૧૩૯. રાજુલાના સોની નાગભકત અને તેનો પુત્ર ભગો, ભાવનગરનાં રાજાભાઇ તથા પૂજાં ડોડિયાને શ્રીહરિએ આપે

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 5:27pm

પૂર્વછાયો- આશ્ચર્ય વાત છે અતિ ઘણી, કહેતાં આવે અતિ આનંદ ।

ભક્તની ભીડ્ય ભાંગવા, છે સમર્થ સહજાનંદ ।।૧।।

જળે સ્થળે જવાળાથકી, જે કરી જનની જતન ।

ભાખું તે હવે ભાવશું, સહુ સાંભળજયો દઇ મન ।।૨।।

લૌકિકમાં અલૌકિકની, વળી વર્ણવીને કહું વાત ।

હરિ હરિજનના, જે સુજશ છે સાક્ષાત ।।૩।।

સાંભળતાં સંકટ ટળે, વળી કહેતાં કલિમળ જાય ।

ર્દિદ સંભારે જે દર્દમાં, તેની શ્રીહરિ કરે સહાય ।।૪।।

ચોપાઇ- એક રુડું રાજાુલું છે ગામ, તિયાં સોનીભક્ત નાગ નામ ।

ખરો વિશવાસી જન જાણો, સાચો ભક્ત પ્રભુનો પ્રમાણો ।।૫।।

એકે સ્વામીનો સત્ય આધાર, બીજા કોઇનો ન ગણે ભાર ।

સાચા સંત તે સ્વામીના સાધુ, બીજા અસંત બગડેલ બાધુ ।।૬।।

એમ ઓળખી સત્ય અસત્ય, ભજે સ્વામીને ન ચળે મત્ય ।

એક દિવસ ઉદ્યમકાજે, ગયો વિદેશ બેસીને ઝાઝે ।।૭।।

કરી કાજ વળ્યો બેસી વાણે, કળ વકળ કાંઇ ન જાણે ।

બેઠો વાણકિનારે બફોમ, પડ્યો પાણીમાં ન રહી વ્યોમ ।।૮।।

તન સ્થૂળ ને ન જાણે તરી, ગયું દૂર વાણ વેગ કરી ।

અતિકષ્ટ આવિયો અલેખે, જીવવાની તો રીત્ય ન દેખે ।।૯।।

પછી સંભાર્યા સોનીએ સ્વામી, આવો આ સમે અંતરજામી ।

હવે નથી ઇચ્છા મારે અન્ય, નાથ આવી તજાવિયે તન ।।૧૦।।

જયારે દાસ બોલ્યો દીન વાણી, ત્યારે આવિયા સારંગપાણી ।

હેઠ્યે આવી નાથ હાથે દીધો, જળથી જન ઉંચેરો કીધો ।।૧૧।।

કહે ભય મ રાખીશ કાંઇ, નહિ બુડ્ય આ અર્ણવમાંઇ ।

ત્યાં તો ખેવટે ખબર લીધિ, ભાઇઓ આપણે ભુંડિજ કીધિ ।।૧૨।।

એક પુરૂષ પડ્યો પાણીમાંઇ, તેની ગમ રહી નહિ કાંઇ ।

માટે વાણ વાળો એને કાજે, હોય જીવતો તો લૈયે ઝાઝે ।।૧૩।।

વાળ્યું વાણ આવ્યું જીયાં એહ, જાણી જીવતો લીધો છે તેહ ।

પછી ખેવટ પૂછે છે મળી, કેમ રહ્યું તન તારૂં વળી ।।૧૪।।

કહે ભક્ત કરી મારી સાય, સ્વામી સહજાનંદે જળમાંય ।

કહે ખેવટ વાત એ ખરી, તને રાખ્યો એ સાચા શ્રીહરિ ।।૧૫।।

પામ્યો પચોર્ તું નાગ નિદાન, તને રાખ્યો એ સાચા ભગવાન ।

માટે મેળવ્ય અમને એહ, તારી પાસે હું માગું છું તેહ ।।૧૬।।

