ગઢડા મઘ્ય ૧૫ : સ્વભાવને વિષે શત્રુપણું રાખ્યાનું

Submitted by Parth Patel on Wed, 16/02/2011 - 2:37am

ગઢડા મઘ્ય ૧૫ : સ્વભાવને વિષે શત્રુપણું રાખ્યાનું

સંવત્ ૧૮૭૮ ના ભાદરવા શુદિ ૨ બીજને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની ઓસરીએ ચાકળો નંખાવીને વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે સર્વે પરમહંસને પ્રશ્ર્ન પુછયો જે, “ગમે તેવો કઠણ સ્‍વભાવ હોય ને જો એક વિચાર કરીએ તો તે સ્‍વભાવનો નાશ થઇ જાય અને એ વિચારને મૂકીને બીજા હજારો વિચાર કરે તોય પણ તે ભૂંડા સ્‍વભાવ હોય તે ટળે નહિ એવો તે કયો વિચાર છે, તે જેને જેમ સમજાતું હોય તે તેમ કહો? પછી પરમહંસમાં જેમ જેને સમજાતું હતું તેમ તેણે કહ્યું, પણ યથાર્થ કોઇથી કહેવાયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “લ્‍યો અમે કહીએ જે,” “જેમ બાહેર કોઇક પોતાનો શત્રુ હોય તે આપણું કાંઇક કામ થતું હોય તેને બગાડી દે અથવા પોતાની મા-બેન સામી ગાળો દે, તેનો જેમ અતિશે અભાવ આવે છે અને જે ઉપાયે કરીને તેનું ભૂંડું થાય તે ઉપાય કરાય છે અથવા કોઇક બીજો તે શત્રુનું ભૂંડું કરે તો પણ અતિશે રાજી થવાય છે, તેમ જે મોક્ષને અર્થે યત્‍ન કરતા હોય ને તેમાં જે કામક્રોધાદિક માંહેલો શત્રુ વિઘ્‍ન કરે તો તેની ઉપર પણ તેવી જ વૈરબુદ્ધિ થાય અને તેનો ખટકો કયારેય પણ ટળે નહિ. એવો વિચાર જેને હાથ આવે તે એ વિચારે કરીને શત્રુ માત્રને ટાળે. અને જ્યારે કોઇક સંત એ કામાદિક શત્રુની નિંદા કરે તથા તે શત્રુને ખોદે તેમાં જેને મોરે કહ્યો એવો વિચાર હોય તેને તે સાધુનો અભાવ આવે નહિ. સામો તે સાધુનો અતિશે ગુણ લે અને એમ જાણે જે, ‘આ સાધુ મારા શત્રુને માર્યાનો ઉપાય કરે છે માટે મારા પરમ હેતુ છે.’ આવી જાતનો વિચાર જેના હૃદયને વિષે પ્રાપ્‍ત થયો હોય તે શત્રુ માત્રનો નાશ કરી નાખે અને કોઇ ભૂંડો સ્‍વભાવ તેના હૃદયને વિષે રહી શકે નહિ. અને એ વિના બીજા ગમે તેટલી જાતના વિચાર કરે પણ કામાદિક સ્‍વભાવરૂપી શત્રુ નાશ પામે નહિ, માટે એ સ્‍વભાવ ઉપર જે શત્રુપણું રાખવું એ જ સર્વ વિચારમાં શ્રેષ્‍ઠ વિચાર છે.

પછી શ્રીજીમહારાજે વળી પ્રશ્ર્ન કર્યો જે, “ધર્મ, વૈરાગ્‍ય, આત્‍મજ્ઞાન અને માહાત્‍મ્‍યે સહિત પરમેશ્વરની ભકિત એ ચાર વાનામાંથી કોઇ કાળે પડે નહિ એવો જે હોય તેને શે લક્ષણે કરીને ઓળખવો ?” પછી સર્વે સંતે જેને જેવું સમજાણું તેણે તેવું કહ્યું પણ તે કોઇથી યથાર્થ કહેવાયું નહિ, પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “જેનો બાળકપણાથી જ એવો સ્‍વભાવ હોય જે કોઇની છાયામાં તો દબાય જ નહિ, અને એ જ્યાં બેઠો હોય ત્‍યાં કોઇએ હાંસી મશ્‍કરી થાય નહિ, અને તેને કોઇએ હળવું વેણ પણ કહેવાય નહિ, એવાં જેનાં લક્ષણ હોય તે કોઇ દિવસ ધર્મ, વૈરાગ્‍ય, જ્ઞાન અને ભગવાનની ભકિત તેમાંથી પડે જ નહિ, અને તેનો માનીના જેવો સ્‍વભાવ હોય તો પણ તેને કલ્‍યાણનો ખપ હોય, માટે તે સત્‍સંગમાંથી કોઇ પ્રકારે જાય નહિ. ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું ||૧૫|| ૧૪૮ ||