સ્નેહગીતા કડવું - ૦૯

Submitted by swaminarayanworld on Wed, 21/06/2017 - 8:07pm

સ્નેહ સાંકળે પલાંણી છે પ્રમદાજી, તેહને અંતરે નહિ કોઈ આપદાજી ।
સ્નેહે શ્યામળીયા સંગે ડોલી સદાજી, હળી મળી હરિશું રહી અતિ મન મુદાજી ।।૧।।

ઢાળ –

મુદા સદાયે મનમાંયે, જાયે અહરનિશ એણીપરે ।
રંગ રાતી મન માતી, ગાતી ગોવિંદ ગુણ ઘરે ઘરે ।।૨।।

વળી વન વાટે ઘરે ઘાટે, દિયેદયાળુદરશનદાન ।
નાથ નિરખી હૈયે હરખી, વળી રહે મને ગુલતાન ।।૩।।

હરતાં ફરતાં કામ કરતાં, હરિ અચાનક આવી મળે ।
મગન રે’તાં સુખ લેતાં, એમ પ્રેમ આનંદમાં દિન પળે ।।૪।।

હસતાં રમતાં જોડે જમતાં, વળી વીતે ઘડી ઘણું સુખની ।  
પળે પળે પ્રેમ પ્રગટે, જોતાં શોભા શ્રીહરિ મુખની ।।૫।।

હાસ વિલાસ હરિની સાથે, વળી કે’વું સુણવું તે કાનને ।
તાળી વળી લેવી તેહશું, ત્રોડવું હરિશું તાનને ।।૬।।

રાત દિવસ વીતે રંગે, વળીઅંગે આનંદ અતિ ઘણું ।  
સંસાર સુખની ભૂખ ભાગી, જોતાં મુખ જીવનતણું ।।૭।।

વિયોગની વળી વાતને, કોયે સ્વપ્ને પણ સમઝે નહિ ।  
એહ રીતે પ્રીત વાધી, સ્નેહની અતિશે સહિ ।।૮।।

પ્રીતની રીતને પરખવા, એક સમયને વિષે શ્રીહરિ ।  
મથુરાં જાવાનું મન કીઘું, ઈચ્છા એવી ઊરમાં ધરી ।।૯।।

ઘણા દિવસ ગોપી સંગે, રંગે રમિયા રસબસશું ।  
નિષ્કુલાનંદ સ્નેહ જોવા, વા’લો કે’ વેગળા વસશું ।।૧૦।। કડવું ।।૯।।