સ્નેહગીતા કડવું - ૦૪ પ્રીતની રીત છે જો ન્યારીરી પદ ।।૧।।

Submitted by swaminarayanworld on Wed, 21/06/2017 - 8:00pm

પ્રીત કરી પ્રમદા તે પરસ્પર પડીજી, જગના જીવન સંગે મોબત જડીજી ।
ચિત્તે રંગ ચટકી તે ચોળની ચડીજી, નિત્યપ્રત્યે નવલો નેહ ઘડી ઘડીજી ।।૧।।

ઢાળ –

ઘડિયે ઘડિયે ઘણો ઘણો, સનેહ વાધ્યો શ્યામશું ।
વણ દિઠે વળી વિલપે વનિતા, રહે ઊદાસી ધન ધામશું ।।૨।।

અર્ધ ક્ષણ રહી ન શકે, વણ દિઠે વદન વ્રજરાજનું ।
શેરિયે શેરિયે શોધે સુંદરી, લેશ ન લાવે વળી લાજનું ।।૩।।

માંહોમાંહિ વળી પુછે, બાઈ કૃષ્ણજી તે કયાં હશે ।
કોઈ બતાવો કાન મુજને, જોઉં મુખ કાંઈક લઈ મસે ।।૪।।

વન ભવન વાટ વીથિની, વળી જુવે જમુના તીર ।
અણ દિઠે અલબેલડો, કોઇ ધરી ન શકે ધીર ।।૫।।

વણ દિઠે ઘડી વીતે વસમી, જુગતુલ્ય પળ એક જાય ।
પ્રાણ ગતવત થઈ પડે, એમ ગરક સ્નેહમાંય ।।૬।।

એમ કરતાં આવિ અચાનક, જોદેખે દ્રગેદયાળને ।
પણ નાથ નયણે નિરખ્યા વિના, સ્નેહી ન કરે શરીર સંભાળને ।।૭।।

માંસ વિના શ્વાસ રહે, જન સ્નેહીના શરીરમાં ।  
પ્રાણ જેના પડયા પરવશ, તેનાં નયણાં ભર્યાં રહે નીરમાં ।।૮।।

અતિ ઊદાસ નિઃશ્વાસ મુકે, અને સુકે નહિ નીર નયણે ।  
હે સખા હે સુખકારી, એમ વદે વળી વળી વયણે ।।૯।।

પ્રીતની તો રીત એહવી, જેનું મન મોહનશું મળ્યું ।  
નિષ્કુલાનંદ સ્નેહી જનનું, કારણ નવ જાયે કળ્યું ।।૧૦।। કડવું ।૪।

 

પદ ।।૧।।
રાગ ગોડ મલાર
પ્રીતની રીત છે જો ન્યારીરી; પ્રી૦ ।
જેહની બંધાણી તેણેરે જાણી, બિજા ન જાણે લગારીરી ; પ્રી૦ ।।૧।।
ચકોર સ્નેહી ચંદ્ર વદનનો, વણ દિઠે દુઃખ ભારી ।
મીન સ્નેહી જાણોરે જળનો, પ્રાણ તજે વિન વારીરી; પ્રી૦ ।।૨।।
પ્રીત પતંગ પ્રાણ પાવકમાં, દેખત દૃગ દેત જારી ।
ચાતક સ્નેહી સદાયે સ્વાંતનો, મરે પિયુપિયુ પોકારીરી; પ્રી૦ ।।૩।।
પ્રીતિની રીત પ્રસિદ્ધ પ્રતીજે, કીજે તો કીજે વિચારી ।
નિષ્કુલાનંદ એવા સ્નેહીની સંગે, સદાય રહે છે મુરારીરી; પ્રી૦ ।।૪।।