સ્નેહગીતા કડવું - ૦૩

Submitted by swaminarayanworld on Wed, 21/06/2017 - 7:59pm

સુખમય મૂર્તિ જોઈ જન ગોપીજી, રહી હરિ ચરણે તન મન સાપીજી।
અંતરની વૃત્તિ હરિમાં આરોપીજી, લોક કુટુંબની લજજા જેણે લોપીજી ।।૧।।

ઢાળ –

લોપી લજજા જેણે લોકની, અને સ્નેહવશ થઈ સુંદરી ।
સોબત કીધી શિશ સાટે, એવી અચળ પ્રીત હરિશું કરી ।।૨।।

હરતાં ફરતાં કામ કરતાં, કૃષ્ણ કૃષ્ણ કરે કામિની ।
પ્રીત વશ થઇ પ્રમદા, જાતિ જાણે નહિ દિન જામની ।।૩।।

ખાતાં પીતાં બોલતાં, વળી સ્નેહમાં શુદ્ધ વિસરી ।  
સૂતાંસૂતાં જાગે ઝબકી, ઊઠે કૃષ્ણકૃષ્ણ મુખે કરી ।।૪।।

વાટે ઘાટે વન જાતાં, મન તન મોહનશું મળ્યું ।
લોક લાજ વેદવિધિ વિસરી, વળી ભાન તનનું તે ટળ્યું ।।૫।।

વળી શ્રવણમાં ભણકાર સુણે, જાણે નયણે નિરખું છું નાથજી ।
મુખવાંણે વળી એમ જાણે, વાત કરૂં છું વાલા સાથજી ।।૬।।

અંગોઅંગે એમ ગોપી, પરિપૂર્ણ થઇ પ્રીતમાં ।
સાધન તે હવે શું કરે, જેને કૃષ્ણ વિના ના’વે બીજું ચિત્તમાં ।।૭।।

મરજાદા મેલી થઇ ઘેલી, ઊન્મત્તદશા આવી અંગે ।  
તેણે કરી તન ત્રાસ ટળ્યો, મળ્યો પ્રાણ કૃષ્ણને સંગે ।।૮।।

આપ ગળ્યું મન મળ્યું, ટળ્યું કાયા કલેશનું કરવું ।  
એક સ્નેહ માંહિ સર્વે આવ્યું, અન્ય ન રહ્યું આચરવું ।।૯।।

પ્રીતની રીતને પ્રેમનું લક્ષણ, તેતો શિખવ્યું આવે નહિ।
નિષ્કુલાનંદ નાવે કહિએ, સ્નેહી જનનો સ્નેહ સહિ ।।૧૦।। કડવું ।।૩।।