ગઢડા પ્રથમ – ૭૮ : દેશકાળાદિકના પ્રધાનપણાનું

Submitted by swaminarayanworld on Thu, 20/01/2011 - 10:08pm

ગઢડા પ્રથમ – ૭૮ : દેશકાળાદિકના પ્રધાનપણાનું

સંવત્ ૧૮૭૭ના અષાઢ સુદિ ૩ ત્રીજને દિવસ સ્‍વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિર આગળ આથમણે બારણે ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા ને  શ્વેત ખેસ પહેર્યો હતો ને શ્વેત ચાદર ઓઢી હતી ને મસ્‍તક ઉપર શ્વેત પાઘ બિરાજમાન હતી ને કંઠને વિષે શ્વેત પુષ્પનો હાર પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, સર્વે સંત સાંભળો. એક પ્રશ્ર્ન પુછીએ છીએ, પછી સંતે કહ્યું જે, પુછો મહારાજ ! પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે ”દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, દેવતાનું ઘ્‍યાન, દીક્ષા અને શાસ્ત્ર એ આઠ સારાં હોય, તો પુરૂષની બુદ્ધિ નિર્મળ થાય છે અને એ આઠ ભૂંડાં હોય તો પુરૂષની બુદ્ધિ ભ્રષ્‍ટ થાય છે. માટે એ આઠેમાં પૂર્વ સંસ્‍કાર કર્મનું કાંઈ જોર છે કે નથી ?” પછી મુનિ બોલ્‍યા જે પૂર્વ કર્મનું જોર જણાય છે તો ખરૂં, જો સારાં પૂર્વ કર્મ હોય તો પવિત્ર દેશને વિષે જન્‍મ આવે અને ભૂંડાં પૂર્વ કર્મ હોય તો ભૂંડા દેશને વિષે જન્‍મ આવે. તેમજ દેશ કાળાદિક સાત છે તેમાંથી પણ જેવાં પૂર્વ કર્મ હોય તેવાનો યોગ બને છે, માટે સર્વેમાં પૂર્વ કર્મનું પ્રધાનપણું જણાય છે અને દેશકાળાદિક જે આઠ તેનું તો કોઈક ઠેકાણે પ્રધાનપણું હોય ને પૂર્વ કર્મનું તો સર્વે ઠેકાણે પ્રધાનપણું છે. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, દેશકાળથી લઈને દેવતા જે પરમેશ્વર ત્‍યાં પયર્ંત સર્વને વિષે પૂર્વ કર્મને પ્રધાન કહો છો તે કયા શાસ્ત્રને મતે કહો છો, તેનું કોઈ વચન ભણી દેખાડો ? અને એક કર્મનું જ પ્રધાનપણું તો જૈનના શાસ્ત્રમાં છે પણ બીજામાં નથી, બીજા શાસ્ત્રમાં તો પરમેશ્વર અને પરમેશ્વરના ભક્તનો સંગ તેનુંજ પ્રધાનપણું છે. માટે તમે કેવળ પૂર્વ કર્મનું પ્રતિપાદન કરો છો તે ઉપરથી સત્‍સંગી છો અને છાના નાસ્‍તિક છો કે શું ? કેમ જે નાસ્‍તિક વિના બીજો તો કોઈ કર્મનું પ્રતિપાદન કરતો નથી અને નાસ્‍તિક તો વેદ, શાસ્ત્ર, પુરાણ અને ઈતિહાસ જે મહાભારતાદિક તેને ખોટા જાણે છે, ને પોતાના માગધી ભાષાના જે ગ્રંથ તેને જ સાચા માને છે. માટે મૂર્ખ થકા કર્મનું પ્રતિપાદન કરે છે.અને જો પૂર્વ કર્મે કરીને દેશાદિક આઠ ફરતા હોય, તો મારવાડને વિષે કેટલાક પુણ્‍યવાળા રાજા થયા છે. તેમને અર્થે સો હાથ ઉડા પાણી હતાં તે ઉપર છલાં થયાં નથી અને જો પૂર્વ કર્મને વશ જો દેશ હોય તો પુણ્‍ય કર્મવાળાને અર્થે પાણી ઉચાં આવ્‍યાં જોઈએ, ને  પાપીને અર્થે ઉડાં ગયાં જોઈએ, પણ એમ તો થતું નથી, અને મારવાડ દેશમાં પાપી હોય અથવા પુણ્‍યવાળો હોય પણ ઉડાં પાણી ઉપજે. પણ તે દેશ પોતાના ગુણનો ત્‍યાગ કરતો નથી. માટે દેશકાળાદિક પૂર્વ કર્મના ફેરવ્‍યા ફરે નહિ. તે માટે જે પોતાના કલ્‍યાણને ઈચ્‍છે, તેને તો નાસ્‍તિકની પેઠે કર્મનું બળ રાખવું નહિ અને ભૂંડા દેશકાળાદિક આઠ હોય તેનો ત્‍યાગ કરીને રૂડા જે દેશકાળાદિક આઠ તેનું સેવન કરવું. અને દેશ તો બારણે પણ સારો નરસો હોય અને પોતાનો દેહરૂપ જે દેશ તે પણ સારો નરસો હોય, તે જ્યારે દેહરૂપ જે સારો દેશ તેને વિષે જીવ હોય, ત્‍યારે શીલ, સંતોષ, દયા, ધર્મ, ઈત્‍યાદિક જે કલ્‍યાણકારી ગુણ તે વર્તતા હોય, અને જ્યારે આ દેહરૂપ જે ભૂંડો દેશ તેને વિષે જીવ રહ્યો હોય ત્‍યારે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્‍સર ઈત્‍યાદિક ભૂંડા ગુણ વૃદ્ધિ પામે છે. અને સારો ભૂંડો જે સંગ થાય છે તેની વિગતી એમ છે જે, જેનો સંગ થાય તે સાથે કોઈ રીતે અંતર રહે નહિ ત્‍યારે તેનો સંગ થયો જાણવો અને ઉપરથી તો શત્રુને પણ હૈયામાં ધાલીને મળે છે, પણ અંતરમાંતો તે સાથે લાખો ગાઉનું છેટું છે. એવી રીતે ઉપરથી સંગ હોય તે સંગ ન કહેવાય અને મન, કર્મ, વચને કરીને જે સંગ કરે, તેજ સંગ કર્યો કહેવાય. માટે  એવી રીતે મન, કર્મ, વચને સંગ તો પરમેશ્વર અથવા પરમેશ્વરના ભક્ત તેનોજ  કરવો. જેથી જીવનું કલ્‍યાણ થાય. પણ પાપીનો સંગ તો કયારેય ન કરવો.