પછી ભક્ત ભેળો લઇ તેને, ઓળખાવ્યા અલબેલો એને ।

તેહ નિશ્ચે કરી ઘેર ગયો, એમ એ ભક્તને પચોર્ થયો ।।૧૭।।

વળી વાત તેના સુત કેરી, નામ ભગો છે ભક્તિ ઘણેરી ।

કરે સોનીનું સરવે કામ, ભજે સ્વામિનારાયણ નામ ।।૧૮।।

ત્યારે યવન વદિયો વાદ, કહે મેલીદે તું વિખવાદ ।

સ્વામિનારાયણ તારા ખોટા, મારા અલ્લાથી એ નહિ મોટા ।।૧૯।।

કહે ભગો એહ વાત સાચી, અમે એવા જાણી રહ્યા રાચી ।

કહે યવન એમ ન થાય, એમ અમને તેં ન જીતાય ।।૨૦।।

આવ્ય ચઢિયે આ ઉંચે ભવન, ત્યાંથી પડતું મેલિયે તન ।

જો તું જીવતો રહે ત્યાંથી જન, તો હું કરૂં સ્વામીનું ભજન ।।૨૧।।

જો હું જીવતો રહું ભગલા, તો હું તને ભજાવીશ અલ્લા ।

એમ કહી ઉંચા બેઉ ચડ્યા, મુલાંજીતો મોરથકી પડ્યા ।।૨૨।।

ભાંગ્યા હાથ પગ વળી હૈયું, મોઢું ભાંગી લોહીલાણ થયું ।

વોરો હાય હાય કરે રહ્યો, ભગા તુંતો સાચો ભાઇ થયો ।।૨૩।।

આવ્યાં ગામનાં લોક સાંભળી, કહે માંહોમાંહિ એમ મળી ।

ભાઇ ભગો જીત્યો હોડ આજે, રાખ્યો એને સ્વામી મહારાજે ।।૨૪।।

આપ્યો પરચો એને ભગવાને, હશે મૂરખ તે નહિ માને ।

વળી કહું એક વાત વખાણી, લેજયો હરિજન સત્ય જાણી ।।૨૫।।

એક ભાવનગર શહેરમાંઇ, રહે ક્ષત્રિ તિયાં રાજોભાઈ ।

એક રૂપોભાઈ હરિજન, ગયા પોત્યે તેહને ભુવન ।।૨૬।।

તિયાં બેઠા છે ઘડી બેચ્ચાર, કરે મને મૂરતિ વિચાર ।

વળી વૃત્તિ તે અંતરમાંઇ, દિઠો શ્વેતદ્વીપ વળી ત્યાંઇ ।।૨૭।।

દિઠીમૂર્તિ મહારાજતણી, શ્વેતદ્વીપના જે કોઇ ઘણી ।

દિઠા મુક્ત ત્યાં બીજા અપાર, દિઠા ઝીણોભાઈ તે મોઝાર ।।૨૮।।

અતિ તેજોમય જેહ ધામ, તેજોમય મુક્ત છે નિષ્કામ ।

અતિતેજ તેજ ઝળહળે, તેજ વિના તે બીજું ન મળે ।।૨૯।।

તેને જોતાંજોતાં રાજોભાઇ, ગઇ આંખ્યો પોતાની અંજાઇ ।

સુખસુખ અતિ જીયાં સુખ, તે ન કહેવાય વર્ણવી મુખ ।।૩૦।।

કહે નાથ સુણો રાજાભાઇ, તમે જાઓ પાછા હવે ત્યાંઇ ।

બોલ્યા રાજોભાઇ તે સાંભળી, હવે નહિ જાઉં પાછો વળી ।।૩૧।।

કહે નાથ ન રહેવાય આંઇ, જાઓ પાછા તમે તનમાંઇ ।

કહે ઝીણોભાઇ વળી અમે, જાશું કહેશો જરૂર જો તમે ।।૩૨।।

કહે નાથ તજયું એણે અંગ, એને તેડી લાવ્યા અમે સંગ ।

અમે ગયા હતા એને ઘેર, મેલ્યું દેહ તેહ રૂડીપેર ।।૩૩।।

રાખી આવ્યા છીએ સંત તિયાં, અયોધ્યાવાસી તો તિયાં રહ્યા ।

