૧૫૩. બુરાનપુરના સંઘને તથા સરસોદનાં રામજીને મળેલા પરચા.

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 5:44pm

પૂર્વછાયો – બહુ ભક્ત બુરાનપુરમાં, ભાવે કરી ભજે ભગવંત ।

સહાય કરે જેની શ્રીહરિ, પળ પળમાંહિ અનંત ।।૧।।

તેણે ખુમારી તનમાં, મનમાં તે મોદ ન માય ।

નરનારી નિઃશંક થઇ, ગુણ ગોવિંદના ગાય ।।૨।।

અતિ કેફ છે અંગમાં, સતસંગનું સુખ જોઇ ।

મસ્ત રહે સહુ મનમાં, કંગાલ ન માને કોઇ ।।૩।।

પ્રકટ પ્રભુ પ્રકટ પ્રાપતિ, પ્રકટ માને કલ્યાણ ।

પ્રકટ પરચા પળેપળે, પૂરે છે શ્યામ સુજાણ ।।૪।।

ચોપાઇ- તેણે કરી સહુ નરનારી, ભજે સ્વામી શ્રીજીને સંભારી ।

નિત્યે સતસંગમાંહિ બેસે, બીજી વાત અંતરે ન પેસે ।।૫।।

જયારે થાય સતસંગી ભેળા, ત્યારે ગાય મહારાજની લીળા ।

સર્વે ઉત્સવ સમૈયા સાર, તેનું ધ્યાન કરે નરનાર ।।૬।।

એહ વાત ચિંતવતાં મને, જાગતાં સુતાં દેખે સ્વપને ।

પછી કરે માંહોમાંહિ વાત, તેણે રહે સહુ રળિયાત ।।૭।।

એમ કરતાં વીતે નિશદિન, થાય સમાધિ સ્વપને દર્શન ।

પછી એમ બોલ્યા હરિદાસ, ચાલો પ્રકટ પ્રભુને પાસ ।।૮।।

કરી આવિયે દર્શન સહુ, નિર્ખિ આનંદ પામશું બહુ ।

એમ કરી પરસ્પર વાત, ચાલ્યો સંઘ સજી પરભાત ।।૯।।

બાઇ ભાઇ બુઢાં બાળ સંગે, ચાલ્યાં સર્વે અતિશે ઉમંગે ।

બાંધી ખરચી ખાવાને કાજ, લીધી પૂજા પૂજવા મહારાજ ।।૧૦।।

ધીરે ધીરે કરતાં મુકામ, ચાલ્યાં સમરતાં હરિનામ ।

આવ્યાં ઝાડીમાંહિ જયારે જન, ત્યારે ચોરે કર્યું છે વિઘન ।।૧૧।।

ઘોડાં વેલ્ય ને ઘરેણાં જેહ, વસ્ત્ર વાસણ લીધાંછે તેહ ।

ખરચી ખાવાની રહેવા ન દિધી, સર્વે વસ્તુ તે લુંટીજ લીધી ।।૧૨।।

વળી બાંધી પછવાડે બે હાથ, લઇ ચાલ્યા ચોર પોતા સાથ ।

ગયા સઘન ઝાડીમાં જયારે, બોલ્યા હરિજન તેહ વારે ।।૧૩।।

કહે માંહોમાંહિ એમ મળી, રખે દુઃખ માનો કોઇ વળી ।

હશે ભક્તિ આપણીમાં ભૂલ્ય, ત્યારે આપણાં થયાં આ શૂલ ।।૧૪।।

માટે સહુ થઇ સાવચેત, ભજો ભાવે હરિ કરી હેત ।

હમણે આવશે ઘોડલે ચડી, વેળ્ય વાલ્યમ નહિ કરે વળી ।।૧૫।।

આવી છોડાવશે અવિનાશ, જાણે બંધિવાન નિજદાસ ।

એમ કરતાં માંહોમાંહિ વાત, પધાર્યા પ્રભુ પોત્યે સાક્ષાત ।।૧૬।।

બહુ સખા હતા પોતાસંગે, આપે ચડ્યાતા તાતે તુરંગે ।

આવી ચોરને મારવા લાગ્યા, ચોર મૂકી ઝટોઝટ ભાગ્યા ।।૧૭।।