પછી મઘ્‍યાહ્ન સમે શ્રીજી મહારાજે સર્વે નાના નાના વિદ્યાર્થી સાધુને પોતાને સમીપે બોલાવ્‍યા અને એમ કહ્યું જે, ”તમે સર્વે વિદ્યાર્થી મને પ્રશ્ર્ન પુછો.” પછી મોટા શિવાનંદ સ્‍વામીએ પુછયું જે, ”જેને ભગવાનનો અચળ નિશ્વય હોય તે કેમ ઓળખાય ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, જેને અચળ નિશ્વય હોય તેને ભગવાન સારી ક્રિયા કરે અથવા નરસી ક્રિયા કરે તે સર્વે કલ્‍યાણકારી ભાસે અને ભગવાન જીતે અથવા હારે અથવા કોઈક ઠેકાણે ભાગે અથવા કયારેક રાજી થાય, કયારેક શોક કરે ઈત્‍યાદિક અનંત પ્રકારની ભગવાનની ક્રિયાઓ તેને જોઈને નિશ્વયવાળો ભક્ત હોય તે એમ કહે જે ‘પ્રભુની સર્વે ક્રિયા કલ્‍યાણને અર્થે છે.’ તે જ્યારે બોલે ત્‍યારે એવું ને એવું બોલતો હોય તો તેને પરિપકવ નિશ્વયવાળો જાણવો.

