ગઢડા મઘ્ય ૩૨ : થોરના ઝાડનું-નિર્વિઘ્ન ભકિતનું

Submitted by Parth Patel on Wed, 16/02/2011 - 3:13am

ગઢડા મઘ્ય ૩૨ : થોરના ઝાડનું-નિર્વિઘ્ન ભકિતનું

સંવત્ ૧૮૮૦ ના શ્રાવણ શુદિ ૫ પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે વિરાજમાન હતા,  અને અંગને વિષે સર્વે શ્વેત વસ્ત્ર પહેર્યાં હતાં, અને મસ્‍તકને ઉપર કાળા છેડાની ધોતલી બાંધી હતી, ને કંઠને વિષે પુષ્પના હાર વિરાજમાન હતા, તથા કર્ણને ઉપર પુષ્પના ગુચ્‍છ વિરાજમાન હતા તથા મસ્‍તક ઉપર પુષ્પના તોરા વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ સર્વે હરિભક્ત પ્રત્‍યે બોલતા હવા જે, “આ સંસારને વિષે પોતાના કુટુંબીનો સંબંધ છે, તે તો જેમ થોરનું ઝાડ હોય અથવા વડનું કે પિપળનું ડાળ હોય, તે એક ઠેકાણેથી કાપીને બીજે ઠેકાણે રોપીએ તો ઉગીને ઝાડ થાય, અને આંબો તથા લીંબડો હોય ને તેને એકવાર કાપયો એટલે ફરીને ચોટે નહિ, તેમ કુટુંબી વિના બીજાનો જે સંબંધ છે તે તો આંબાના ઝાડના જેવો છે, તે એકવાર કાપયો એટલે ફરીને ચોટે નહિ. અને કુટુંબીનો સંબંધ છે તે તો થોરના ને વડના ઝાડ જેવો છે, તે કાપી નાખ્‍યો હોય તો પણ ધરતીમાં પડયો પડયો પણ પાલવ્‍યા વિના રહે નહિ, માટે એ કુટુંબીનો સંબંધ તો, તો ટળે જો સ્‍થૂલ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહ થકી નોખો એવો જે આ દેહને વિષે જીવાત્‍મા તેને પોતાનું રૂપ જાણીને તેને વિષે ભગવાનની મૂર્તિને ધારીને ને જાતિ, વર્ણ, આશ્રમ તેના માનને મુકીને કેવળ ભગવાનના સ્‍મરણને વિષે તત્‍પર થાય તો કુટુંબીનો સંબંધ ચોખો ટળે, તે વિના બીજો ઉપાય કોઇ નથી. અને વળી જીવનું જે કલ્‍યાણ થાય, અને જીવ માયાને તરીને બ્રહ્મસ્‍વરૂપ થાય તેનું કારણ તો પુરૂષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તેના પ્રત્‍યક્ષ સ્‍વરૂપનું જ્ઞાન, ઘ્‍યાન, કીર્તન અને કથાદિક એજ છે, ને એણે કરીને જ એ જીવ છે, તે માયાને તરે છે અને અતિ મોટાઇને પામે છે. અને ભગવાનનું જે અક્ષરધામ તેને પામે છે. અને આત્‍મનિષ્‍ઠા, વૈરાગ્‍ય ને ધર્મ તે તો ભગવાનની ભકિતના સહાયરૂપ ઉપકરણ છે, પણ ભગવાનની ભકિત વિના એકલો વૈરાગ્‍ય તથા આત્‍મનિષ્‍ઠા તથા ધર્મ તે જીવને માયા તર્યાનું સાધન નથી. અને જો અતિશય ધર્મ, આત્‍મનિષ્‍ઠા ને વૈરાગ્‍ય ન હોય ને એકલી ભગવાનની ભકિત હોય તો પણ એ જીવનું કલ્‍યાણ થાય ને માયાને તરે, એટલો ધર્માદિક થકી ભકિતને વિષે વિશેષ છે. તો પણ ધર્માદિક અંગનું સહાયપણું હોય તો એ ભકિતને વિષે કોઇ વિઘ્‍ન થતું નથી; અને જો ધર્માદિક અંગનું સહાયપણું ન હોય તો વિષમ દેશકાળાદિકે કરીને ભકિતને વિષે વિઘ્‍ન જરૂર થાય છે. તે માટે ધર્માદિક અંગે સહિત ભકિત કરવી. અને એવી રીતે ભકિતને કરતો જે ભક્ત તેને પણ જો ભૂંડા દેશ, કાળ, ક્રિયા ને સંગ છે તેને વિષે પ્રવર્તાય, તો ભગવાનનો ભક્ત હોય તેનું પણ અંતર ડોળાઇ જાય ને તેના સ્‍વભાવનો ઠા ન રહે. માટે ભૂંડો દેશ, ભૂંડો કાળ, ભૂંડી ક્રિયા, ભૂંડો સંગ તેનો ત્‍યાગ કરીને રૂડો  દેશ, રૂડો કાળ, રૂડો સંગ, રૂડી ક્રિયા, તેને વિષે સદા પ્રવર્તવું પણ ભૂંડા દેશાદિકનો સંગ કરવો જ નહિ.” ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું  ||૩૨|| ૧૬૫ ||