વચનવિધિ કડવું - ૪૭

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 6:46pm

પ્રભુ પાસ વાસ કરવા વિગત્યજી, વચન વા’લાનાં સર્વે માનવા સત્યજી
સુખ દુઃખ પડ્યે ન હારવી હિમત્યજી, માન અપમાને રાખવી એક મત્યજી

મતિ એક રતી નવ ફરે, આવે કાયાયે કોટિ કલેશ ।।
વ્યાકુળ થઈ વિપત્તિમાંહી, લોપે નહિ વચનને લેશ ।। ર ।।

જેણે સાબિત કીધું છે શીશ સાટે, હરિમરજીમાં મરી મટવા ।।
એવા જનને જોઈને, હરિ નહિ દિયે પાછો હટવા ।। ૩ ।।

પણ દેહાભિમાની દાસનો, ના’વે વાલમને વિશ્વાસ ।।
જાણે ખરું કે’તાં ખમી નહિ શકે, કાં જે નથી વચનમાં વાસ ।। ૪ ।।

હરિવચનમાં પડે વસમું, તો લોપતાં લેશ ભૂલે નહિ ।।
સુખ સદા રહે શરીરમાં, એમ સાબિત કીધું છે સહિ ।। પ ।।

તેને વચનમાં વરતતાં, કઠણથી કઠણ પડે ઘણું ।।
જેને લેવું છે સુખ આ લોકનું, નથી લેવું સુખ શ્રીહરિતણું ।। ૬ ।।

જેમ પશુઘાતકી ઘરનું પશુ, નીલી ચાર્ય પર નજર છે ।।
પણ કાતે કરી કંઠ કાપશે, તેની તેને કાંઈ ખબર છે ? ।। ૭ ।।

તેમ પશુવત પામર નરને, વિષયરૂપ ચાર્ય મળી ।।
નિષ્કુળાનંદ નિરભાગી નરને, દુઃખમાં સુખ મનાણું વળી ।। ૮ ।।