ગઢડા મઘ્ય ૮ : એકાદશીનું, જ્ઞાનયજ્ઞનું, અંતર્દષ્ટિનું

Submitted by Parth Patel on Wed, 16/02/2011 - 2:29am

ગઢડા મઘ્ય ૮ : એકાદશીનું, જ્ઞાનયજ્ઞનું, અંતર્દષ્ટિનું

સંવત્ ૧૮૭૮ ના શ્રાવણ સુદિ ૧૨ દ્વાદશીને દિવસ પ્રાત-: કાળને સમે સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિર આગળ ચાકળા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી ને પરમહંસ તાલ મૃદંગ લઇને કીર્તન ગાતા હતા.

પછી શ્રીજીમહારાજ સંત પ્રત્‍યે બોલ્‍યા જે, “એકાદશીનું વ્રત કરવું તેની તો એમ વિગતી છે જે, પૂર્વે ભગવાન દશ ઇન્‍દ્રિયો અને અગિયારમું મન તેને અંતર સન્‍મુખ કરીને પોઢયા હતા. તે સમયમાં નાડીજંધનો દીકરો જે મુરદાનવ તે યુદ્ધ કરવા આવ્‍યો. પછી ભગવાનના એકાદશ ઇન્‍દ્રિયોના તેજમાંથી એક કન્યા ઉત્‍પન્ન થઇ, ત્‍યારે મુરદાનવ કન્યા પ્રત્‍યે બોલ્‍યો જે, ‘ તું મને વર્ય.’ પછી કન્યા બોલ્‍યાં જે, મારે તો એવી પ્રતિજ્ઞા છે જે ‘જે મને યુદ્ધમાં જીતે તેને હું વરૂં’ પછી મુરદાનવને અને કન્યાને યુદ્ધ થયું, ત્‍યારે કન્યાએ મુરદાનવનું મસ્‍તક ખડગે કરીને કાપી નાખ્‍યું. પછી ભગવાને પ્રસન્ન થઇને તે કન્યાને કહ્યું જે, ‘તું વર માગ’ ત્‍યારે તે કન્યાએ વર માગ્‍યો જે, મારા વ્રતને દિવસે કોઇ અન્ન ન ખાય અને હું તમારા એકાદશ ઇંદ્રિયોના તેજમાંથી પ્રકટ થઇ માટે મારૂં નામ એકાદશી છે અને હું તપસ્‍વિની છું, માટે મારા વ્રતને દિવસ મન આદિક જે અગિયાર ઇન્‍દ્રિયો તેનો જે આહાર તે કોઇ કરે નહિ.’ આવું એકાદશીનું વચન સાંભળીને ભગવાને તે વર આપયો. એવી રીતે પુરાણની કથા છે. અને વળી ધર્મશાસ્ત્રમાં પણ એમ કહ્યું છે જે, ‘એકાદશીનું વ્રત કરવું, તે દિવસ, કામ, ક્રોધ, લોભાદિક સંબંધી ભૂંડા ઘાટ મનમાં થવા દેવા નહિ, અને દેહે કરીને કાંઇ ભૂંડું આચરણ કરવું નહિ.’ એમ શાસ્ત્રમાં વચન છે. અને તે શાસ્ત્ર પ્રમાણે જ અમે પણ કહીએ છીએ જે, એકાદશીને દિવસ ઢોર લાંધણ કરવી નહિ, અને એકાદશ ઇન્‍દ્રિયોના આહારનો ત્‍યાગ કરે તે એકાદશી સાચી ને તે વિના તો ઢોર લાંધણ કહેવાય.’ અને જેમ પ્રાણને અન્નનો આહાર છે, તેમજ શ્રોત્રને શબ્‍દનો આહાર છે, અને ત્‍વચાને સ્‍પર્શનો આહાર છે, ને નેત્રને રૂપનો આહાર છે, ને જિહ્વાને રસનો આહાર છે, ને નાસિકાને ગંધનો આહાર છે, ને મનને સંકલ્‍પ વિકલ્‍પનો આહાર છે. એવી રીતે અગિયારે ઇન્‍દ્રિયોના જુદા જુદા આહાર છે, તે સર્વે આહારનો ત્‍યાગ કરે તેનું નામ એકાદશી વ્રત કહેવાય. પણ અગિયારે ઇન્‍દ્રિયો કુમાર્ગે દોડે અને પોતપોતાના અન્નને ખાય તે એકાદશીનું વ્રત શાસ્ત્ર પ્રમાણે ન કહેવાય, માટે એકાદશીનું વ્રત કરવું ત્‍યારે તો અગિયારે ઇન્‍દ્રિયોને આહાર કરવા દેવા નહિ, એવું વ્રત પંદર દિવસમાં એક વાર આવે તે ખબડદાર થઇને કરવું, તો તેને ઉપર ભગવાન પ્રસન્ન થાય છે, પણ તે વિના જે ઢોર લાંધણ તેણે કરીને ભગવાન પ્રસન્ન થતા નથી. અને શ્વેતદ્વીપમાં જે નિરન્નમુક્ત કહેવાય છે તે તો સદાય એ વ્રત રાખે છે, કયારેય પણ એ વ્રતનો ભંગ થવા દેતા નથી, માટે નિરન્ન કહેવાય છે. અને આપણે પણ ઇચ્‍છા તો એમ રાખવી જે, જેવા શ્વેતદ્વીપમાં નિરન્નમુક્ત છે તેવું જ થવું છે, પણ એ વાતમાં હિમ્‍મત હારવી નહિ. એવી રીતે જે હિમ્‍મત રાખીને જેવું મોરે કહ્યું તેવું એકાદશીનું વ્રત કરે અને ભગવાનની કથા કીર્તનાદિકને કરે ને સાંભળે ને રાત્રિએ જાગરણ કરે, તો તે વ્રત સાચું છે, અને શાસ્ત્રમાં એનું જ નામ એકાદશી કહી છે.” એટલી વાત કરીને શ્રીજી મહારાજ મૌન રહ્યા ને સંતે કીર્તન ગાવવા માંડયાં.

