સારંગપુર ૧૩ : નિશ્વય ટાળ્યા – ન ટાળ્યાનું

Submitted by Parth Patel on Tue, 08/02/2011 - 11:59pm

સારંગપુર ૧૩ : નિશ્વય ટાળ્યા – ન ટાળ્યાનું

સંવત્ ૧૮૭૭ના ભાદરવા સુદિ ૨ બીજને દિવસ સ્‍વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રીસારંગપુર મઘ્‍યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા. અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી મુકતાનંદ સ્‍વામીએ પુછયું જે, “જેને ભગવાનના સ્‍વરૂપનો નિશ્વય પ્રથમ થઇને પછી મટી જાય છે, તેને પ્રથમ નિશ્વય થયો હતો કે નહોતો થયો ?” પછી સ્‍વયંપ્રકાશાનંદ સ્‍વામી બોલ્‍યા જે, “જેને પોતાના જીવાત્‍માને વિષે નિશ્વય થયો હોય તે તો કોઇ રીતે ટળે નહિ અને શાસ્ત્રની રીતે જો નિશ્વય થયો હોય તો શાસ્ત્રમાં ન મળે એવું ચરિત્ર જ્યારે પરમેશ્વર કરે ત્‍યારે ભગવાનનો નિશ્વય હોય તે ટળી જાય છે.” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “શાસ્ત્રને વિષે તો પરમેશ્વરનું સમર્થપણું, અસમર્થ પણું, કર્તાપણું, અકર્તાપણું એવી અનંત જાતની વાત છે, માટે એવું કયું શાસ્ત્ર બહાર ચરિત્ર પરમેશ્વરે કર્યુ હશે, જેણે કરીને એનો નિશ્વય ટળી ગયો ? એ પ્રશ્ર્નનો ઉત્તર કરો.” પછી સર્વે મુનિ બોલ્‍યા જે, “શાસ્ત્ર બહાર તો કોઇ ચરિત્ર નથી, માટે હે મહારાજ ! એ જીવને નિશ્વય થઇ ને પાછો ટળી જાય છે તેનું શું કારણ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ‘જેને ભગવાનનો નિશ્વય થાય છે, તેને શાસ્‍ત્રે કરીને જ થાય છે, કાં જે શાસ્ત્રમાં પરમેશ્વરનાં પણ લક્ષણ કહ્યાં હોય, અને સંતનાં પણ કહ્યાં હોય, માટે શાસ્‍ત્રે કરીને નિશ્વય થાય તેજ અચળ રહે છે અને શાસ્ત્ર વિના પોતાને મને કરીને જે નિશ્વય કર્યો હોય તે નિશ્વય ટળી જાય છે, અને વળી ધર્મની પ્રવૃતિનું જે કારણ છે તે પણ શાસ્ત્રજ છે અને જેણે શાસ્ત્ર કોઇ દિવસ સાંભળ્‍યાંજ નથી એવા જે અજ્ઞાની જીવ તેમને વિષે પણ મા,બેન, દિકરી, અને સ્ત્રી તેની વિગતી રૂપ જે ધર્મની મર્યાદા તે આજ સુધી ચાલી આવે છે, તેનું કારણ પણ શાસ્ત્રજ છે, કેમ જે શાસ્ત્રમાંથી કોઇકે પ્રથમ એવી વાત સાંભળી છે તે પરંપરાએ કરીને સર્વે લોકમાં પ્રર્વતી છે. માટે જેને ભગવાનનો નિશ્વય થઇને ટળી જાય છે. તેને તો શાસ્ત્રના વચનની પ્રતીતિજ નથી એ તો કેવળ મનમુખી છે ને નાસ્‍તિક છે, અને જો શાસ્‍ત્રની પ્રતીતિ હોય તો કોઇ કાળે પરમેશ્વરથી વિમુખ થાયજ નહિ કાં જે શાસ્ત્રમાં તો અનંત જાતનાં ભગવાનનાં ચરિત્ર છે માટે પરમેશ્વર ગમે તેવાં ચરિત્ર કરે પણ શાસ્ત્રથી બારણે હોયજ નહિ, માટે જેને શાસ્ત્રના વચનનો વિશ્વાસ હોય તેનેજ ભગવાનના સ્‍વરૂપનો નિશ્વય અડગ થાય છે અને કલ્‍યાણ પણ તેનું જ થાય છે અને તે ધર્મમાંથી પણ કોઇ કાળે ડગે જ નહિ.” ઇતિ વચનામૃતમ્ સારંગપુરનું ||૧૩|| ||૯૧||