ગઢડા મઘ્ય ૬ : હૂંડીનું, ચિત્તના સ્વભાવનું

Submitted by Parth Patel on Wed, 16/02/2011 - 1:35am

ગઢડા મઘ્ય ૬ : હૂંડીનું, ચિત્તના સ્વભાવનું

સંવત્ ૧૮૭૮ ના શ્રાવણ સુદિ ૮ અષ્‍ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિર આગળ વેદિ ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. ને પરમહંસ તાલ મૃદંગ લઇને કીર્તન ગાવતા હતા.

પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “કીર્તન રાખો, હવે ભગવદ્વાર્તા કરીએ.” પછી સર્વે મુનિ હાથ જોડીને બેઠા, પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે “આ સંસારમાં કેટલાક યવન સરખા જીવ હોય તે એમ કહે જે, ‘ગંગાજીનું પાણી અને બીજું પાણી એ બેય સરખાં જણાય છે, અને શાલગ્રામ ને બીજા પાણા તે સરખા જણાય છે, તેમજ તુલસીને બીજાં ઝાડ તે સરખાં જણાય છે, અને બ્રાહ્મણ ને શૂદ્ર તે પણ સરખા જણાય છે, અને ઠાકોરજીની પ્રસાદી અન્ન ને બીજું અન્ન તે બેય સરખાં જણાય છે અને એકાદશીને દિવસ ભુખ્‍યા રહ્યા ને બીજે દિવસ ભુખ્‍યા રહ્યા એ બેય સરખા જણાય છે, અને સાધુ ને અસાધુ એ બેય સરખા જણાય છે, તે માટે આ વિધિનિષેધનો જે વિભાગ તે મોટા પુરૂષ કહેવાયા તેમણે શા સારૂં શાસ્ત્રમાં કહ્યો હશે ? એમ દુષ્‍ટમતિવાળા જે જીવ છે તે કહે છે. માટે સર્વ સંતને અમો આ પ્રશ્ર્ન પુછીએ છીએ જે, એ વિધિનિષેધનો વિભાગ મોટા પુરૂષે શાસ્ત્રમાં કહ્યો છે તે સાચો છે કે કલ્‍પિત છે ? તે પ્રશ્ર્નનો ઉત્તર નાના નાના પરમહંસ હોય તે કરો.” પછી નાના નાના પરમહંસ હતા તે બોલ્‍યા જે, “વિધિનિષેધનો ભેદ સત્‍ય છે, અને એમ ન હોય તો સ્‍વર્ગ નરક કેને માથે કહેવાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “નાના છે પણ સારી દિશ ઉપર સમજે છે.” એમ કહીને શ્રીજી મહારાજે એનો ઉત્તર કરવા માંડયો જે, ‘મોટા પુરૂષે જે શાસ્ત્રમાં પ્રતિપાદન કર્યું છે તે સર્વે સત્‍ય છે. ત્‍યાં દૃષ્ટાંત છે જે, જેમ કોઇક મોટો શાહુકાર હોય ને તે કોઇને હુંડી લખી આપે ત્‍યારે કાગળમાં તો એકે રૂપિયો જણાતો નથી. પણ રૂપિયા સાચા છે. તે જ્યારે હુંડી જે શાહુકારની ઉપર લખી હોય તેને આપે ત્‍યારે એ હુંડીમાંથી રૂપિયાનો ઢગલો થાય છે. તેમ મોટા પુરૂષની આજ્ઞાએ કરીને જે ધર્મ પાળે ત્‍યારે હમણાં તો કાંઇ વિધિનિષેધમાં વિશેષ જણાતું નથી. પણ અંતે મોટા પુરૂષની આજ્ઞા પાળનારાનું કલ્‍યાણ થાય છે, જેમ હુંડીમાંથી રૂપિયા નીસરે છે તેમ. અને જે સમર્થ શાહુકારે હુંડી લખી હોય, અને તેનો વિશ્વાસ ન કરે તેને મૂર્ખ જાણવો, અને તેને તે શાહુકારના પ્રતાપની ખબર જ નથી. તેમ નારદ, સનકાદિક, વ્‍યાસ, વાલ્‍મીક ઇત્‍યાદિક જે મોટા પુરૂષ તેના વચનનો જેને વિશ્વાસ નથી, તેને નાસ્‍તિક જાણવો ને મહા પાપિષ્‍ઠ જાણવો. અને વળી જે નાસ્‍તિક મતિવાળા હોય તેને એમ સમજાય છે જે, ‘બીજા પાણામાં ને ઠાકોરજીની મૂર્તિમાં શો ફેર છે ? સર્વે પાણા એક સરખા છે, અને પરણેલી સ્‍ત્રી ને ન પરણેલી સ્‍ત્રી તેમાં શો ફેર છે ? સર્વે સ્‍ત્રી સરખી છે. અને ઘરની સ્‍ત્રી ને મા બેન તેમાં શો ફેર છે ? સર્વેનો સરખોજ આકાર છે, અને રામ-કૃષ્ણાદિક જે ભગવાનની મૂર્તિઓ તે પણ સર્વે મનુષ્ય જેવી છે, માટે અધિક ન્‍યૂન ભાવ તો માણસે કલ્‍પીને ઉભો કર્યો છે. પણ શું કરીએ ? માણસ ભેળું રહેવું તે માણસની હાયે હા કહી જોઇએ. પણ વિધિનિષેધનો માર્ગ છે તે ખોટો છે, એમ પાપી એવા જે નાસ્‍તિક તે પોતાના મનમાં સમજે છે. માટે જેની આવી જાતની બોલી સાંભળીએ તેને પાપિષ્‍ઠ જાણવો, ને નાસ્‍તિક જાણવો અને એને ચંડાળ જાણીને એનો કોઇ પ્રકારે સંગ રાખવો નહિ.