પછી વળી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “જ્યારે બ્રહ્માએ પ્રથમ સૃષ્‍ટિ કરી ત્‍યારે સર્વે પ્રજાને કહ્યું જે, તમો સર્વે યજ્ઞ કરજ્યો ને તે યજ્ઞે કરીને તમારે સર્વ પુરૂષાર્થની સિદ્ધિ થશે અને સૃષ્‍ટિની પણ વૃદ્ધિ થશે, માટે યજ્ઞ તો જરૂર કરજ્યો. પછી વેદમાં બહુ પ્રકારના જે યજ્ઞ હતા તે સર્વે બ્રહ્માએ વિધિ સહિત બતાવ્‍યા. તેમાં જે પ્રવૃત્તિમાર્ગવાળા હતા તેને તો રાજસી, તામસી, એવા પ્રવૃત્તિમાર્ગના યજ્ઞ બતાવ્‍યા, અને જે નિવૃત્તિમાર્ગવાળા હતા તેને તો સાત્ત્વિક યજ્ઞ બતાવ્‍યા. તે યજ્ઞ શ્રીકૃષ્ણ ભગવાને ભગવદ્રીતાને વિષે પણ કહ્યા છે. માટે આપણ તો નિવૃત્તિમાર્ગવાળા છીએ, તે આપણે તો સાત્ત્વિક યજ્ઞ કરવા, પણ જેમાં પશુ મરતાં હોય એવા જે રાજસી, તામસી યજ્ઞ તે આપણે કરવા નહિ. તે સાત્ત્વિક યજ્ઞની રીત જે, ‘દશ ઇન્‍દ્રિયો ને અગીયારમું મન એ સર્વે જે જે વિષયમાં ચોટે ત્‍યાંથી પાછાં ખેંચીને બ્રહ્મ અગ્‍નિને વિષે હોમવાં. એનું નામ યોગયજ્ઞ કહેવાય. અને એવી રીતે હોમતાં હોમતાં જેમ યજ્ઞ કરનારાને ભગવાન દર્શન આપે છે, તેમજ એ યોગયજ્ઞના કરનારાના અંતરને વિષે પોતાનું સ્‍વરૂપ જે બ્રહ્મ તેને વિષે પરબ્રહ્મ જે શ્રીપુરૂષોત્તમ તે પ્રગટ થઇ આવે છે, એ યોગયજ્ઞનું ફળ છે. અને અંતર્દષ્‍ટિએ કરીને જે ભગવાનના ભક્તને વર્તવું તે જ્ઞાનયજ્ઞ કહેવાય છે. હવે કોઇ એમ પુછે જે,’અંતર્દષ્‍ટિ તે શું  ?’ તો તેનો ઉત્તર એ છે જે, ‘બાહેર અથવા માંહીલી કોરે ભગવાનની મૂર્તિ સામી જે વૃત્તિ કરવી’ એ જ અંતર્દષ્‍ટિ છે’ અને તે વિના તો અંતર્દષ્‍ટિ કરીને બેઠો છે પણ બાહ્યદૃષ્ટિ જ છે, માટે બાહેર ભગવાનનું દર્શન તથા પૂજન, તથા ભગવાનની કથા, કીર્તન એ આદિક જે જે ભગવાન સંબંધી ક્રિયાઓ હોય તે સર્વે અંતર્દષ્‍ટિ છે. અને એ સર્વે જ્ઞાનયજ્ઞ થાય છે. અને તેજ ભગવાનની મૂર્તિને અંતરમાં ધારીને તેનું પૂજન વંદનાદિક જે કરવું તે પણ અંતર્દષ્‍ટિ છે ને જ્ઞાનયજ્ઞ છે. માટે સત્‍સંગી માત્રને તો એવો અખંડ જ્ઞાનયજ્ઞ થાય છે, અને સમાધિ તો કોઇકને થાય છે ને કોઇકને નથી થાતી, તે તો પરમેશ્વરની ઇચ્‍છાએ કરીને એમ રહ્યું છે, અથવા કોઇક ઠેકાણે ભક્તની કચાઇ વતે કરીને એમ રહ્યું છે. અને કોઇક મૂર્ખ લોક છે તે એમ કહે છે જે, ‘ ગોપિકાનાં અંગનાં કીર્તન હોય તે રહેવા દ્યો અને નિર્ગુણ કીર્તન હોય તે ગાઓ.’ તથા જે ઉધાડા થઇને ફરતા હોય તેને મૂર્ખ હોય તે નિર્ગુણ પુરૂષ કહે છે પણ જો ઉધાડા ચાલ્‍યે નિર્ગુણ થવાતું હોય તો કુતરાં, ગધેડાં, ઇત્‍યાદિક સર્વે નિર્ગુણ કહેવાય, માટે એતો મૂર્ખની સમજણ છે. અને જ્ઞાની ભક્ત હોય તે તો એમ જાણે જે, ભગવાનનું સ્‍વરૂપ છે તેજ નિર્ગુણ છે. અને જેને જેને તે ભગવાનનો સંબંધ થયો તે સર્વે નિર્ગુણ માર્ગવાળા છે. અને જે જે કથા-કીર્તનને વિષે ભગવાનના સ્‍વરૂપનો સંબંધ છે, તે સર્વે નિર્ગુણ કહેવાય છે. અને જે કથા-કીર્તનને વિષે ભગવાનનો સંબંધ ન હોય તે માયિક ગુણે યુક્ત છે, માટે સગુણ કહેવાય છે. અને જો ભગવાનની પ્રાપ્‍તિ ન થઇ હોય ને તે ઉધાડા ફરે તો નિર્ગુણ ન કહેવાય. અને જેને ભગવાનની પ્રાપ્‍તિ થઇ છે અને ગૃહસ્‍થાશ્રમી છે તો પણ તે નિર્ગુણ કહેવાય અને ત્‍યાગી હોય તે પણ નિર્ગુણ કહેવાય.’ માટે ભગવાનને પામ્‍યાનો જે માર્ગ તે જ નિર્ગુણ માર્ગ છે. અને તે જે જે ભગવાન સંબંધી ક્રિયા કરે તે સર્વે નિર્ગુણ છે. અને જેને ભગવાનનો સંબંધ થયો છે તેનાં ભાગ્‍યનો પાર આવે નહિ. અને તે ભગવાનનો સંબંધ એક જન્‍મને પુણ્‍યે કરીને થતો નથી, એતો શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે, ‘અનેક જન્‍મસંસિદ્ધસ્‍તતો યાતિ પરાં ગતિમ્’ એ શ્લોકનો એ અર્થ છે જે, અનેક જન્‍મનું સુકૃત ભેળું થાય છે તેણે કરીને જે સંસિદ્ધ થયો તે પરમપદને પામે છે.’ તે પરમપદ તે શું ? જે પ્રત્‍યક્ષ ભગવાનની પ્રાપ્‍તિ તેજ પરમ પદ છે. અને વળી શ્રીકૃષ્ણ ભગવાને એમ પણ કહ્યું છે જે -

