૭ ભરતજીનું ચરિત્ર

Submitted by swaminarayanworld on Thu, 25/02/2016 - 6:11pm

અધ્યાય - : - ૭

ભરતજીનું ચરિત્ર

શુકદેવજી કહે છે - હે પરીક્ષિત ! ભગવાનના એકાંતિક ભક્ત અને મહાવૈષ્ણવ એવા ભરતજીને તેમના પિતા ઋષભદેવજીએ જ્યારે રાજ્યાધિકાર આપ્યો ત્યારે ભરતજીએ વિશ્વરૂપની દીકરી પંચજની સાથે લગ્ન કર્યું. ૧ અહંકારથી જેવી રીતે તન્માત્રાઓ સહિત પાંચ મહાભૂતો ઉત્પન્ન થાય છે, તેવી જ રીતે ભરતજીએ પોતાની સ્ત્રી પંચજનીના ગર્ભથી સર્વપ્રકારે પોતાના સરખા જ ગુણોવાળા સુમતિ, રાષ્ટ્રભૃત, સુદર્શન, આવરણ અને ધૂમ્રકેતુ નામના પાંચ પુત્રો ઉત્પન્ન કર્યા, આ ખંડ પૂર્વે ‘‘અજનાભ’’ નામથી ઓળખાતો હતો, તે ભરતજીના સમયથી ‘‘ભરતખંડ’’ એવા નામથી કહેવાય છે. ૨-૩ સર્વજ્ઞ અને સ્વધર્મને અનુસરનારા એ ભરત રાજાએ પોતાના બાર્પંર્ઈાંઈાઓની પેઠે જ પોતાના ધર્મમાં ચાલનારી પ્રજાનું અત્યંત વાત્સલ્ય ભાવે પાલન કર્યું. ૪ તેમણે હોતા, અધ્વર્યુ, ઉદગાતા અને બ્રહ્મા આ ચાર ઋત્વિજો દ્વારા કરવામાં આવતા પ્રકૃતિ અને વિકૃતિ એ બન્ને પ્રકારના અગ્નિહોત્ર, દર્શ, પૂર્ણમાસ, ચાતુર્માસ્ય, પશુ, સોમાદિ યજ્ઞોથી ભગવાન કે જે યજ્ઞ અને ક્રતુરૂપ છે તેમનું શ્રદ્ધાથી પૂજન કર્યું. ૫ આ પ્રમાણે અંગો અને ક્રિયાઓ સહિત અનેક પ્રકારના યજ્ઞોના અનુષ્ઠાન સમયે જ્યારે અધ્વર્યુઓ આહુતિ આપવા હાથમાં હવિ ધારણ કરતા ત્યારે યજમાન ભરત તે યજ્ઞકર્મથી જે કાંઇ પુણ્ય ફળ થતું તે સર્વે યજ્ઞપુરુષ એવા શ્રીવાસુદેવ ભગવાનને અર્પણ કરી દેતા હતા. તે પરબ્રહ્મ જ ઇન્દ્ર વગેરે સમસ્ત દેવતાઓના પ્રકાશક છે. તેઓ જ મંત્રો દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય વાસ્તવિક તત્ત્વ પણ છે. અને તે દેવતાઓના પણ નિયામક હોવાથી મુખ્ય દેવ છે. આ પ્રમાણે પોતાની ભગવદર્પણ બુદ્ધિરૂપી કુશળતાથી રાગ દ્વેષાદિ મળોની શુદ્ધિ કરતા રહીને સૂર્ય વગેરે તમામ યજ્ઞભોક્તા દેવતાઓ ભગવાન વાસુદેવ નારાયણના જ નેત્રાદિ અવયવો છે એમ માની પૂજન કરતા હતા. ૬ આવી રીતે કર્મની શુદ્ધિથી જેમનું અંતઃકરણ શુદ્ધ થઇ ગયું છે એવા ભરતજીને અંતર્યામીરૂપે વિરાજમાન હ્રદયાકાશમાં જ અભિવ્યક્ત થતા, સ્વરૂપથી મનમાં બિરાજતા ભગવાનમાં દિવસે દિવસે વધતી જતી એવી બહુ જ ભક્તિ ઉત્પન્ન થઇ, હ્રદયાકાશમાં જણાય એવા પરબ્રહ્મ ભગવાન પોતાના શ્રીવત્સ, કૌસ્તુભમણિ, વનમાળા, શંખ, ચક્ર, ગદા અને પદ્મ આદિ ચિહ્નોથી શોભી રહેલા મહાપુરુષરૂપથી ભરતજીને હ્રદયમાં દર્શન દેતા હતા. ૭ આ પ્રમાણે એક