પછી નિર્માનાનંદ સ્‍વામીએ પુછયું જે ”ભગવાન અને ભગવાનના સંત તેને વિષે દોષ બુદ્ધિ ન આવે તેનો શો ઉપાય છે ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે ”જેવો પ્રથમ કહ્યો એવો ભગવાનનો અચળ નિશ્વય હોય તો તેને કોઈ રીતે ભગવાનને વિષે દોષ બુદ્ધિ આવે નહિ અને એવા મોટા જે ભગવાન તેના દાસનો મહિમા જ્યારે વિચારે ત્‍યારે ભગવાનના ભક્તનો પણ કોઈ રીતે અવગુણ આવે નહિ.”

પછી નિર્માનાનંદ સ્‍વામી અને નાના પ્રજ્ઞાનંદ સ્‍વામીએ બન્ને મળીને પુછયું જે ”જાગ્રત, સ્‍વપ્ન અને સુષુપ્‍તિ એ ત્રણે અવસ્‍થાને વિષે ભગવાનની મૂર્તિ અખંડ કેમ જણાય ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, પૂર્વ જન્‍મનો કોઈક શુભ સંસ્‍કાર બલિષ્‍ઠ હોય, તેને ભગવાનની મૂર્તિ ત્રણે અવસ્‍થામાં અખંડ દેખાય છે અથવા ભય, કામ અને સ્‍નેહ એ ત્રણ જેને વિષે અખંડ હોય, તેને ભગવાન વિના બીજું પદાર્થ હોય તે પણ ત્રણ અવસ્‍થામાં અખંડ દેખાય છે, તો ભગવાન દેખાય એમાં શું કહેવું ? એ તો દેખાય જ.

પછી નાના શિવાનંદ સ્‍વામીએ પુછયું જે ”સત્‍સંગને વિષે અચળ પાયો જેનો હોય તે કેમ જણાય ? એક તો એ પ્રશ્ર્ન છે અને બીજું પ્રશ્ર્ન એ છે જે ”માન, કામ, ક્રોધ, લોભ, મદ, મત્‍સર અને ઈર્ષ્યા ઈત્‍યાદિક જે શત્રુ તે કયે પ્રકારે કરીને નાશ પામે છે ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, ”જેને સત્‍સંગનો અતિ દૃઢ પક્ષ હોય, તે જ્યારે કોઈક સત્‍સંગનું ધસાતું બોલે ત્‍યારે ખમી શકે નહિ, જેમ પોતાનો કુટુંબી હોય ને તે સાથે કચવાણ થઈ હોય તોય પણ જ્યારે તેનું કોઈ ધસાતું બોલે ત્‍યારે ખમાય નહિ, એવી રીતે જેવો દેહના સંબંધીનો પક્ષ છે તેવો જેને સત્‍સંગનો પક્ષ હોય તેનો પાયો સત્‍સંગને વિષે અચળ છે. અને બીજા પ્રશ્ર્નનો એ ઉત્તર છે જે, જેને એવો સત્‍સંગનો પક્ષ છે તે સંત અથવા સત્‍સંગી તે સંધાથે માન, ઈર્ષ્યા કેમ રાખી શકે ? માટે જેને સત્‍સંગનો પક્ષ હોય તેના માન, મદ, મત્‍સર, ઈર્ષ્યા આદિક સર્વશત્રુનો નાશ થઈ જાય છે. અને જેને સત્‍સંગીનો પક્ષ ન હોય અને સત્‍સંગી ને કુસંગીને વિષે સમભાવ હોય તો ગમે તેવો સત્‍સંગમાં મોટો કહેવાતો હોય પણ અંતે જતાં જરૂર વિમુખ થાય.”

