૫૪. સાધુતાની પ્રશંસા, સંતોને પરમહંસરૂપે રહી સત્સંગ કરાવવાની આજ્ઞા, શ્રીહરિ સોરઠમાં ફરતા થકા ભાદ

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 3:38pm

ચોપાઇ-

થયા પરમહંસ સર્વે સંત, અંગે ત્યાગ વૈરાગ્ય અત્યંત ।

ચૌદ લોકનાં સુખ જે કહાવે, ઉલટા અન્ન જેવાં ન ભાવે ।।૧।।

એક કમંડલું કંથા કૌપીન, એને અર્થે ન થાય આધીન ।

કરે ભિક્ષા માગીને મધ્યાહ્ને, જક્ત વાત ન સાંભળે કાને ।।૨।।

અષ્ટ પ્રકારે ત્રિયાના ત્યાગી, એમ વિચરે છે બડભાગી ।

ધન ધાતુ જે સોના સહિત, તેને ભૂલ્યે ન ચિંતવે ચિત્ત ।।૩।।

ખાન પાન પટ વળી પેખી, દલ રીઝે નહિ તેને દેખી ।

પૂજા ચંદન પુષ્પની માળ, તેને માને છે મનમાં વ્યાળ ।।૪।।

જેજે કાવે છે સંસારી સુખ, તેને જાણે છે દલમાં દુઃખ ।

દેહ ઇંદ્રિય વળી મન પ્રાણ, તેને શત્રુ સમજયા સુજાણ ।।૫।।

માન મોટાઇ મનમાં ન ભાવે, સુતાં બેઠાં હરિગુણ ગાવે ।

એવી રીતે ફરે જગમાંઇ, નિરબંધ ન બંધાય કયાંઇ ।।૬।।

કરે જ્ઞાન વારતા અપાર, જેણે થાય જીવનો ઉદ્ધાર ।

કરી વાતને કાંઇ ન માગે, માને સહુ સારી બહુ લાગે ।।૭।।

જન જોડે હાથ જોઇ ત્યાગી, બીજા ભેખનું પડિયું ભાંગી ।

ભેખ દાઝે લાજે મુખ કહેતાં, પડ્યા ખોટા વિના રેણિ રહેતાં ।।૮।।

જેજે રાખી છે સાધુએ રીત, બીજે ન મળે વિચારો ચિત્ત ।

સર્વે સારતણું જેહ સાર, સોંપ્યું સંતને પ્રાણ આધાર ।।૯।।

જેજે સાધુને સોંપી સંપત્તિ, તે સરાયે શ્વેતદ્વીપપતિ ।

પ્રભુ પોતે છે દીનદયાળ,જાણી નિજજન કરી સંભાળ ।।૧૦।।

સંત શુભગુણે અતિ ઓપે, કામ ક્રોધ ને લોભ ન લોપે ।

સાધુ સર્વે વળી હરિજન, તેનું હરિએ હર્યું વિઘન ।।૧૧।।

અતોલ સુખ સંતને આપ્યું, સર્વે શત્રુતણું મૂળ કાપ્યું ।

સાધુ સરવે રહેજયો આનંદે, હવે નહિ પડો કોઇ ફંદે ।।૧૨।।

તમ જેવા નથી કોઇ આજ, એમ શ્રીમુખે કહે મહારાજ ।

શીદ જોઇએ તમારે પ્રવૃત્તિ, તમે ગ્રહિ રહોને નિવૃત્તિ ।।૧૩।।

સદાવ્રતમાં શીદ બંધાવો, તમે ગુણ ગોવિંદના ગાવો ।

સદાવ્રત મેલશું સંકેલી, ઠાલા ફાંસનું ખાય છે ફેલી ।।૧૪।।

એને અર્થે જે ખરચતા અન્ન, તેનો કરશું હવે જગન ।

એવી સાંભળી વાલાની વાણી, સર્વે સંતે સત્ય કરી જાણી ।।૧૫।।

કહે સંત સુણો મહારાજ, સર્વે જણાણું અમને આજ ।

હવે જેમ કહો તેમ કરીએ, આપો આજ્ઞા તે શિર ધરીએ ।।૧૬।।

ત્યારે નાથ કહે સુણો સંત, મેલી સોરઠ ફરો નચિંત ।

પછી જયાં કહ્યું ત્યાં સંત ગયા, પ્રભુ પોતે સોરઠમાં રહ્યા ।।૧૭।।

પછી સતસંગી લઇ સાથ, ફર્યા ગામગામ વળી નાથ ।

પાણ ખાણ્ય લોજ માંગરોળે, મળે હરિજન હેતબોળે ।।૧૮।।

ત્યાંથી આવિયા કાણક ગામ, ભક્ત જેઠાસગરને ધામ ।

પછી આવ્યા છે કાલવાણીએ, વસે ભક્ત નાથો ત્યાં જાણીએ ।।૧૯।।

ત્યાંથી આવ્યા મઢડે મુરાર, તિયાં કરી છે લીલા અપાર ।

જેઠો જોઇને પામ્યો આનંદ, જેને મળેલ સ્વામી રામાનંદ ।।૨૦।।

પછી ત્યાંથી આવ્યા અગત્રાયે, રાખ્યા પ્રીત્યે શું પર્વત ભાયે ।

તિયાં આવ્યો છે કાઠીનો સાથ, તેને સંગે ચાલ્યા પોતે નાથ ।।૨૧।।

આખું પિપલાણું મેઘપર, તિયાં આવિયા શ્યામસુંદર ।

રહ્યા દિન દશપાંચ ત્યાંઇ, પાછા આવ્યા પિપલાણામાંઇ ।।૨૨।।