કરોડ વર્ષ વીતી જતાં પોતાના રાજ્યભોગના પ્રારબ્ધનો અંત આવ્યો જાણી, પોતે ભોગવેલી વંશપરંપરાગત સંપત્તિ યોગ્ય રીતે પુત્રોને વહેંચી આપી, અને પોતે સર્વ સંપત્તિથી ભરપૂર એવા રાજમહેલને છોડીને પુલહાશ્રમમાં તપ કરવા માટે ચાલ્યા ગયા. ૮ આ પુલહાશ્રમમાં રહેતા ભક્તો પર ભગવાનનું અત્યંત વાત્સલ્ય છે તેથી ભગવાન આજે પણ ત્યાં તપ કરી રહેલા પોતાના ભક્તોને પ્રત્યક્ષ દર્શન આપે છે. ૯ ત્યાં ગંડકી નામની પ્રસિદ્ધ નદી છે, તેની શિલાઓમાં ઉપર નીચે બન્ને તરફ ગોળાકાર નાભિવાળાં ચિહ્નો હોય છે, એવી અને ઋષિઓના આશ્રમોને સર્વે દિશાઓથી પવિત્ર કરતી ચક્રાકાર નદી વહે છે. ૧૦ એ પુલહાશ્રમના બગીચામાં ભરતજી એકાંતસ્થાનમાં એકલા જ રહીને તે પત્ર, પુષ્પ, જળ, તુલસીપત્ર, કંદમૂળ, ફળાદિ નાના પ્રકારની સામગ્રીથી ભગવાનની આરાધના કરવા લાગ્યા. તેથી ભરતજીનું અંતઃકરણ સમગ્ર વિષયોમાંથી નિવૃત્ત થઇને શાન્ત થઇ ગયું. અને તેમને પરમ આનંદ પ્રાપ્ત થયો. ૧૧ આ પ્રમાણે નિરંતર ભગવાનનું પૂજન કરવાથી તેમને ભગવાન પ્રત્યે દિવસે દિવસે પ્રેમનો વેગ વધવા લાગ્યો, તે કારણે તેમનું હ્રદય દ્રવીભૂત થઇને શાંત થઇ ગયું. આવી રીતે આનંદના પ્રબળ વેગથી શરીરનાં રૂવાડાં ઊભાં થઇ જતાં હતાં, અને અતિશય ઉત્કંઠાને લીધે વારંવાર આવતાં સ્નેહનાં આંસુઓથી દૃષ્ટિ રોકાઇ જતી હતી. અને જ્યારે પોતાના પ્રિયતમનાં રાતા ચરણારવિંદના ધ્યાનથી ભક્તિયોગનો આવિર્ભાવ થયો ત્યારે પરમ આનંદથી છલકાયેલ હ્રદયરૂપી ગહન સરોવરમાં બુદ્ધિ ડૂબી જવાથી તેમને નિયમ પૂર્વક કરવામાં આવતી ભગવાનના પૂજનની પણ સ્મૃતિ રહી નહીં. ૧૨ આ પ્રમાણે તેઓ ભગવાનની સેવાના નિયમમાં જ તત્પર રહેતા હતા. અને શરીરે કૃષ્ણમૃગચર્મ ધારણ કરતા, ત્રિકાળસ્નાનને કારણે ભીંજાતા રહેવાથી તેમના કેશ ગૂંથાઇ જઇ વાંકડિયાળી લટોથી ભરતજી અત્યંત શોભતા હતા, તેઓ પ્રાતઃકાળે સૂર્ય પૃથ્વીમાંથી બહાર નીકળતાં તેમની સામે ઊભા રહી તેમાં રહેલા સૂર્ય સરખા તેજવાળા પરમપુરુષ ભગવાન નારાયણની આરાધના કરતા આગળ કહેવાશે તે પ્રમાણે સ્તુતિ કરતા હતા. ૧૩ પ્રકૃતિથી પર, કર્મો પ્રમાણે ફળને આપનારા, બુદ્ધિને ગતી આપનારા, પોતાના સંકલ્પથી વિશ્વને ઉત્પન્ન કરનારા અને ઉત્પન્ન થયેલા વિશ્વમાં પોતાની અંતર્યામી શક્તિથી પ્રવેશ કરી પોષણ કરનારા એવા જે સૂર્યદેવના આત્મારૂપ ભગવાન છે તે પરમપુરુષ નારાયણ ભગવાનને શરણે છીએ. ૧૪

ઇતિ શ્રીમદ્  ભાગવતે મહાપુરાણે પંચમ સ્કંધે ભરતજી ઘર ત્યાગ વર્ણન નામનો સાતમો અધ્યાય સંપૂર્ણઃ (૭)