પછી નાના આત્‍માનંદ સ્‍વામીએ પુછયું જે ”ભગવાન અને ભગવાનના સંત તે કોઈકને તો નિધડક થઈને જેમ કહેવું ધટે તેમ કહે છે, અને તેની કોરનો એમ ભરૂંસો આવે છે જે, આનું માન કરીશું અથવા તિરસ્‍કાર કરીશું તોય પણ કોઈ રીતે એ પાછો નહિ પડે. એવો જે ભરૂંસો તે ભગવાન ને ભગવાનના સંતને કેમ આવે ?” એક તો એ પ્રશ્ર્ન છે. અને બીજું એ પ્રશ્ર્ન છે જે ”જે સંતને પાસે રહેતા હોઈએ તેને જેવું આપણા ઉપર હેત હોય તેવું સમગ્ર સંતને કેમ રહે ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, જેવો શિવાનંદ સ્‍વામીના પ્રશ્ર્નનો ઉત્તર કર્યો છે, તેવો સત્‍સંગનો જેને દૃઢ પક્ષ હોય તો તેને કહેતાં સાંભળતાં ભગવાન ને ભગવાનના સંતને સંશય થાય નહિ, અને એનો કોઈ રીતે કુવિશ્વાસ આવે નહિ જે, ‘આને કહેશું તો આ સત્‍સંગમાંથી જતો રહેશે,’ તેની કોરનો દૃઢ વિશ્વાસ જ હોય જે ‘એનો સત્‍સંગ તો અચળ છે માટે એને કહેશું તેની કાંઈ ફિકર નથી’ અને બીજા પ્રશ્ર્નનો ઉત્તર એ છે જે, જેને પાસે પોતે પ્રથમ રહેતો હોય અને તેને સાથે પોતાને ન બન્‍યું, ત્‍યારે બીજા પાસે જઈને રહે તોપણ જેને પાસે પ્રથમ રહ્યો હોય તેનું જો કોઈક ધસાતું બોલે તો ખમી શકે નહિ, ત્‍યારે સર્વે સંતને એમ સમજાય જે, ‘આ તો કૃતઘ્‍ની નથી. જેને પાસે ચાર અક્ષર ભણ્‍યો છે તેનો ગુણ મુકતો નથી, માટે બહુ રૂડો સાધુ છે.’ એમ જાણીને સર્વે સંતને હેત રહે. અને જેની પાસે પ્રથમ રહ્યો હોય તેને મુકીને બીજા પાસે જાય, ત્‍યારે પ્રથમ જેની પાસે રહ્યો હોય તેની નિંદા કરે, ત્‍યારે સર્વે સંતને એમ જણાય જે ‘આ કૃતઘ્‍ની પુરૂષ છે. તે જ્યારે આપણી પાસે નહિ બને, ત્‍યારે આપણી પણ નિંદા કરશે.’ પછી તે ઉપર કોઈને હેત રહે નહિ.

પછી દહરાનંદ સ્‍વામીએ પુછયું જે ”ભગવાન તો અક્ષરાતીત છે અને મન વાણી થકી પર છે અને સર્વને અગોચર છે, તે સર્વને પ્રત્‍યક્ષ દેખાય છે તેનો શો હેતુ છે ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, અક્ષરાતીત ને મન વાણી થકી પર ને અગોચર એવા જે ભગવાન તે જ પોતે કૃપા કરીને એમ ધારે છે જે ‘જ્ઞાની અજ્ઞાની એવાં જે મૃત્‍યુલોકનાં મનુષ્ય તે સર્વે મને દેખો.’ એમ ધારીને સત્‍ય સંકલ્‍પ એવા જે ભગવાન તે કૃપાએ કરીને મૃત્‍યુલોકનાં સર્વે મનુષ્ય દેખે એવા થાય છે.

પછી ત્‍યાગાનંદ સ્‍વામીએ પુછયું જે, ”ભગવાન રાજી કેમ થાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, જેને ભગવાનને રાજી કરવા હોય તેને તો દેહના સુખને ઈચ્‍છવું નહિ અને દર્શનનો પણ લોભ રાખવો નહિ, ને ભગવાન જેમ કહે તેમ કરવું, એ ભગવાનને રાજી થયાનું સાધન છે.”