જાય કિયાં લીધા સર્વે ઝાલી, કર્યા મોર ઘુમરિયે ઘાલી ।

સર્વે વસ્તુ તે સંભારી લીધી, એ પાસે એકે રહેવા ન દીધી ।।૧૮।।

તોય ન મેલે ચોરને નાથ, બાંધી લઇ ચાલ્યા પોતાને સાથ ।

ત્યારે ચોર બોલ્યા એમ મુખે, શું કરૂં મરૂંછું સહુ ભૂખે ।।૧૯।।

માટે ન કરવાનું આ કીધું, તેનું ફળ તરત અમે લીધું ।

હવે જેમ કહો તેમ કરીયે, એવું સુણી દયા કરી હરિયે ।।૨૦।।

જાઓ મુકી દિયે છીએ આજ, હવે કરશો માં આવું કાજ ।

એમ ચોરથી મુકાવી જન, સંઘ સંગાથે ચાલ્યા જીવન ।।૨૧।।

જીયાંલગી ઉતરીયા ઝાડી, તિયાંલગી રહ્યા સંગે દાડી ।

જયારે આવ્યાં છે વસ્તીનાં ગામ, ત્યારે અદૃશ્ય થયાછે શ્યામ ।।૨૨।।

પછી સતસંગી સર્વે તે મળી, કરે માંહોમાંહિ વાત વળી ।

જોજયો શ્રીહરિની આ સામર્થી, છે જો મોટી છોટી કાંઇ નથી ।।૨૩।।

આપ્યો પરચો પ્રકટ આવી, ગયા ચોર કરથી મુકાવી ।

આવી વાત કહો કિયાં હોય, સતસંગ વિના બીજે નોય ।।૨૪।।

પછી ધીરેધીરે સહુ ચાલી, આવ્યાં મહારાજ પાસે તે હાલી ।

કરી દર્શન પ્રસન્ન થયાં, પછી વાટનાં વિઘન કહ્યાં ।।૨૫।।

ત્યારે હસીને બોલ્યા મહારાજ, અમે આવી કર્યું એહ કાજ ।

ત્યારે જન કહે વનમાંય, તમ વિના કરે કોણ સહાય ।।૨૬।।

વળી નિમાડ્ય દેશની વાત, સુણી સહુ થાશો રળિયાત ।

ગામ સરસોદમાં જન જેહ, કણબી રામજી નામે છે તેહ ।।૨૭।।

તેના શરીરમાં નહિ સુખ, હતું દેહમાંહિ અતિ દુઃખ ।

તેની પીડામાં બહુ પિડાય, કરે સુખ થાવાનો ઉપાય ।।૨૮।।

દેવ પિત્ર ભૈરવ ભવાની, બહુ માનતા એહને માની ।

વડી જમાડ્યા સાધુ સન્યાસી, જોગી જંગમ વળી વનવાસી ।।૨૯।।

તેણે રોગ ટળ્યો નહિ રંચે, સામુ થયો છે દુઃખનો સંચે ।

પછી સહજાનંદી સંત જે છે, આવ્યા તેજ ઘેરે અણઇચ્છે ।।૩૦।।

કર્યાં દર્શન રામ પટેલે, ગ્રહ્યાં ચરણ તે નવ મેલે ।

કહે હું છઉં શરણ તમારી, તમે ખબર રાખજયો મારી ।।૩૧।।

ત્યારે સંત કહે બહુ સારૂં, તમે ધારો જે નિયમ અમારૂં ।

પછી હાથમાંહિ જળ લઇ, મેલ્યું સંતને ચરણે તેઇ ।।૩૨।।

સંત કહે નારાયણ નામ, ભજય તજય તું સરવે કામ ।

તન તારું રહે કે ન રહે, થયું કલ્યાણ તું માની લહે ।।૩૩।।

જયારે આવશે દેહનો કાળ, ત્યારે લેવા આવશે દયાળ ।

કહી સંત એટલું વચન, ચાલ્યા એને બતાવી ભજન ।।૩૪।।

પછી રામે માંડ્યું એ રટણ, કરે સ્વામીશ્રીજીનું સ્મરણ ।

