પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર - ૩૯

Submitted by swaminarayanworld on Thu, 21/04/2016 - 5:18pm

 

દોહા

એમ કહી રીત કલ્યાણની, આ સમાની અગણિત ।

તે સૌએ શ્રવણે સાંભળી, અતિ ઉત્તમ પરમ પુનિત ।।૧।।

એહ રીતમાં જે આવી ગયા, તે થયા પૂરણકામ ।

તે તો તન જ્યારે તજશે, ત્યારે પામશે પ્રભુનું ધામ ।।૨।।

જેહ ધામને પામીને, પાછો ન પડે જન કોય ।

એવું અખંડ એ ધામ છે, ત્યાં સુખે વસે જન સોય ।।૩।।

તે ધામને ધામીયે ધારિયું, દેવા સ્વધામનું જો સુખ ।

જીવ જગતના જોઇને, દયા આણી ટાળવા દુઃખ ।।૪।।

 

ચોપાઇ

મારા ધામમાં આવવા સહુરે, એવા કર્યા ઉપાય મેં બહુરે ।

સર્વે ઉપાય કિધા છે સારારે, તેમાં તરશે જીવ અપારારે ।।૫।।

પણ છેલો છે આ જે ઉપાયરે, બહુ જીવ તરશે આ માંયરે ।

ધર્મવંશી આચારજ ધાર્યારે, ગુરુ કરી ગાદીએ બેસાર્યારે ।।૬।।

કામ કર્યું છે એહ સારુંરે, મન માન્યું છે બહુ અમારુંરે ।

કાંજે એ છે ધર્મનું કુળરે, માટે એ વાતનું ઉંડું મૂળરે ।।૭।।

જેવું અમારું કુળ મનાશેરે, તેને તુલ્ય બીજું કેમ થાશેરે ।

માટે વિચારીને વાત કીધીરે, ઘણું સમજીને ગાદી દીધીરે ।।૮।।

ધર્મવંશી તે ધર્મમાં રે’શેરે, અધર્મ વાતમાં પગ ન દેશેરે ।

ધર્મ પાળશે ને પળાવશેરે, અધર્મની રીત ટળાવશેરે ।।૯।।

આપ આપણે ધર્મ રાખશેરે, નર નારીનાં નિ’મ કૈ’ દાખશેરે ।

ત્યાગી ગૃહીના ધર્મ સૂચવીરે, કે’શે જુજવા જુજવા ચવીરે ।।૧૦।।

કાંજે બેઠા છે ધર્મની ગાદીરે, કે’શે ધર્મની રીતિ જે અનાદિરે ।

તેને સૌ રહેશે ધર્મ ધારીરે, ત્યાગી ગૃહી નર ને જે નારીરે ।।૧૧।।

ધર્મ અમને છે બહુ વા’લોરે, એમ કહેછે ધર્મનો લાલોરે ।

ધર્મવાળા સાથે હેત મારેરે, એમ વાલો કહે વારે વારેરે ।।૧૨।।

અધર્મી સાથે મારે અદેખાઇરે, રે’છે રાત દિવસ મનમાંઇરે ।

અધર્મી જનની જેહ ભગતિરે, નથી ગમતિ મને જો રતિરે ।।૧૩।।

એના હાથનું અન્ન ન ભાવેરે, મર બહુ સારુ કરી લાવેરે ।

અધર્મીના હાથનું જે પાણીરે, નથી પિતા તે અશુદ્ધ જાણીરે ।।૧૪।।

એનું ચંદન પૂજા ને હારરે, નથી લેતા અમે કરી પ્યારરે ।

લાવે અઘવંત સેવા સાજરે, તેનો તર્ત કરુંછું હું ત્યાજરે ।।૧૫।।

ધર્મવાળા આપે અન્ન જળરે, બહુ સ્વાદુ લાગે એ સકળરે ।

ધર્મવાનનું ફળ દળ ફુલરે, જે દિયે તે જાણું છું અમુલરે ।।૧૬।।

માટે ધર્મવાળાની જે ભક્તિરે, તે તો મને ગમેછે જો અતિરે ।

માટે ધર્મવાળા જીવ જોઇરે, કર્યા છે મેં આચારજ દોઇરે ।।૧૭।।

એહ અધર્મ નહિ આચરશેરે, ઘણું અધર્મ સર્ગથી ડરશેરે ।

ધર્મવંશીની ગાદિયે બેશીરે, વળી કા’વશે ધર્મ ઉપદેશીરે ।।૧૮।।

માટે એથી તરશે અપારરે, નિશ્ચે જાણજો એ નિરધારરે ।

બહુ કાળ લગી કલ્યાણરે, થાશે નિશ્ચે જાણો નિરવાણરે ।।૧૯।।

એવી ઇચ્છા છે જો અમારીરે, એવું ધામથી આવ્યા અમે ધારીરે ।

એમ બોલ્યા શ્રીહરિ હરખીરે, સુણી વાત લીધી છે જો લખીરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે એકોનચત્વારિંશઃ પ્રકારઃ ।।૩૯।।