પછી લક્ષ્મણાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે ”ભગવાનને ભગવાનના સંતનો જે સમાગમ તે આશ્વર્ય સરખો કેમ સમજીએ, ત્‍યારે જણાય અને આઠે પહોર અહો અહો સરખું કેમ રહે ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, જે ભક્ત એમ સમજે જે, ‘આ ભગવાન ને આ સંત તે સર્વે વૈકુંઠ, ગોલોક અને બ્રહ્મપુર તેના નિવાસી છે, તે સંત અને પરમેશ્વર જ્યાં વિરાજમાન છે, ત્‍યાંજ એ સર્વે ધામ છે અને એ સંત ભેળો મારો નિવાસ થયો છે, તે મારૂં અતિ બડું ભાગ્‍ય છે,’ એવી રીતે સમજે તો આઠે પહોર આશ્વર્ય સરખું રહે અને આઠે પહોર આનંદના  સમુદ્રમાં ઝીલતો રહે.”

પછી પરમાત્‍માનંદ સ્‍વામીએ પુછયું જે, ”સંતનાં એકાદશ સ્‍કંધમાં જે ત્રીસ લક્ષણ કહ્યાં છે તે શો ઉપાય કરે તો આવે ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, જે ત્રીસ લક્ષણે યુક્ત સંત હોય તેને વિષે ગુરૂબુદ્ધિ ને દેવબુદ્ધિ રાખીને મન, કર્મ, વચને એનો સંગ કરે તો એ સંગના કરનારાને વિષે પણ એ ત્રીસ લક્ષણ આવે છે, એવી રીતે સર્વ શાસ્ત્રમાં કહ્યું છે જે ‘સંતને સેવે ત્‍યારે સંત સરખો થાય છે.’

પછી શાન્‍તાનંદ સ્‍વામીએ પુછયું જે ”એક તો અખંડ ભગવાનના સ્‍વરૂપમાં વૃત્તિ રાખતો હોય, અને બીજો તો ભગવાનનું ભજન સ્‍મરણ કરે અને કથા કીર્તન પણ કરે ને સાંભળે, એ બે પ્રકારના જે ભગવાનના ભક્ત તેમાં કયો શ્રેષ્‍ઠ છે ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે જેને નિર્વિકલ્‍પ સમાધિ થતી હોય અને દેહની ખબર રહે નહિ, એવો હોય તો તે કથા કીર્તન ન કરે તો પણ શ્રેષ્‍ઠ છે, અને જેને દેહની ખબર રહેતી હોય ને ભજનમાંથી પોતાની મેળે ઉઠીને ખાવું, પીવું, દેહની ક્રિયા, તે સર્વે કરતો હોય, અને જો ભગવાનની કથા કીર્તન ન કરે ને ન સાંભળે, તો તે થકી ભગવાનની કથા કીર્તન કરતો હોય ને સાંભળતો હોય તે શ્રેષ્‍ઠ છે.”

પછી આધારાનંદ સ્‍વામીએ પુછયું જે ”કેવી રીતે વતર્ીએ તો ભગવાન ને ભગવાનના સંત પ્રસન્ન થાય?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, પંચ વર્તમાન સંપૂર્ણ રાખીએ, ને તેમાં કોઈ રીતે ખોટ આવવા દઈએ નહિ, તો ભગવાન ને ભગવાનના સંત પ્રસન્ન થાય છે. એમાં લેશમાત્ર સંશય નથી.

પછી વેદાંતાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે ”જેણે પ્રથમ કાંઈક ગોબરૂં વર્તાણું હોય, પછી તે શો ઉપાય કરે ત્‍યારે તેની ઉપર ભગવાન ને ભગવાનના સંત રાજી થાય ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, જે પોતામાં ભુંડો સ્‍વભાવ હોય, તેને દેખીને ભગવાન અને ભગવાનના સંત કુરાજી થતા હોય, તે સ્‍વભાવ સાથે જ્યારે વૈર કરીએ ત્‍યારે જેને જે સાથે વૈર હોય, તે તો સર્વે જગત જાણે એવું હોય તે સંતને પણ ખબર પડે, પછી સંત તો તે સ્‍વભાવના વૈરી છે, તે આપણા પક્ષમાં ભળીને અને આપણા ઉપર દયા કરે અને જે પ્રકારે તે સ્‍વભાવને જીતીએ એવો ઉપાય બતાવે, માટે જે સ્‍વભાવે પોતાને ફજેત કર્યો હોય તે સ્‍વભાવ સાથે સુધું દૃઢ વૈર બાંધીને તેનું મૂળ ઉખડી જાય એવો ઉપાય કરવો, અને એવી રીતે વતર્ીએ ત્‍યારે ભગવાન ને ભગવાનના સંત આપણા ઉપર પૂર્ણ દયા કરે અને જ્યારે હરિની ને હરિજનની જે ઉપર દયા થાય, ત્‍યારે તેના હૈયામાં અતિશે સુખ વર્ત્યા કરે, અને કલ્‍યાણને માર્ગે ચાલ્‍યાની પણ સામર્થી વધે, અને પોતાના શત્રુ જે કામ, ક્રોધ, લોભાદિક તેનું બળ ધટી જાય છે, માટે જે પોતાના હૃદયને વિષે અતિશે શત્રુ પીડતો હોય તે સાથે અતિશે વૈર કરીએ તો તેની પરમેશ્વર સહાય કરે છે, માટે પોતાના શત્રુ જે કામાદિક તે સાથે જરૂર વૈર કરવું ધટે છે, અને પોતાના અંત:શત્રુ સાથે વૈર કર્યામાં  ધણો જ લાભ છે.