રહ્યા તિયાં દિન દોયચાર, પછી બોલિયા પ્રાણઆધાર ।

જોને કેવો ઉગ્યો છે આ સુર, જાણું રૂધિરમાં ભરપુર ।।૨૩।।

કહે મુળજીને મહારાજ, કર્ય જે જે કરવું હોય આજ ।

એમ કહીને ચાલિયા નાથ, સખા સર્વે હતા પોતા સાથ ।।૨૪।।

આવ્યા મેઘપુરે મહારાજ, કહે નહિ રહીએ આંહિ આજ ।

એવું જાણી જને તાણ્ય કરી, શ્યો અપરાધ અમારો હરિ ।।૨૫।।

રહો રાજી થઇ આજ રાત્ય, વહેલા ચાલજયો સહુ પ્રભાત્ય ।

એમ અજાણ્યે અતિશે તાણ્યું, પણ થાવાનું છે તે ન જાણ્યું ।।૨૬।।

પછી આવ્યા છે ગામમાં નાથ, ધાયો મારવા અસુરસાથ ।

મુક્યા મૂળજીએ તિયાં પ્રાણ, આવ્યા પ્રભુ પાસે અસુરાણ ।।૨૭।।

દગેભર્યા હથિયાર હાથ,તેને જોઇને ચાલિયા નાથ ।

પછી આવિયા મુળજી પાસ, જાણી પ્રભુજી પોતાનો દાસ ।।૨૮।।

રાખી રહ્યો તો આંખ્યમાં જીવ, જોવા પરમ હિતકારી પિવ ।

જયારે જોયા નયણે ભરી નાથ, મુક્યું તન ચેતન ચાલ્યું સાથ ।।૨૯।।

કરી ક્ષમા બોલ્યા નહિ શ્યામ, પછી આવ્યા છે ભાડેર ગામ ।

ત્યાંથી પધારીયા છે ધોરાજી, આવ્યા ખાંડાધારે બેસી વાજી ।।૩૦।।

પછી ગોંડલ બંધીએ ગયા, બેઉ રાત્ય નાથ તિયાં રહ્યા ।

મોટા ભક્ત જીયાં મુળુભાઇ, જેને હેત ઘણું હરિમાંઇ ।।૩૧।।

તેને ઘેર રહ્યા પોતે રાજ, પછી સરધારે આવ્યા મહારાજ ।

તિયાં કાઠીને શિખજ કરી, પોતે પધાર્યા હાલારે હરિ ।।૩૨।।

એક રાત્ય રાજકોટ રહ્યા, ત્યાંથી પછી ખિરસરે ગયા ।

તિયાં ભક્ત વસે લાખોભાઇ, રહ્યા રાત્ય એક સુખદાઇ ।।૩૩।।

પછી મોડે આવ્યા ભક્ત માટ્યે, ત્યાંથી અલૈયે ને શેખપાટ્યે ।

હરિ કરી ઘણી મોટી મહેર, આવ્યા ભક્ત લાલજીને ઘેર ।।૩૪।।

ત્યાંથી પધાર્યા ભાદરામાંઇ, માસ એક રહ્યા પોતે ત્યાંઇ ।

પછી બોલિયા પ્રાણજીવન, કરીએ જેતલપુરે જગન ।।૩૫।।

જઇ ગોવિંદ સ્વામીને કહેજયો, તમે યજ્ઞના કામમાં રહેજયો ।

બીજો કાગળ લખિયો લઇ, વર્ણ થોડે વાત ઘણી કઇ ।।૩૬।।

માંચા સુરા સોમલા અલૈયા, મુળુ નાંજા માતરા મામૈયા ।

અજા જીવા વીરદાસ વળી, લાધા કાળા કમળશિ મળી ।।૩૭।।

એહ સર્વે તજી ઘરબાર, થાજયો પરમહંસ નિરધાર ।

જેમ મોટા મોટા ઘર મેલી, ભજયા હરિ તજી જગજેલી ।।૩૮।।

માટે માનજયો આજ્ઞા અમારી, મુકજયો સહુ મનમાં વિચારી ।

એટલી એને આગન્યા કરી, પોતે રહ્યા કાંઇક ત્યાં હરિ ।।૩૯।।

એમ કરતાં આવી છે દિવાળી, પ્રેમે પૂજયા જને વનમાળી ।

સુંદર ભોજન સારાં કરીને, હેતે જમાડીયા છે હરિને ।।૪૦।।

જેણે જોયાછે શ્યામ સુજાણ, થઇ સમાધિ ન રહ્યા પ્રાણ ।

તેને જગાડી જગજીવન, પછી પ્રભુએ કર્યું ભોજન ।।૪૧।।

થયાં સુખી જન લીલા ભાળી, આસો વદી અમાસ દિવાળી ।

તેદિ ગયાતા ભાદરે રાજ, મેર કરીને પોતે મહારાજ ।।૪૨।।

દીધાં દાસને દર્શન બહુ, નિર્ખિ નાથ સુખી થયાં સહુ ।

ધન્ય દેશ ગામને ભુવન, જીયાં રમિયા પ્રાણ જીવન ।।૪૩।।

ધન્ય ધન્ય એ નર ને નાર, જેણે નયણે નિરખ્યા મોરાર ।

નથી વાત જેવડી એ વાત, જાણે છે મોટા સંત સાક્ષાત ।।૪૪।।

પૂર્વછાયો-

જે જે ચરિત્ર મેં ચવ્યું, છે સર્વે અલૌકિક એહ ।

તેને લૌકિક જે લેખશે, મહા મૂઢશિરોમણિ તેહ ।।૪૫।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે હરિચરિત્ર એ નામે ચોપનમું પ્રકરણમ્ ।।૫૪।।