સ્નેહગીતા કડવું - ૧૦

Submitted by swaminarayanworld on Wed, 21/06/2017 - 8:08pm

વેગળા ગયા વિના પ્રીત ન પ્રિછાયજી, વા’લ્યમે વિચાર્યું એવું મનમાંયજી ।
અલબેલે માંડ્યો પછી એહ ઊપાયજી, અક્રુર આવિયા તેહ સમે ત્યાંયજી ।।૧।।

ઢાળ –

તેહ સમે અક્રુર આવ્યા, અને રથ લઈ રૂડા રૂપને ।
રામ કૃષ્ણને તેડવાને, મોકલ્યો કંસાસુર ભૂપને ।।૨।।

આવીને છોડયો આંગણે, નંદરાયને નિરધાર ।
ગોપી વળી ટોળે મળી, વળી કરેછે વિચાર ।।૩।।

આ દિન મોર્યે આવો કોઈ, નંદ ભવને નથી જો આવિયો ।
બાઈ ગામ નામ પુછો એહનું, આ શે અર્થે રથ લાવિયો ।।૪।।

બાઈ સગો નહિ એ શત્રુ છે કોઈ, નંદ યશોદા ગોપને ।  
નિશ્ચે કાંઈક નવું નિપજશે, તમેદેખજોદૈવના કોપને ।।૫।।

જાવો બાઈ જુવો જૈને, સુણજો વળી એની વાતડી ।
વા’લો થઈ કોઈ વૈરિ વસે, આવ્યો એ કરવા ઘાતડી ।।૬।।

કોરે તેડી બાઈ કૃષ્ણને, વળી વાત કરો વાલપવડે ।  
હેતદેખાડી રાખો સંતાડી, જે નજરે એને નવ પડે ।।૭।।

વ્રજજનનું જીવન જેહી, તેની જતન ઝાઝી કિજીયે ।  
વિઘન માંયથી વા’લી વસ્તુ, બાઈ બચાવિને લીજીયે ।।૮।।

એમ આકુળ વ્યાકુળ થાય અબળા, માંહોમાંહિ મનસુબો કરે ।  
આતો આવ્યો કાળરૂપે કોય, રખે પ્રાણ બાઈ આપણા હરે ।।૯।।

પછી ગોપીયે તેની ગમ્ય કાઢી, બાઈ અક્રુર એનું નામ છે ।  
નિષ્કુલાનંદના નાથ સાથે, કાંઈક એને કામ છે ।।૧૦।। કડવું ।।૧૦।।