પછી ભગવદાનંદ સ્‍વામીએ પુછયું જે ”હે મહારાજ ! જેવી ભગવાનની બીક પાસે બેઠા હોઈએ ને રહે છે તેવી ને તેવી બીક છેટે જઈએ તો પણ રહે તે કેમ સમજીએ તો રહે ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, જેવી પાસે ભગવાનની મર્યાદા રહે છે તેવી છેટે જાય તોય પણ રહે, જો ભગવાનનું પુરૂં માહાત્‍મ્‍ય સમજે તો, તે માહાત્‍મ્‍ય એમ સમજવું  જે ”અક્ષરાતીત એવા પુરૂષોત્તમ ભગવાન તેની ઈચ્‍છાએ કરીને અનંત કોટી બ્રહ્માંડની ઉત્‍પત્તિ થાય છે, અને તે બ્રહ્માંડને પોતાની શકિતએ કરીને ધરી રહ્યા છે અને તે ભગવાન વ્‍યતિરેક થકા સર્વમાં અન્‍વયપણે રહ્યા છે અને અન્‍વય થકા પણ વ્‍યતિરેક છે. અને તે ભગવાન જેવા પ્રત્‍યક્ષ પ્રમાણ છે, તેવા ને તેવા અણુ અણુ પ્રત્‍યે અંતર્યામીરૂપે વિરાજમાન છે, અને તે ભગવાનના ડોલાવ્‍યા વિના એક તૃણ પણ ડોલવાને સમર્થ નથી, અને અનંત કોટી બ્રહ્માંડને વિષે જે ઉત્‍પત્તિ, સ્‍થ્‍િાતિ, પ્રલય થાય છે અને તેને વિષે સુખદુ:ખનો જીવોને સંબંધ થાય છે તે સર્વે પુરૂષોત્તમ ભગવાનના હાથમાં છે, જેટલું ભગવાન કરે તેટલું જ થાય છે, એવા જે ભગવાન તે જીવોના કલ્‍યાણને અર્થે પૃથ્‍વી ઉપર પધારે છે, ત્‍યારે પોતે ધોડે ચડીને ચાલે ત્‍યારે ધોડો ભગવાનને ઉપાડીને ચાલે છે, પણ એતો ધોડાના આધાર છે. અને પૃથ્‍વી ઉપર બેઠા હોય ત્‍યારે એમ જણાય જે પૃથ્‍વી ભગવાનને ધરી રહી છે, પણ એતો સ્‍થાવર જંગમ સહિત સમગ્ર પૃથ્‍વીને ધરી રહ્યા છે. અને જ્યારે રાત્રિ હોય ત્‍યારે ચંદ્રમા કે દીવો કે મશાલ તેને અજવાળે કરીને દર્શન થાય, અને દિવસે સૂર્યને અજવાળે કરીને દર્શન થાય, પણ એ ભગવાન તો સૂર્ય, ચંદ્રમા, અગ્‍નિ એ સર્વને પ્રકાશના  દાતા છે. એવી અદ્ભુત સામર્થી છે, તો પણ જીવોના કલ્‍યાણને અર્થે મનુષ્ય જેવા થઈને મને દર્શન આપે છે. એવી રીતે માહાત્‍મ્‍ય સમજે તો જેવી પાસે રહે મર્યાદા રહે છે, તેવી ને તેવી છેટે જાય તોય પણ રહે.