પછી થયા થોડા ઘણા દન, આવી અવધ્યે તજીયું તન ।।૩૫।।

ત્યારે તેડવા આવ્યા મહારાજ, ભેળા સંત સખાનો સમાજ ।

આવ્યા ગામને ગોંદરે નાથ, નિર્ખિ બહુ જન થયાં સનાથ ।।૩૬।।

કહે કોણ તમે કિયાં જાશો, આ ગામમાંહિ કેમ સમાશો ।

કહે અમે સ્વામિનારાયણ, આવ્યા ભક્ત રામજી કારણ ।।૩૭।।

હમણાં કરશું વાડીમાં નિવાસ, પછી જાશું રામજીને પાસ ।

એમ કહી વાડીમાં ઉતર્યા, બહુ જીવ કૃતારથ કર્યા ।।૩૮।।

દિધાં બહુ જનને દર્શન, પ્રભુ પોત્યે થઇને પ્રસન્ન ।

પછી આવ્યા રામજીને ઘેર, કરી મોટી મહારાજે મહેર ।।૩૯।।

ઉઠી રામજી લાગ્યો છે પાય, નિર્ખિ નાથને તૃપ્ત ન થાય ।

દિઠા સંત પ્રભુજીને સાથે, જેણે નિયમ ધરાવ્યાંતાં હાથે ।।૪૦।।

પછી નાથ કહે સુણો જન, ચાલો અમ સાથે તજી તન ।

એવી સાંભળી વાલાની વાણ, તજયા તર્ત રામજીએ પ્રાણ ।।૪૧।।

ઘરપરના માણસ જોતે, તન તજી ચાલ્યો તર્ત પોત્યે ।

સહુ જોઇને આશ્ચર્ય પામ્યાં, ધન્યધન્ય કહી શિશ નામ્યાં ।।૪૨।।

પછી ગામ સઘળે તે જાણ્યું, અતિમોટું આશ્ચર્ય પરમાણ્યું ।

કહે આપણે ન જાણ્યું કાંઇ, જાણ્યું પ્રકટ આવ્યા છે આંઇ ।।૪૩।।

રહેશે દન આંહિ દોય ચાર, કરશું દર્શન સહુ નરનાર ।

જો જાણીયે અલૌકિક અંગ, ચરણ ગ્રહી ન મુકીયે સંગ ।।૪૪।।

પણ એ પળ ગઇ તે ગઇ, વારુ ભાગ્ય મોટે ભેટ્ય થઈ ।

એહ વાત અતિશય મોટી, હશે પાપી તે માનશે ખોટી ।।૪૫।।

એમ બોલે ગામલોક વાણ, થયો પરચો પ્રકટ પ્રમાણ ।

એવી રીત્યે અપરમપાર, થાય પરચા તે લાખ હજાર ।।૪૬।।

કહેતાં લખતાં ન આવે છેક, લખીએ એકતો રહે અનેક ।

દેશદેશ ગામગામ પ્રત્યે, આપે નાથજી પરચા તે નિત્યે ।।૪૭।।

જણજણ પ્રત્યે જાુજવા, થાય પરચા નિત્ય પ્રત્યે નવા ।

આજ વાવરે છે જે સામર્થી, તે તો લખતાં લખાતી નથી ।।૪૮।।

આગે ધર્યા અવતાર ઘણા, જાણો સર્વે આ શ્રીહરિ તણા ।

પણ આજ વાળ્યો આડો અંક, પ્રભુ પ્રકટ્યા પૂર્ણ મૃગાંક ।।૪૯।।

જેજે આ વારે કરીયાં કાજ, તેતે આગે ન કર્યાં મહારાજ ।

સર્વે શાસ્ત્રમાં વાત સાંભળી, આજના જેવી ક્યાંઇ ન મળી ।।૫૦।।

આજની તો રીત્ય છે અલેખે, પણ હોય ધીમંત તે દેખે ।

આજ અઢળ ઢળ્યા અપાર, કહે નિષ્કુળાનંદ નિરધાર ।।૫૧।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજીમહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે એકસો ને ત્રેપનમું પ્રકરણમ્ ।।૧૫૩।।