ ક્રિયા લાગતી નથી, હું તો અસંગી છું,’ એવું અંગ હોય, તથા બીજું એમ હોય જે, ભગવાનનો મહિમા બહુ સમજે ને તે મહિમાની બહુ વાર્તા કરે જે કાંઈક ધર્મ વિરુદ્ધ વર્તાઈ જશે તેનો શો ભાર છે ? ભગવાનનો મહિમા બહુ મોટો છે, એ બે રીતના જે હોય તેમાં એ બે રીતના જે દોષ તે ધર્મ પાળવામાં મોટા અંતરાયરૂપ છે માટે આવી રીતે સમજે તો સારૂં જે, આત્‍મનિષ્‍ઠા પણ યથાર્થ હોય તથા ભગવાનનું માહાત્‍મ્‍ય પણ સારીપેઠે સમજે, અને નિષ્કામપણું, નિર્લોભપણું, નિ:સ્વાદપણું, નિર્માનપણું એ આદિક જે ધર્મ તેને ભગવાનની પ્રસન્નતાને અર્થે સમજીને દ્રઢપણે પાળે. અને એમ સમજે જે હું એ ધર્મને પાળીશ તો મારી ઉપર ભગવાન બહુ રાજી થશે, અને જો મને કોઈ રીતે ધર્મમાંથી કાંઈક ભંગ પડશે તો ભગવાનનો મારી ઉપર બહુ કુરાજીપો થશે. એવી રીતે જેના અંતરમાં દ્રઢ ગ્રંથિ હોય તે ભક્ત જે તે ધર્મમાંથી કોઈ દિવસ પડે નહિ. અને એવો જે હોય તેને કોઈ માયિક પદાર્થ બંધન કરી શકે નહિ. અને આવી રીતની સમજણવાળો ન હોય ને બીજો ગમે તેવો જ્ઞાનવાળો હોય કે ભકિતવાન હોય તેને પણ ધર્મમાંથી કાંઈક ભંગ થઈ જાય ખરો તથા માયિક પદાર્થ બંધન કરે ખરૂં એ સિદ્ધાંત વાર્તા છે.”

પછી વળી શ્રીજીમહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી જે, “અમને અહંકાર ન ગમે, તે અહંકાર ભકિતપણાનો હોય, ત્‍યાગપણાનો હોય, વૈરાગ્‍યપણાનો હોય, બ્રહ્મપણાનો હોય, સમજણનો હોય, વર્તમાનપાળ્‍યાનો હોય, એ રીતનો જે જે અહંકાર તે અમને ન ગમે. અને દંભ ન ગમે. તે દંભ તે શું ? તો પોતાના હૃદયમાં ભગવાનનો નિશ્વય, ભકિત અને ધર્મ તે થોડાં હોય ને બીજા આગળ પોતાની મોટપ વધાર્યા સારૂં ઉપરથી તો તેને બહુ જણાવે તે ન ગમે, અને પોતાને ને ભગવાનને જે અભેદપણે ભજે તે ન ગમે, તથા જે નિયમ ધાર્યો હોય તે નિયમને ઘડીક મુકી દે ને વળી ઘડીકમાં પાળે, એવી રીતે જે શિથિલ વર્તતો હોય તે ન ગમે, અને ભગવાનનો મહિમા તો ઝાઝો મોટોસમજે; ને પોતાને અતિશય તુચ્‍છપણે સમજે, પણ દેહથી જુદો જે આત્‍મા તે રૂપ પોતાને ન માને તે ન ગમે, અને હવે જે ગમે તે કહીએ છીએ જે, ભગવાનનો મહિમા તો યથાર્થ સમજે ને પોતાના દેહથી વ્‍યતિરિક્ત જે પોતાનો આત્‍મા તેને બ્રહ્મરૂપ સમજે, અને ધર્મમાં દ્રઢ રહ્યો હોય, અને ભગવાનની અચળ ભકિત કરતો હોય, અને આવી રીતનો પોતે હોય તો પણ સત્‍સંગમાં કોઇક કાંઇ ન સમજતો હોય ને ભગવાનનો નિશ્વય તો હોય તેને મોટો જાણે ને તેની આગળ પોતાને અતિ તુચ્‍છ જાણે અને વાર્તા કર્યામાં પોતાના મુખે કરીને પોતાની સમજણનો કેફ કોઈની આગળ લગાર પણ જણાવે નહિ, એવો જે હોય તે અમને બહુ ગમે.” એવી રીતે શ્રીજીમહારાજ વાર્તા કરીને પોતાને ઉતારે પધાર્યા. ઇતિ વચનામૃતમ્ ગઢડા અંત્યનું ||૨૬|| ૨૬૦ ||