પછી વળી ભગવદાનંદ સ્‍વામીએ બીજો પ્રશ્ર્ન પુછયો જે, ”ભગવાનના કર્યા વિના કાંઈ થતું નથી, સર્વે ભગવાનનું જ કર્યું થાય છે. ત્‍યારે ભગવાનને અથવા ભગવાનના ભક્તને કાંઈક ભૂંડો દેશકાળ આવે છે ત્‍યારે તે દુ:ખને કેમ ભગવાન ટાળતા નથી, અને તેને ટાળ્‍યાના મનસુબા કેમ કરે છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, એતો જ્યારે ભગવાન મનુષ્ય દેહ ધારણ કરે છે ત્‍યારે ભગવાનની એવી રીત જ છે જે, ‘મનુષ્યની પેઠે સર્વે વ્‍યવહાર કરે પણ અલૌકિક સામર્થીને પ્રગટ કરે નહી,’ એવી રીતે સર્વે શાસ્ત્રમાં ભગવાનનાં ચરિત્ર કહ્યાં છે, તેથી જ્યારે ભગવાન કાંઈક નવાં ચરિત્ર કરે, ત્‍યારે સંશય કરજ્યો. પણ જ્યાં સુધી પૂર્વે અવતાર થયા છે તેના જેવાં ચરિત્ર કરે, ત્‍યાં સુધી તો સંશય કરવો નહિ.

પછી નિર્મળાનંદ સ્‍વામીએ પુછયું જે ”કેમ સમજીએ ત્‍યારે પ્રભુના સંતનો મહિમા અતિશે જણાય ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, મત્‍સ્‍ય, કચ્‍છ, વરાહ, વામન, પરશુરામ અને રામકૃષ્ણાદિક એ જે ભગવાનના અનંત અવતાર તેનો મહિમા વિચારે જે, ‘જે ભગવાને રામકૃષ્ણાદિક અવતારે કરીને અનંત જીવોનો ઉદ્ધાર કર્યો છે, તે ભગવાનના આ સંત છે. તેનો મારે સમાગમ મળ્‍યો છે, તે માટે હું પણ અતિ બડભાગી છું. એમ સમજે તો દિવસે દિવસે સંતનો મહિમા અતિશે જણાતો જાય.

પછી નારાયણાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે ”સ્‍થૂલ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહને વિષે જીવ અન્‍વયપણે કેમ છે ને વ્‍યતિરેકપણે કેમ છે?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, જ્યારે દેહને વિષે સુખ દુ:ખનો યોગ થાય છે ત્‍યારે તે સુખ દુ:ખને જીવ પોતાને વિષે માને,  ત્‍યારે તે જીવ અન્‍વયપણે છે, અને જ્યારે ત્રણે દેહના સુખ દુ:ખથી પોતાને ન્યારો સમજે ત્‍યારે એ જીવ વ્‍યતિરેક છે.

પછી શૂન્યાતીતાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે, ”જ્યારે સત્‍સંગ કરે છે ત્‍યારે તો સંતમાં ને સત્‍સંગીમાં અતિશે હેત હોય અને પછી કેમ ઓછું થઈ જાય છે ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, ”પ્રથમ તો એને સંતને વિષે અલૌકિક મતિ હોય અને પછી તો તે સંતનો અલ્‍પ દોષ જોઈને પોતાની કુબુદ્ધિએ કરીને ઝાઝો દોષ પરઠે છે. પછી એની અસદ્ વાસના થઈ જાય છે, તેણે કરીને સંતને વિષે ઓછો ભાવ થઈ જાય છે. તે જો વિચારીને અસદ્ વાસનાને ટાળે તો પ્રથમ હતો તેવો શુદ્ધ થાય અને જો અસદ્ વાસના ન ટાળે તો અંતે જતાં વિમુખ થઈ જાય છે.

