સ્નેહગીતા કડવું - ૦૧

Submitted by swaminarayanworld on Wed, 08/02/2012 - 11:52am
રાગ: ધન્યાશ્રી 
 
મંગળ મૂર્તિ છે શ્રીમહારાજજી, વ્રજજનવલ્લભ શ્રીવ્રજરાજજી ।
મે’ર મુજ ઊપર કરો એવી આજજી, અંતર ઈચ્છેછે ગાવા ગુણ કાજજી ।।૧।।
 
ઢાળ
 
ગુણ ગાવા ગોવિંદ તમારા, ઈચ્છા તે મુજને અતિ ઘણી ।  
ચવું ચરિત્ર સ્નેહગીતા, જેવી મતિ ગતિ છે મુજતણી ।।૨।।
સ્નેહે કથા હવે સુણો સહુ, બહુ પ્રકારે મ પેખિયું । 
જપ તપ તીરથ જોગ યજ્ઞ, સ્નેહ સમાન નવ દેખિયું ।।૩।।
દાન પુણ્ય ને વ્રત વિધિ, કરે ભકિત નવધા કોય ।  
સ્નેહ વિના સરવે સૂનું, જેમ ભોજન ઘૃત વીણ હોય ।।૪।।
નીર વિના જેમ સૂકું સરોવર, સુગંધ વિના શિયાં ફુલ ।  
તેમ સ્નેહ વિના સૂનું હૃદય, શું થયું ચવેછે ચંડૂલ ।।૫।।
પ્રેમ પખિ છે લૂખી જો ભગતિ, કોઈ અનેક ગુણ ભાખે ભણે । 
ચૌદ વિદ્યાવાન ચતુર જન, વળી કવિ કોવિદને કોણ ગણે ।।૬।।
સ્નેહ વિના લૂખું લાગે, કથતાં તે કોરૂં જો જ્ઞાન । 
હેત વિનાનું હૃદય એવું, જેવી વર વિનાની જાન ।।૭।।
સ્નેહ વિના શોભે નહિ, હૃદય તે હરિદાસનું । 
પંકજનયનની પ્રીત વિના, અમથું શું રહેવું ઊદાસનું ।।૮।।
નેહનાં નયણે નીર વરસે, ગાતાં ગદગદ ગિરા  નિસરે ।  
કૃષ્ણ કૃષ્ણ કહેતાં મુખે, વળી વપુ વિકારને વિસરે ।।૯।।
પ્રીતે ચિત્ત ચરણે સાપી, અને સ્નેહ સાચો જે કરે, 
નિષ્કુલાનંદના નાથ સાથે, સ્નેહીને સદા સંગે ફરે ।।૧૦।। 
કડવું ।।૧।।