એમ કહી દેખાડ્યું મહારાજે, સુણ્યું સરવે તે ભાઇ રાજે ।।૩૪।।

પછી ત્યાંથી આવ્યા દેહ માંઇ, અહો અહો કહે રાજોભાઇ ।

પછી જોઇ આવ્યાતા જે ત્યાંઇ,તેની વાત કરી સર્વે આંઇ ।।૩૫।।

કહ્યું ઝીણાભાઇનું આગમ, સહુ સુણી ખાઇ રહ્યા ગમ ।

પછી વાત એ દિન દોચ્યારે, થઇ સાચી તે સર્વે પ્રકારે ।।૩૬।।

એવો દેખાડ્યો ચમત્કાર, સ્વામી સહજાનંદે નિરધાર ।

વળી વારતા છે એક સારી, સહુ લેજયો અંતરમાં ધારી ।।૩૭।।

એક પાણવી નામે છે ગામ, ક્ષત્રિભક્ત પુંજોભાઇ નામ ।

અતિ વૈરાગ્યવાન વિશેક, બીજો સમઝે નહિ વિવેક ।।૩૮।।

પાડી અંતરમાં આંટી એહ, મળે નાથ કાં તજું આ દેહ ।

પછી ગયો સમુદ્ર છે ત્યાંઇ, સુણ્યો મહાદેવ છે જળમાંઇ ।।૩૯।।

આવતી લેરે લિંગ ઢંકાય, વળે લેર તારે ત્યાં જવાય ।

પછી ગયો પૂંજો તેને પાસ, મળે પ્રભુ અંતરે એ આશ ।।૪૦।।

પોત્યે તિયાં આવ્યું પાછું પાણી, ભરી લિંગ સાથે બાથ તાણી ।

આવ્યું જળ બળે બહુ ત્યારે, ઠેલી કાઢ્યો ગાઉ પાછો આરે ।।૪૧।।

ત્યારે અંતરે એમ વિચાર્યું, કેમ થયું નહિ મોત મારું ।

આતો આશ્ચર્ય વારતા જાણું, અતિ અગાધ જળમાં જીવાણું ।।૪૨।।

હવે મરવું મારે જરુર, પડું જઇ હું આવતે પૂર ।

એમ નિશ્ચે કરી ચાલ્યો જયારે, થઇ આકાશવાણી તે વારે ।।૪૩।।

કહે અમથો મરે શિદ આંઇ, પ્રભુ મળશે તુંજા ઘેર ત્યાંઇ ।

સ્વામી સહજાનંદજી છે જેહ, આજ પ્રકટ પ્રભુ છે તેહ ।।૪૪।।

તારે ગામ આવ્યા તેના જન, થાજે સત્સંગી માની વચન ।

એવી સુણી આકાશની વાણી, વળ્યો પુંજો તે વિશ્વાસ આણી ।।૪૫।।

દિઠા સંત આવ્યો જયારે ઘેર, મળી વાત રહ્યો નહિ ફેર ।

આવી લાગ્યો સંતને ચરણે, સાધો ! હું છઉં તમારે શરણે ।।૪૬।।

સાચા તમે છો સ્વામીના સંત, તમને મળ્યા છે શ્રીભગવંત ।

હું તો પરચો પામ્યો છું આજ, માની લેજયો તમે મહારાજ ।।૪૭।।

જેનું સ્વામી સહજાનંદ નામ, તેતો પોત્યે છે પૂરણકામ ।

તેનાં થાય મને દર્શન, એમ થાઓ તમે પરસન્ન ।।૪૮।।

પછી સંતે મેળ્યા ભગવાન, દીધાં પુંજાને દર્શનદાન ।

અતિ વાત અલૌકિક જાણી, કહી જાણીને તેને મેં વખાણી ।।૪૯।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજીમહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે એકસો ને ઓગણચાલિશમું પ્રકરણમ્ ।।૧૩૯।।