અને વળી શ્રીજી મહારાજે બીજી વાર્તા કરી જે, “મનુષ્ય માત્રનું ચિત્ત કેવું છે, તો જેમ મધ હોય અથવા ગોળ, સાકર, ખાંડ, તેનું ધાટું પાણી હોય તે સરખું છે. તે મધમાં કે ગોળ, સાકર, ખાંડના પાણીમાં માંખી, કીડી, મકોડો જે આવે તે ચોટી રહે, અને મનુષ્ય જો હાથ અડાડે તો માણસની આંગળીએ પણ ચોટી જાય, તેમ ચિત્તનો સ્‍વભાવ એવો છે જે, જે જે પદાર્થ સાંભળે તે તે પદાર્થમાં ચોટી જાય છે. તે જો પથરો તથા કચરો તથા કુતરાનો મળ એ આદિક જે નકારી વસ્‍તુ હોય, તેમાં તો લેશમાત્ર સુખ નથી. તો પણ  એ નકારી વસ્‍તુમાં પણ ચિત્ત વળગે છે અને તે સાંભળી આવ્‍યું હોય તો તેનું પણ ચિંતવન કરે છે, એવો  એનો વળગવાનો સ્‍વભાવ છે. જેમ મોટું કાચનું દર્પણ હોય તેમાં મોટા સાધુ આવે તો તેનું પણ પ્રતિબિંબ દેખાય, તથા કુતરાં, ગધેડાં, ચાંડાળાદિક જે જે આવ્‍યા હોય તો તેનું પણ પ્રતિબિંબ તેમજ દેખાય, તેમ ચિત્તને વિષે અતિ નિર્મળપણું છે, તે જે પદાર્થ સાંભરે તે દેખાઇ આવે છે, એમાં સારા નરસાનો કાંઇ મેળ નથી. માટે જે મુમુક્ષુ હોય તેને એમ ન વિચારવું જે, ‘મારે વૈરાગ્‍ય નથી તે  માટે સ્‍ત્રીયાદિક પદાર્થ મારા ચિત્તમાં સ્‍ફુરે છે. એ તો જે વૈરાગ્‍યવાન હોય તેના ચિત્તમાં પણ જે સમે જે પદાર્થ આવ્‍યું તે સહેજે સ્‍ફુરી આવે છે. માટે વૈરાગ્‍ય અવૈરાગ્‍યનું કાંઇ કારણ નથી; એ તો ચિત્તનો સ્‍વભાવ જ એવો છે જે, ‘ભલું અથવા ભૂંડું સાંભળ્‍યું તેને ચિંતવે.’ અને જ્યારે જે પદાર્થનું ચિંતવન કરે, ત્‍યારે તે પદાર્થ જેમ દર્પણમાં દેખાઇ આવે તેમ દેખાઇ આવે. તે માટે એમ જાણવું જે, હું તો ચિત્ત થકી જુદો છું અને હું તો એનો જોનારો આત્‍મા છું, એમ જાણીને ચિત્તના સારા ભૂંડા ધાટે કરીને ગ્‍લાનિ પામવી નહિ. પોતાને ચિત્ત થકી જુદો જાણીને ભગવાનનું ભજન કરવું અને સદા આનંદમાં રહેવું. ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું  ||૬|| ||૧૩૯||