“મમૈવાંશો જીવલોકે જીવભૂત: સનાતન: | મન:ષષ્‍ઠાનીન્‍દ્રિયાણિ પ્રકૃતિસ્‍થાનિ કર્ષતિ ||”

એ શ્લોકનો અર્થ એ છે જે, આ સંસારને વિષે ભગવાનના અંશ જે જીવ છે તે તો મને સહિત જે પંચ જ્ઞાન ઇન્‍દ્રિયો તેને પંચ વિષય થકી ખેંચીને પોતાને વશ રાખે છે, અને જે ભગવાનના અંશ નથી તેને તો ઇન્‍દ્રિયો ખેંચીને જ્યાં પોતાની ઈચ્‍છા હોય ત્‍યાં લઈ જાય છે, માટે આપણ સર્વે ઇન્‍દ્રિયોના દોર્યા દોરાતા નથી, તો જો ભગવાનના અંશ છીએ, એવું જાણીને અતિશે આનંદમાં રહીને ભગવાનનું ભજન કરવું, અને સર્વે ઇન્‍દ્રિયોની વૃત્તિયોને ભગવાનના સ્‍વરૂપમાં હોમવી, અને સદા જ્ઞાનયજ્ઞ કર્યા કરવો. અને યજ્ઞ રહીતનું કોઇ રીતે કલ્‍યાણ થતું નથી. અને ચાર વેદ, સાંખ્‍યશાસ્ત્ર, યોગશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, અઢાર પુરાણ, ભારત, રામાયણ અને નારદપંચરાત્ર એ આદિક સર્વ શાસ્ત્રનું એજ સિદ્ધાંત છેજે, ‘યજ્ઞરહિતનું કલ્‍યાણ થતું નથી, માટે અમારી પણ એજ આજ્ઞા છે જે, સર્વે પરમહંસ તથા સર્વે સત્‍સંગી જ્ઞાનયજ્ઞ કરતા રહેજ્યો.’ અને એમ ને એમ જ્ઞાનયજ્ઞ કરતાં કરતાં જ્યારે પોતાનું સ્‍વરૂપ જે બ્રહ્મ તેને વિષે પરબ્રહ્મ ભગવાન સાક્ષાત્‍કાર દેખાય, એજ જ્ઞાનયજ્ઞનું ફળ છે. એવી રીતે જ્ઞાનયજ્ઞ કરતાં કરતાં જ્યારે શ્વેતદ્વીપમાં નિરન્નમુક્ત છે એવું થવાય, ત્‍યારે જ્ઞાનયજ્ઞના વિધિનો અવધિ આવી રહ્યો, અને જ્યાં સુધી એવું ન થવાય, ત્‍યાં સુધી એટલું અધુરૂં જાણવું, અને નિરન્નમુક્ત જેવા થવાની અતિશય ઈચ્‍છા રાખવી પણ શ્રદ્ધારહિત થવું નહિ, અને પોતાને વિષે અપૂર્ણ પણું માનવું નહિ ને ભગવાનની પ્રાપ્‍તિ થઇ છે તેણે કરીને કૃતાર્થ માનીને ને સાવધાન થઈને જ્ઞાનયજ્ઞ કર્યા કરવો. ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું  ||૮|| ||૧૪૧||