પછી પ્રસાદાનંદ સ્‍વામીએ પુછયું જે ”જીવને મોક્ષનો શો હેતુ છે ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, જેમ સંત કહે તેમ જ સંશય રહિત થકો કરે એજ જીવને મોક્ષનો હેતુ છે.

પછી ત્રિગુણાતીતાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે ”દેશ, કાળ, ક્રિયા, સંગ, એનું વિષમપણું હોય ત્‍યારે ત્‍યાં શો ઉપાય કરવો ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, દેશાદિક વિષમ હોય, ત્‍યાં તો ઉગર્યાનો એજ ઉપાય છે જે ત્‍યાંથી જે તે પ્રકારે કરીને ભાગી છુટવું.

પછી નાના નિર્વિકારાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે ”ભગવાનનો નિશ્વય છે તો પણ અસદ્ વાસના કેમ ટળતી નથી?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, ભગવાનનું માહાત્‍મ્‍ય યથાર્થ જાણ્‍યું નથી એટલે અસદ્ વાસના ટળતી નથી.

પછી મોટા યોગાનંદ સ્‍વામીએ પુછયું જે, ”ભગવાનનો નિશ્વય પરિપૂર્ણ છે, તો પણ ભગવાનને વિષે ને ભગવાનની કથાને વિષે હેત કેમ થતું નથી ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ભગવાનનું જેવું માહાત્‍મ્‍ય છે તેવું એને સમજ્યામાં આવ્‍યું નથી, અને જો યથાર્થ ભગવાનનું માહાત્‍મ્‍ય સમજાય તો ભગવાન વિના બીજામાં હેત રાખે તો પણ રહે નહિ ને એક ભગવાન અને ભગવાનના સંત અને ભગવાનની કથા, કીર્તન તેને વિષે જ અચળ હેત થાય છે.

પછી પ્રતોષાનંદ સ્‍વામીએ પુછયું જે ”ભગવાનની ભકિત અચળ કેમ રહે ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, અનિરુદ્ધ, પ્રદ્યુમ્‍ન, સંકર્ષણ અને વાસુદેવ એ જે ચતુવ્‍યર્ૂહ તથા કેશવાદિક ચોવીશ મૂર્તિઓ તથા વરાહાદિક જે અવતારો એ સર્વેના કારણ એવા પ્રત્‍યક્ષ શ્રીકૃષ્ણ પુરૂષોત્તમ ભગવાન તેનો મહિમા અતિશયપણે કરીને સમજે, તો તેને ભગવાનની શ્રવણાદિક જે નવધા ભકિત તે અચળ રહે.

એવી રીતે સર્વે મુનિના પ્રશ્ર્નોના ઉત્તર કરીને પછી શ્રીજી મહારાજ  સર્વેને પુછતા હવા જે,”કામ, ક્રોધ અને લોભ એ ત્રણ નરકનાં દ્વાર છે. એમાંથી જેને જે અતિશય જીત્‍યામાં આવ્‍યો હોય તે સર્વે કહો ?” પછી જેને જે વાતની અતિશે દૃઢતા હતી તે તેવી રીતે બોલ્‍યા. તે મુનિનાં વચન સાંભળીને શ્રીજી મહારાજ અતિશે રાજી થયા અને આત્‍માનંદ સ્‍વામી તથા યોગાનંદ સ્‍વામી તથા ભગવદાનંદ સ્‍વામી તથા શિવાનંદ સ્‍વામી એ ચાર જણાને રાજી થઈને હૃદયને વિષે ચરણારવિંદ દીધાં અને એમ બોલ્‍યા જે, ‘જેમ મહાનુભાવાનંદ સ્‍વામી આદિક જે મોટેરા છે તે ભેળા આ ચાર પણ છે. માટે એમનું કોઈને અપમાન કરવા દેશો માં’ એમ મુકતાનંદ સ્‍વામી આદિક જે મોટેરા સાધુ તેમને ભલામણ કરીને શ્રીજી મહારાજ જય સચ્‍ચિદાનંદ કહીને પોતાને ઉતારે જમવા પધાર્યા. ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૭૮||