ગઢડા પ્રથમ – ૧૧. વાસનાનું તથા એકાંતિક ભકતનું

Submitted by swaminarayanworld on Sat, 08/01/2011 - 11:24am

ગઢડા પ્રથમ – ૧૧. વાસનાનું તથા એકાંતિક ભકતનું

સંવત્ ૧૮૭૬ના માગશર સુદિ ૧૪ ચૌદશને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઇને બેઠી હતી.

પછી બ્રહ્માનંદ સ્‍વામીએ પુછયું જે, “હે મહારાજ ! વાસનાનું શું રૂપ છે ?” ત્‍યારે શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “પૂર્વે જે વિષય ભોગવ્‍યા હોય, દીઠા હોય અને સાંભળ્‍યા હોય તેની જે અંત:કરણને વિષે ઇચ્‍છા વર્તે તેને વાસના કહીએ અને વળી જે વિષય ભોગવ્‍યામાં ન આવ્‍યા હોય, તેની જે અંત:કરણને વિષે ઇચ્‍છા વર્તે તેને પણ વાસના કહીએ.”

ત્‍યારે મુકતાનંદ સ્‍વામીએ પુછયું જે, “હે મહારાજ ! ભગવાનનો એકાંતિક ભકત કેને કહીએ ?” ત્‍યારે શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “જેને ભગવાન વિના બીજી કોઇ વાસના ન હોય અને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભકિત કરતો હોય તે એકાંતિક ભકત કહેવાય.” ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું ||૧૧||

તા-૩૦/૧૧/૧૮૧૯ મંગળવાર