પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર - ૪૬

Submitted by swaminarayanworld on Thu, 21/04/2016 - 5:23pm

 

દોહા

વળી એક કહું ઉપાયને, તમે સાંભળજો સહુ જન ।

કર્યો કલ્યાણને કારણે, અતિ અમે થઇ પ્રસન્ન ।।૧।।

જેહ ઉપાયે આ જીવને, સર્વે પ્રકારે શ્રેય થાય ।

મોટા સુખને ભોગવે, આ લોક પરલોક માંય ।।૨।।

લાજ ન જાયે આ લોકમાં, પરલોકે પરમ આનંદ ।

કર્યો ઉપાય એવો અમે, સહુ જાણજો જનવૃંદ ।।૩।।

સત્ય શાસ્ત્ર સારાં કર્યાં, ભર્યાં અર્થે અતિ અનુપ ।

તેમાં બાંધી રૂડી રીતને, ત્યાગી ગૃહીને સુખરૂપ ।।૪।।

 

ચોપાઇ

ત્યાગી ગૃહીને તારવા અર્થરે, બાંધ્યા ઘણા સુખદાયિ ગ્રંથરે ।

તેમાં બહુ પ્રકારની વાતરે, સૂચવિ છે અમે સાક્ષાતરે ।।૫।।

કહ્યા ત્યાગી ગૃહિના વળી ધર્મરે, સહુને પાળવા સારુ પર્મરે ।

રીત જુજવી કહી જણાવીરે, વર્ણાશ્રમ ધર્મની કહી સંભળાવીરે ।।૬।।

સહુ સહુના ધર્મમાં રે’વારે, અમે ગ્રંથ કર્યા કહું એવારે ।

દ્વિજ ક્ષત્રિય વૈશ્ય ને શુદ્રરે, તેને તરવા સંસાર સમુદ્રરે ।।૭।।

વળી બટુ ગૃહી વાનપ્રસ્થરે, સંન્યાસિ આશ્રમ સુજશરે ।

દ્વિજ વર્ણના ધર્મ વિચારીરે, સર્વે અમે કહ્યા સુખકારીરે ।।૮।।

શમ દમ ક્ષમા ને સંતોષરે, અધર્મ સર્ગથી રે’વું અદોષરે ।

એહ આદિ ધર્મ અપારરે, કહ્યા વાડવના નિરધારરે ।।૯।।

ક્ષત્રી વર્ણના ધર્મ વર્ણવીરે, કહ્યા સર્વે રીતના સૂચવીરે ।

કરવી સહુજનની રખવાળરે, અતિ દિલમાં થઇ દયાળરે ।।૧૦।।

ધારી વિચારી ધરવી ધીરરે, કામ પડે થાવું શૂરવીરરે ।

એહ આદિ જે ક્ષત્રીના ધર્મરે, રાખે જરુર રાખવા શ્રમરે ।।૧૧।।

વૈશ્ય વર્ણના ધર્મ છે જેહરે, રાખે ગૌ ધન વે’પાર તેહરે ।

ખેતી વ્યાજ વોરાં પણ કરેરે, દગા કપટ પાપ પરહરેરે ।।૧૨।।

એવી રીતે વરતે વૈશ્ય વળીરે, એવી રીત લખી છે સઘળીરે ।

શૂદ્ર સેવા કરે તે સહુનીરે, ત્રણ વર્ણ કહ્યા તેહુનીરે ।।૧૩।।

એમ ચારે વર્ણની જો રીતરે, અમે લખાવી ગ્રંથ પુનિતરે ।

વર્ણિધર્મ કહ્યા જે વખાણીરે, તેપણ ગ્રંથમાં છે લિયો જાણીરે ।।૧૪।।

અષ્ટ પ્રકારે ત્રિયા ધન ત્યાગરે, વિષય સુખ સાથે છે વૈરાગરે ।

ભારે બ્રહ્મચર્ય વ્રત ધારીરે, રાખે ભાવે કરી બ્રહ્મચારીરે ।।૧૫।।

ગૃહસ્થાશ્રમના ધર્મ છે ઘણારે, તેપણ સર્વ લખ્યા તેહ તણારે ।

વાનપ્રસ્થના વિવિધ પ્રકારેરે, લખ્યા એહ આશ્રમ અનુસારેરે ।।૧૬।।

એને આસરે સંન્યાસી આશ્રમરે, તેના પણ લખાવ્યા છે ધર્મરે ।

ચારે વર્ણ ને આશ્રમ ચારરે, તેપણ લખ્યા છે કરી વિચારરે ।।૧૭।।

સહુનાં કલ્યાણ કરવા સારુંરે, અતિ તાન માનો છે અમારુંરે ।

વળી અતિ ત્યાગીના જે ધર્મરે, તેપણ લખ્યા છે કરી શ્રમરે ।।૧૮।।

તેહ શાસ્ત્રનાં સાંભળો નામરે, સહુને સુણતાં છે સુખધામરે ।

ધર્મામૃત નિષ્કામશુદ્ધિરે, વળી શિક્ષાપત્રી લખી દિધિરે ।।૧૯।।

એહ વિના બીજા છે જે ગ્રંથરે, કર્યા અમે કલ્યાણને અર્થરે ।

એમ કહ્યું શ્રીજીએ શ્રીમુખેરે, સહુ જનને તારવા સુખેરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે ષટ્‌ચત્વારિંશઃ પ્રકારઃ ।।૪૬।।